
ઉતરાયણ
મકરસંક્રાંતિ
ખિયર
આ બધા નામથી જાણીતો નવા વર્ષનો પહેલો તહેવાર
જે પહેલા ૧૪ જાન્યુઆરીએ ઉજવાતો અને હવે ૧૫ જાન્યુઆરી ઉજવાય છે.
ઉત્તરાયણમાં પતંગ નથી ઉડાવવામાં આવતી તેની સાથે ઘણું બધું ચગે છે, ઉડે છે, વિકસે છે, કપાય છે, તૂટે છે, છટકે છે, ઝીલાઈ છે, સંધાઈ છે, લપેટાઈ છે.
આખા વર્ષ દરમ્યાન કરેલી કેટકેટલી તૃષ્ણા, કેટલીક અપેક્ષા, કેટલાક મુદ્દાઓ, કેટલીક ઈચ્છાઓ, કેટલીક પીડાઓ આ બધું ભેગું થાય ત્યારે આપણી ધીરજના આકાશમાં આ પતંગ ચગે અને જે તરફ પવન હોય જેનો પેચ પાક્કો અને દોરો અવ્વલ હોય તેની જીત થાય અને બાકીની ઈચ્છાઓ ખાલી ફિરકી વીટતી રહી જાય.
વર્ષમાં તહેવાર આવે અને બાકીના સમયમાં વહેવાર આવે આ બંને વચ્ચેનું સંકલન એટલે વ્યક્તિનું જીવન.
વધારે પડતી ઢીલ આપવી એ પરવડે નહિ અને જો ખેંચે તો જાત ખેંચાઈ જવાનો ભય છે.
કેવું અઘરું અને અટપટું જીવન વ્યક્તિનું થઈ પડે.
એટલે જ એ ઉતરાયણમાં ચગાવે છે, આકાશ તરફ ફગાવે છે કેટલીક અણગમતી ઘટનાઓ, એક પતંગ લૂંટીને એ આખી જિંદગીનો આનંદ લૂંટી લીધો હોય એવો ખુશ થાય છે.
પતંગને માથા પર સહેજ વાળીને તે પોતાને ધરપત આપે છે હજુ એનામાં કોઈને વાંકા વાળવાની તાકાત છે.
છૂટની સાથે એ પોતાની જાતને પણ છૂટી અને ખુલ્લી મૂકવાની એક તક આપે છે.
અપૂરતી ઈચ્છાઓને લીધે પડેલા પેલા મન પરના ઉજરડાની મરમપટ્ટી કરી લે છે.
ચીકી અને શેરડીની સાથે એ અગાશીમાં પોતાના દુઃખો વહેંચીને થોડીક હળવાશ મેળવી લે છે.
હાથમાં ટેપ, આંખો પર ગોગલ્સ, ટોપી, ચાઇનાની દૂરીનો ઉપયોગ બંધ કરીને તે પોતાને થતા નુકશાન વિશે વિચારે છે તેની ખાતરી આપે છે તથા પોતાનું અને પોતાની પ્રકૃતિનું રક્ષણ પોતાની જવાબદારી છે એ વાતની સાબિતી કરે છે.
જીવન છે તહેવાર છે અને એનું આગવું મહત્વ છે પણ ઉતરાયણ ખુલ્લા આકાશ નીચે ઊભા રહીને જગ લડવા તમને સજજ કરતો એક તહેવાર છે આ તહેવાર એ જીવનના કિસ્સા ઓ અને હિસ્સાઓમાં તમને મજબૂત કરે છે.
ઉતરાયણ સાબિતી છે કે આખો આકાશ તમારી સામે હશે તમારી આવડત અને કૌશલ્યથી તમને આગળ વધી શકશો, આસપાસ અને આપસમાં પ્રેમભાવ હશે તો શકય છે કે તમારી પતંગ પેલા આભમાં વધુ લાંબી ટકી રહે બાકી પેચ કરવા લોકો તૈયાર જ બેઠા હશે.
આ તહેવાર આપને મુબારક
ધ્યાન રાખજો
આંખોવાળા (મનુષ્ય) અને પાંખોવાળા (પક્ષીઓ) જીવનું
~હિરલ મહેશભાઈ જગડ
સલાહ મનોવૈજ્ઞાનિક
ભાવનગર


















