Grief/Sadness · Uncategorised

જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં, બંને ક્લિનિકમાં આવતાની સાથે ખૂબ રડ્યા બંનેનું મન થોડું હળવું થયું પછી વાતની શરૂઆત કરી. વાત એમ હતી તાજેતરમાં આધ્યાએ એના પિતા ગુમાવ્યા હતા, આધ્યાની ઉંમર 9 વર્ષ. આ આખી ઘટનાને ઝીરવવી અને જીવનની ગાડી આગળ ધપાવવી આઘ્યા અને એના મમ્મી બંને માટે મુશ્કેલ હતી. સામાન્ય સંજોગોમાં સ્વજનના ગુમાવ્યા પછીના આ પાંચ તબ્બકાઓમાંથી આપણે પસાર થતાં હોઈએ છીએ.
1. અસ્વીકાર (Denial) : પ્રિયજન કે સ્વજનને ગુમાવ્યાના સમાચાર સાંભળીને આઘાત ઝીરવાતો નથી, આખી વાત અને ઘટના પર અવિશ્વાસ થાય છે, ખાસ કરીને જ્યારે મૃત્યુના સમાચાર અણધાર્યા અને અચાનક આવ્યા હોય.
2. ગુસ્સો/ક્રોધ (Anger) : સ્વજનનું આમ અચાનક આપણા જીવનમાંથી ચાલ્યાં જવું, એ ક્રોધ અને ગુસ્સો ઉત્પન્ન કરે છે ખાસ કરીને કુદરત/ઇશ્વર પર.
3. ભાવતાલ (Bargaining) : બીજા તબ્બકાને પાર કર્યા પછી આપણે ઈશ્વર સાથે થોડી લેવડદેવડ કરવાની કોશિશ કરીએ છીએ અને મનોમન ઈચ્છીએ છીએ કે આ ભૂતકાળની ક્ષણ ભૂંસીને નવી ક્ષણ રચવાની આપણે આપણને એક તક મળે.
4. હતાશા ( Depression) : પછી અતિશય પીડા અને તીવ્ર નિરાશાનો તબક્કો આવે છે, જેમાં આપણે ગુમાવેલી વ્યકિત આપણી સાથે નથી અને હવે ફરી ક્યારેય એ વ્યક્તિને જોઈ નથી શકવાના એ વસવસો ડૂમો બનીને અંતરમન કોરી ખાઈ છે.
5. સ્વીકાર (Acceptance) : છેલ્લા તબક્કામાં હકીકત સ્વીકારીને એ વ્યકિત વિના જીવન જીવવાનું ધીરે ધીરે શીખી જઈએ છીએ.


પણ ઘણી વાર અચાનક આવેલ આઘાતને સહન કરવા માટે આપણું મન અને મગજ તૈયાર હોતું નથી. અને ત્યારે જે માનસિક સ્થિતિ સર્જાય છે, તેને PTSD ( Post Traumatic Stress Disorder) અને જટિલ શોક (Complicated Grief) તરીકે ઓળખવામાં આવે છે. આ કેસમાં આધ્યાની સ્થિતિ કંઇક આવી જ હતી. એક કાર અકસ્માતમાં 38 વર્ષની વ્યક્તિનું મૃત્યુ એ ઘટના અતિશય પીડા આપનારી છે જ. અને એ જ્યારે તમારા પિતા હોય ત્યારે એ આખી ઘટના કીડી માથે આભ જેવી લાગે.
આધ્યા અને તેના મમ્મી મધુબેનનું લગભગ 18 મહિનાઓ સુધી ટ્રીટમેન્ટ ચાલી, થેરાપી સેશન્સ થયા, CBT ( Cognitive Behavioral Therapy) અને નરેટિવ થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો અને ગ્રુપ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવ્યો, એના પછી હવે ધીરે ધીરે બંનેનું નોર્મલ જીવનમાં ગોઠવાયા છે.


નાની ઉંમરે સ્વજન/પ્રિયજનને ગુમાવી દેવાની ઘટના જીવનભરનો આઘાત આપીને જાય એ વાતને ઝૂંટવી ન શકીએ, આધ્યા અને મધુબેન જેવા અસંખ્ય લોકો હશે જે જીવનની આ ઘટનાને સ્વીકારીને નવેસરથી જીવન જીવતા શીખતા હશે, અને સમય સાથે સ્વસ્થ પણ થઈ જતાં હશે. એ દરેક વ્યક્તિને ઇશ્વર હિંમત આપે! પણ મારે વાત કંઇક અલગ કરવી છે એક સૂચન છે એ દરેક વ્યક્તિને જે જીવનને અને ખાસ કરીને પોતાની ‘ શારીરિક અને માનસિક હેલ્થ ‘ ને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. કેટલાંક આંકડાઓ જુઓ તો અઘ્ધધ, તમારી આંખો પહોળી થઈ જશે. Ministry of road transport and highway ના national crime records bureau (NCRB) ના 2021ના રિપોર્ટ અનુસાર 1,50,000 લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે હર્દય રોગના કારણે દર વર્ષે 3 મિલિયન (30 લાખ) લોકો, COPD ( Chronic Obstructive Pulmonary Disease ના કારણે અંદાજિત 10 લાખ લોકો જીવ ગુમાવે છે, કેન્સર અને બીજા અન્ય રોગોથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો લાખોની સંખ્યામાં જ છે. શાસ્ત્રો અને પુરાણોની વાતો મુજબ હશે કદાચ આપણા શ્વાસો પહેલેથી જ નક્કી થયેલા પરંતુ એક મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ તરીકે હંમેશા મને પ્રશ્ન થાય, કે આપણા સમાજમાં કેટલીક વસ્તુઓ/સિસ્ટમની તાતી જરૂર છે, જેના કારણે જીવન લાંબુ થશે કે નહીં પણ જીવનની ગુણવતા તો ચોક્કસ સુધરશે. અને આ કેટલાંક આયામો જો આપણે વહેલી તકે લાગુ પાડી શકીએ તો કદાચ આપણા સમાજની છબી વધુ ઉજળી બનાવી શકીએ. આ સાથે તમે શું વિચારો છો એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો.


1. સ્વાર્થીપણું: દરેકેદરેક વ્યક્તિએ પોતાની સેહત માટે સ્વાર્થી બનતા શીખી જાય તો કેટલું સરસ! કોઈ પણ જાતના બહાના, કારણો કે સામાજિક જવબદારીઓમાં અટવાયા વગર દિવસની એક કલાક શરીર માટે. ચાલવાનું, દોડવાનું, કસરત કરવાની, કોઈ પણ જાતની શારિરિક કસરત અને દસ મિનિટનું ધ્યાન. કેટલાક હજાર રૂપિયાના ફોનને સાચવવા કવર અને ટફન ગ્લાસ નખાવીએ છીએ, તો આપણું શરીર અને મન મામૂલી છે ? જેને ગમે તે રીતે ટ્રિટ કરીએ ? કોઈપણ ભોગે તાત્કાલિક ધોરણે જીવનમાં નિયમિત રીતે હળવી કસરત ઉમેરીને આપણી જાત માટે આટલું સ્વાર્થી બનવું તો આપણેને પરવડે, ખરું કે નહિ ?
2. જંક ફૂડ એ જંક જ છે: કમાવાની લાયમાં, સમય બચાવાની દોડમાં કે જીભના ચટકારા માટે જે રીતે અને જેટલી માત્રામાં આપણે ફાસ્ટફૂડ ખાઈ રહ્યા છીએ, ત્યારે એ સમજવું અતિ આવશ્યક છે કે આ કેટલી અને કેવી રીતે આપણા શરીરને પોષણ આપશે ? ચીઝના ઢગલા અને બટરથી લદાયેલા ખોરાકની આપણે ખરેખર જરૂર છે ? આજના સ્વીચ અને ટેકનોલોજીની સગવડ સજ્જ એવી સોસાયટીમાં જ્યારે આપણે ગોઠવાયેલા છીએ ત્યારે આ નીતરતી કેલેરી ભરેલો ખોરાક આપણે પચાવી શકીશું ?
3. ટેકનોલોજી અને સ્ક્રીન ટાઈમ : કામને લઈને કે પછી શોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાના ચક્કરમાં દિવસની લગભગ ૧/૩ કલાકો સ્ક્રીન ઉપર ખર્ચતી વખતે આપણે આપણા મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ છીએ ? ‘બ્લુ લાઈટ એકસ્પોઝર’ કેટલું ખતરનાક છે એની જાણ આપણને છે ? રાત્રે સૂતા પહેલા અને સવારે જાગીને પહેલો સંપર્ક સ્ક્રીનનો કરીએ છીએ ત્યારે આપણા ઊંઘની નિયમિતતા અને શરીરના આવગોમાં તણાવ ઊભો થાય છે, અને જે ઘણા બધા રોગોને નોતરે છે. તો શું આપણે એટલી કાળજી ન રાખી શકીએ કે, આપણે ટેકનોલોજી વાપરીએ, નહિ કે ટેકનોલોજી દ્વારા આપડે વપરાતા જઈએ અને ખર્ચાતા જઈએ!
4. વાહન ચલાવો એ પહેલા ચલાવતા શીખો : નાની ઉંમરે કે 18 વર્ષ પછી કોઈ પણ વાહન ચલાવો તો એને શાંતિથી શીખો, ટ્રાફિકના નિયમો અનુસરો, હેલ્મેટ અને સીટ બેલ્ટની અવગણના ન કરો અને સમયસર પહોંચવા ઘરેથી સમય પર નીકળતા શીખો નહિતર ઓવર સ્પીડીના ચક્કરમાં તમારે અથવા તો બીજા કોઈને કાયમ માટે જીવનની એકસિટ (exit) લેવી પડશે.
આ ત્રણ- ચાર પાસાંઓ જ મૃત્યુઆંક વધારે છે એવું નથી, બીજા ઘણા બધા પાસાંઓની ચોક્કસ ભૂમિકા છે જ, જેમકે, વારસાગત કારણો, પર્યાવરણલક્ષી કારણો, તમાકુ – દારૂનું સેવન, જીવન કે રોગને લઈને અસમજ અથવા તો ગરીબી. પરંતુ દરેક વ્યક્તિના હાથમાં એટલી તો શક્તિ છે જ કે આ ચાર પાસાંઓ પર તાત્કાલિક ધોરણે કામ કરી શકે. આ આર્ટિકલ ક્યાં સુધી અને કેટલા લોકો સુધી પહોંચશે એ મને ખબર નથી પણ જેટલા સુધી પહોંચે એટલા લોકોને વિનંતી છે કે, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, તમારી શારીરિક – માનસિક સ્વસ્થતાનું ધ્યાન રાખો. કેમકે તમારી અચાનક લીધેલ વિદાય, તમારા પરિવારને આજીવન કોરી ખાશે.


છેલ્લો કોળિયો: એક બાળક શાળાની સ્વાધ્યાયપોથીની ખાલી જગ્યા પૂરવા માટેનો ઉકેલ શોધી લેશે, પણ પરિવારમાંથી ગુમાવેલ વ્યક્તિની ખાલી જગ્યા કોઈ ક્યારેય પૂરી નહિ શકે, તો તમે તમને જરૂર સાચવજો.
– હિરલ

https://search.app?link=https%3A%2F%2Fwww.wockhardthospitals.com%2Farticles%2Fheart-care%2Fheart-attack-cases-go-up-by-20-in-2-months%2F&utm_campaign=aga&utm_source=agsadl1%2Csh%2Fx%2Fgs%2Fm2%2F4

Language Learning

અંગ્રેજીને ભાષા રહેવા દો! 🌻

કદાચ શીર્ષક થોડું અલગ લાગશે અને આજની વાત પણ થોડી અલગ જ છે. બની શકે કે આ બહુ નાના સમૂહને આ વાત લાગુ પડે અથવા તો બહુ નાનો હિસ્સો આનાથી સહમત હોય પણ, વાત મને શેર કરવા જેવી લાગી એટલે કરું છું અને હા, હરહંમેશની જેમ તમારા સૂચનો અને પ્રતિભાવો શિરોમાન્ય રહેશે.
વાત છે એક સામાન્ય ઘરમાં જન્મેલી એક છોકરીની. જે અન્ય ઉગતા બાળકોની જેમ જીવનમાં ગોઠવાતી હતી અને મથતી હતી કંઇક બનવા/સાબિત કરવા માટે. ત્યારે અંગ્રેજી ભાષા એની સામે એક ઓપ્શન નહિ પણ એક કમપ્લસન બનીને આવી. આઠમા ધોરણની એ વિદ્યાર્થીની સમજી ન્હોતી શકતી કે શા માટે એ અંગ્રેજી ભાષાને એ પચાવી નથી શકતી, એની સાથે મિત્રતા નથી કરી શકતી કે નથી એની નજીક જઈ શકતી. કેમ કે આ સિવાયની દરેક ભાષા એને બહુ રસપ્રદ લાગતી, હંમેશા એ બાજુ ખેંચાતી અને નવીનતમ માહિતીઓ અને એનું વ્યાકરણ સમજવા જાતે પ્રયત્નો કરતી અને વળી જરૂર લાગે તો શિક્ષકો અને વડીલોને પણ પ્રશ્ન પૂછતી. પણ એ ઉગતી યુવતીના મનમાં હંમેશા અવઢવ રહેતી કે હું English માટે આવું કેમ નથી feel કરતી? આ વાત ક્યાંક દબાઈ ગઈ કેમકે જેમતેમ કરીને પાસિંગ માર્ક લઈ આવીને અંગ્રેજી ભાષાનાં સિલેબસને અલવિદા કહેતા એને આવડી ગયું હતું. પરંતુ ફરીથી ભાષા પ્રત્યેની એ લાગણી બહાર આવી જ્યારે ગ્રેજ્યુએશન પાસ કરતી વખતે મુખ્ય વિષય મનોવિજ્ઞાન પર અંગ્રેજી ભાષા હાવી થઈ ગઈ અને એક dilemma ઉભો થયો કે જો અંગ્રેજી ભાષા નથી આવડતી તો જીવનમાં કોઈ પ્રગતિના દ્વાર નહિ ખુલ્લે. અને ક્યાંકને ક્યાંક એ યુવતીએ વાતને સાચી પણ માની લીધી. આજુબાજુનો માહોલ એવો મળ્યો કે જે વારંવાર કહેતા અને સમજાવતા કે, “અંગ્રેજી આવડી જાય તો સારી નોકરી મળે” અને “અંગ્રેજી ભાષા પર પકડ હોય તો આપણે મોટું માણસ બની શકીએ.” પણ કોઈ ક્યારેય પણ એક પથદર્શક બનીને આવ્યું જ નહિ કે આંગળી પકડીને એવું કહેતું ન્હોતું કે આટલા રસ્તાઓ છે ભાષા શીખવા માટેનાં, કોઈ પણ સમયે, કોઈ પણ ઉંમરે શીખી શકાય. અને ક્યાંક એ યુવતી પણ કૂવામાંના દેડકાની જેમ ખાલી.  ‘ કૂવાને ‘ દુનિયા સમજીને જીવતી રહી. પછી એક દિવસ બહાર નીકળવાનું થયું અને એક મોટા દરિયાની અંદર પોતાની જાતને જોઈને પહેલાં તો એ યુવતી ખૂબ ડરી ગઈ અને ગભરાઈ ગઈ પરંતુ કેટલાક મિત્રો, સંબંધીઓ અને અંગ્રેજી ભાષાના શિક્ષકો મળ્યા જેણે સાચી રીતો અને પદ્ધતિઓ બતાવી. શીખવ્યું કે ભાષા શીખવી હોય તો ચાર પાંસાઓ પર એકસરખો ભાર આપવો જરૂરી છે.

ભાષાને સાંભળો, બોલો, વાંચો, અને લખો. ધીરે ધીરે સાચી દિશામાં ડગ માંડવાથી કોઈ પણ ભાષા આવડી શકે, ભાષા એ માધ્યમ છે અને અલબત્ત અંગ્રેજી ભાષા આજના સમય માટે અનિવાર્ય છે. પરંતુ યાદ રાખો કે ભાષા કોઈ ગૂઢ રહસ્યોથી ભરેલો ખજાનો નથી કે અમુક લોકોને મળે અને અમુક લોકોને નહીં અને ના તો ભાષા લોટરીની ટિકિટ છે જે એક દિવસ જેકપોટની જેમ લાગી જશે અને તમારી જિંદગી બદલી નાખશે. તમારે એના માટે પ્રયત્ન કરવો પડશે તપવું પડશે અને પછી સડસડાટ અંગ્રેજી બોલી શકશો. અને ભરોસો રાખો આ વાત 100% સાચી છે, કેમકે, આ યુવતી બીજું કોઈ નહિ પણ હું (હિરલ) જ છું. અને આખી વાત કહેવા પાછળનો મર્મ એટલો જ છે કે જો બની શકે તો આપણો અંગ્રેજી ભાષા પ્રત્યેનો અભિગમ બદલીએ.ખાસ કરીને ગુજરાત રાજ્યમાં વસતા લોકો માટે આ એક સંદેશ છે કે ચાલો  આપણે જાણીએ અને સમજીએ કે જાણતા કે અજાણતા આપણે બાળકોની અંદર એવું વાવીએ છીએ, રોપીએ છીએ કે જેનાથી બાળકને ભાષા પ્રત્યે હાઉં(ડર) ઉભો થાય છે, એ ભાષાની નજીક જતાં ડરે છે અને જે ભાવ અને આવેગો આજીવન ઘર કરીને એના મનમાં વસી જાય છે. મૂળભૂત વિચારવા જેવી વાતો અને કેટલાક દૃષ્ટિકોણ જેમાં થોડા બદલાવને અવકાશ છે.


1. ભાષા અને શીખવા પાછળની સાઈકી:
ભાષા શીખવી એ આનંદ, ગર્વ અને ઉત્સાહની વાત છે, આપણા બાળકોને ભાષા આ રૂપે અને સ્વરૂપે જ શીખવીએ, અલબત્ત દરેક વિષય/વસ્તુ/કલા આવા વિચારથી જ શીખવી જોઈએ પણ આપણે ભાષા સુધી અત્યારે વાતને સીમિત રાખીએ. ભૂલ અને ઉણપ ક્યાં છે ? આપણે સૌ પ્રથમ આનંદ અને ઉલ્લાસ ભરવાને બદલે પહેલો ડર ભરીએ છીએ, “જો અંગ્રેજી નહિ આવડે તો તને કશું નહિ આવડે અને તું કંઈ નહિ બની શકે.” બીજું એબીસીડી અને કાળના પ્રકારો ગોખાવ્યા પછી આપણે ક્યારેય પણ બાળકને પ્રેકટિકલ એક્સપ્લોસર આપવું જોઈએ આ વિશે વિચાર્યું નથી અને વર્ત્યું પણ નથી.


2. અંગ્રેજી ન આવડવું એ અશોભનીય નથી :
આપણને ક્યારેય નથી માઠું લાગ્યું કે મને જર્મન નથી આવડતું કે ક્યારેય પણ આપણે તારક મહેતા પાસે જેઠાલાલ બનીને ફેંચ ભાષામાં લખેલા કાગળો વંચાવવા નથી જવા પડ્યા. કેમ કે, આપણે સ્વીકારેલું છે કે જર્મન અને ફ્રેન્ચ આપણને નથી આવડતું તો એ જ રીતે જો આપણને અંગ્રેજી નથી આવડતું તો સ્વીકારી લઈએ. કેમકે સમસ્યાનું સમાધાન કરવાનું પહેલું પગથિયું સ્વીકાર છે. આ વાતથી નીચું જોવાની કે લઘુતા ભાવ અનુભવવાની કોઈ જ જરૂર નથી કેમ કે આપણે સ્વીકારીશું કે આપણને નથી આવડતું તો આપણે જરૂર અંગ્રેજી શીખવા તરફ આગળ વધી શકીશું. કેમ કે ભરેલો ગ્લાસ ફરી ભરી ના ભરાય.


3. ભાષા અને ઉંમરનો સંબંધ શું ?
હા, વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂક્યું છે કે અમુક ઉંમરે બાળક બોલતા શીખે પરંતુ એવું કોઈ પણ સંશોધન બહાર નથી પડ્યું કે અમુક ચોક્કસ ઉંમર પછી અંગ્રેજી/કોઈ પણ ભાષા કે વિષય ન આવડે. તો જેટલી પણ મમ્મીઓને/પપ્પાઓને શરમ આવતી હોય કે, “મને અંગ્રેજી નથી આવડતું એટલે હું મારા બાળકના ઉછેરમાં અમે ઓછા પડીશું” તો મારા વ્હાલા વાલીઓ, અદભુત લેખિકા ગૌરી સિંદે દ્વારા લખાયેલી અને શ્રીદેવી અને આદિલ હુસેન જેવા ઉત્તમ કલાકારો દ્વારા ભજવાયેલી English Vinglish (2012) ફિલ્મ એકવાર જોઈ લેજો તમને તમારું પ્રતિબિંબ દેખાશે અને તમારી લાગણી શેર કરતી એક અન્ય સ્ત્રી દેખાશે અને સાથે સમજાશે કે કંઈ રીતે હું ભાષાની આંગળી પકડીને આગળ વધુ, આત્મનિર્ભર બનું અને સ્વાભિમાનથી જીવન જીવું.


4. ભાષા અને બુદ્ધિમતા (IQ)
અત્યાર સુધી આપણે ભાષા શીખવાનો અપ્રોચ અને એની સાઈકોલોજી સમજી પણ હવે અહીં એ પણ સમજવું જરૂરી છે કે ભાષા અને બુદ્ધિમતાને કોઈ ખાસ લેવાદેવા છે નહીં. એટલે જો તમને કોઈ કારણોસર અંગ્રેજી નથી આવડી રહ્યું તો તમારો IQ ઓછું છે અથવા તો તમારી અંદર આવડતની ઉણપ છે એવું કોઈ પણ સંજોગોમાં માનવાની જરૂર નથી. ભાષા એક માધ્યમ છે, ફરીથી કહું છું ભાષા એક માધ્યમ છે જે રીતે એક ગામથી બીજા ગામ જવા માટે કોઈ વાહનની જરૂર પડે, એ જ રીતે તમારા વિચારોને બીજા વ્યક્તિ કે સમૂહ સુધી પહોચાડવા માટે એક ભાષાની જરૂર પડે. અને જે લોકો આ ભાષામાં પાવરધા છે અને સાથે સાથે ઘમંડ પણ છે કે એમને અંગ્રેજી બહુ સારું આવડે છે તો એમની જાણ ખાતર અંગ્રેજી અને બુદ્ધિને કોઈ સીધો સંબંધ નથી, પણ હા, બુદ્ધિમાન વ્યક્તિ નર્મ અને સહાયરૂપ હંમેશા બની શકે. એટલે જો તમારી આસપાસ જો કોઈ ભાષા શીખી રહ્યું છે તો એને તમે જરૂર ફીલ કરાવજો કે તમે બુદ્ધિમાન છો, અહંકારી કે ઘમંડી નથી.


છેલ્લો કોળિયો : જ્યારે નાનપણથી જ “જો બાવો આવ્યો, સૂઈ જા નહિ તો તને ભૂત પકડી જશે અને અંગ્રેજી એટલે સર્વસ્વ” એવા કેટલાક ભ્રમોની SIP આપણે બાળમનની અંદર ઇનવેસ્ટ કરીએ છીએ ત્યારે એ જાણવું જરૂરી છે કે આનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણા બાળકોને આજીવન વેઠવું પડશે. તો ચાલો શીખીએ અને શીખવીએ એક ભાષાને ભાષા તરીકે.


ડૉ.હિરલ બ્રહ્મક્ષત્રિય
PhD (Psy.), RCT-C, MA, PGDCP
sparsh4mhc@gmail.com

Uncategorised

Love Differently ❤️

અમૃતા અને આત્મિયના તાજા તાજા લગ્ન થયા હતા, બંને સરળ સમજુ અને સુઘડ કહી શકાય એવું કપલ સમાજને દેખાતું હતું. પરંતુ વાત જાણે એમ થઈ કે અમૃતાના મનની મનોદશા અજાણતા જ આત્મિયની સામે ખુલ્લી પડી ગઈ, જે સાંભળીને એક પુરુષનો સઘળો અહમ્ અને સ્વાભિમાન હચમચી ગયો.

તારીખ 21/11/2022નાં રોજ અમૃતા પોતાની એક કોલેજની મિત્ર સાથે વિડિયો કોલ પર વાત કરતી હતી, બંને બહેનપણીઓના લગ્ન લગભગ એક સમયે જ થયા હતા, તો સ્વાભાવિક રીતે બંને સહેલીઓ લગ્નના છ મહિના પછીનો અનુભવ, વ્યથા અને કથા શેર કરી રહી હતી. આ ઘટનાનો પ્રેક્ષક આત્મિય અજાણતા જ બની ગયો અલબત્ત સમગ્ર ઘટનાથી એ અવગત ન્હોતો જ.

“તારે કેવું સારું છે સંજના, બહુ જ રોમેન્ટિક અને કેર કરવાવાળો હસબન્ડ મળ્યો છે તને, જેવું આપણે ફિલ્મોમાં જોયું હતું અદલ એવો જ. મારા નસીબમાં તો એ બધી વસ્તુઓના સપનાઓ જ છે. ક્યારેક તો મને શંકા પણ થાય કે આત્મિય મને ખરેખર પ્રેમ કરે છે ? અથવા તો એ નોર્મલ જ છે ને ? “

બસ આટલા વાક્યો પૂરતા હતા આત્મિય અને અમૃતાનું લગ્નજીવન વેરવિખેર કરવા માટે, આત્મિયએ મનોમન નક્કી કરી લીધું કે હું અમૃતાને આ રીતે નહિ જીવવા દઉં, એની ઇચ્છાઓ અને અપેક્ષાઓ જો હું પૂરી નથી કરી શકતો તો હું એનાથી ડિવોર્સ લઈશ અને એને આ લગ્નજીવનમાંથી મુક્ત કરી દઈશ. આ વિચાર સાથે વાત કોર્ટ સુધી ગઈ અને કોર્ટે આપેલા છ મહિનાના સમજૂતીના ગાળામાં આ વાત મારી સુધી પહોંચી અને હવે તમારા સુધી.

અચંબાભરી વાત એ હતી કે કોર્ટ અને ક્લિનિક સુધી પહોંચી ચૂકેલા આ દંપતી એકબીજાના મન પહોંચવામાં નિષ્ફળ ઠર્યા હતા. કેમ કે અમૃતાને આજ સુધી ખ્યાલ નથી કે આત્મિય શા માટે અચાનક ડિવોર્સ લેવા માંગે છે. એક કાઉન્સેલર તરીકે સૌથી પહેલાં તો આખી વાત ખુલ્લી કરી, આત્મિય જે અધૂરી માહિતી સાંભળીને અધાધુન થયો હતો, એ આખી વાત સાંભળીને શાંત થયો.

“મારા કિસ્સામાં અથવા તો અમારી લવ લેન્ગવેજ જરા અલગ છે, આત્મિયની વ્યક્ત થવાની રીત અને પ્રેમ પ્રદર્શિત કરવાની રીતો બહુ અલગ છે. એટલે મને કયારેક લાગે કે,….તારે કેવું સારું છે સંજના, બહુ જ રોમેન્ટિક અને કેર કરવાવાળો હસબન્ડ મળ્યો છે તને જેવું આપણે ફિલ્મોમાં જોયું હતું અદલ એવો જ. મારા નસીબમાં તો એ બધી વસ્તુઓના સપનાઓ જ છે. ક્યારેક તો મને શંકા પણ થાય કે આત્મિય મને ખરેખર પ્રેમ કરે છે ? અથવા તો એ નોર્મલ જ છે ને ? ચાલ આ બધું છોડ બીજું કંઈ હોય તો કે મને.”

અમૃતા મહદઅંશે જાણતી હતી કે દરેકની લવ લેન્ગવેજ અલગ હોય શકે. જે રીતે દરેક માણસની ફિંગરપ્રીન્ટસ્ અલગ હોય છે. ક્લાયન્ટ સાથેની ચર્ચાઓ અને કેટલાક અસેસમેન્ટ પછી તારણ નીકળ્યું કે આ કેસ ન્યુરોડાયવર્જન્ટ/ ન્યુરોડાઇવર્સ પર્સનાલિટીનો હતો. The terms ‘neurodivergent’ and ‘neurodiverse’ refer to people whose thought patterns, behaviors of learning styles fall outside of what is considered ‘normal’ or ‘neurotypical’ of humans. એટલે કે, ‘ન્યુરોડાઇવર્જન્ટ’ અને ‘ન્યુરોડાઇવર્સ’ શબ્દો એવા લોકોનો સંદર્ભ આપે છે જેમની વિચારસરણી, શીખવાની શૈલીઓની વર્તણૂક માનવીઓ માટે “સામાન્ય” અથવા ‘ન્યુરોટીપિકલ’ માનવામાં આવે છે તેનાથી વિપરીત કે જુદી છે. આ ટર્મ સૌ પ્રથમ 1997માં જુડી સિંગર નામના સમાજશાસ્ત્રીએ ઓટીઝમ સ્પેક્ટ્રમ માટે વાપરી હતી. ( કેટલીક ચોક્કસ માહિતી અને વિગત લિંકમાં આપેલ બ્લોગમાં વાંચી શકશો.)

અમૃતા અને આત્મિયનાં કેસમાં, આત્મિય ન્યુરોડાયવર્જન્ટ હતો, એટલે કે આત્મિયને learning disability હતી જેના કારણે જ તેની લવ લેન્ગવેજ અન્ય લોકો કરતાં જુદી હતી. આખી કાઉંસેલિંગ પ્રક્રિયામાં કપલને સમાજવવામાં આવ્યું કે આ બહુ જ નોર્મલ છે, ડરવાનું કે મુંજવાનું કોઈ જ જરૂર નથી, બસ કેટલીક આદતો સમજવી પડશે અને જીવનમાં ઉતારવી પડશે. જેમાં સૌથી અગત્યનું હતું પાંચ પ્રકારની લવ લેંગેવેજ જે મોટાભાગના ન્યુરોડાયરવરશન લોકો એક્સ્પ્રેસ કરતા હોય છે.

Penguin Pebbling (પેંગ્વિન પેબ્લિંગ) : ન્યુરોડાયવર્સ લોકો નાની ભેટો આપીને પોતાના પ્રેમની લાગણીઓને વ્યક્ત કરે છે. જેમ પેંગ્વિન તેમના સાથીદારોને નાના પથ્થરો આપીને પ્રેમ જતાવે છે, એ રીતે. આજના સમયમાં આ ચેસર ઈન્સ્ટાગ્રામ પર રિલ શેર કરવાનું પણ હોઈ શકે.

Info dumbing (ઇન્ફો ડમ્પિંગ): તેઓ પોતાની જાણકારી અને રસ ધરાવતા વિષયો વિશેની માહિતી પોતાના પાર્ટનર સાથે શેર કરીને એક ઈમોશનલ બોન્ડ અને એક ડીપ કનેક્શન ડેવલપ કરવા ઈચ્છતા હોય છે, આ અનોખી રીતે એ કેર અને ફિલીંગસ પ્રદર્શિત કરતા હોય છે.

Parellal Play (પેરલલ પ્લે) : ન્યુરોડાયવર્સ લોકો એક સાથે અલગ-અલગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે અને એ રીતે પોતાની રોમેન્ટિક લાગણીઓને વાચા આપે છે. દા.ત., એક પાર્ટનર કોઈ પુસ્તક વાંચે છે તો એ જ સમયે બીજું પાર્ટનર એની ગમતી કોઈ પઝલ સ્લોવવ કરે છે.

Support swapping (સપોર્ટ સ્વેપિંગ) : એકબીજાની નાની મોટી અને વણમાંગી મદદ કરવામાં પણ પ્રેમ છતો થતો હોય છે, જેમ કે સમયસર દવા લેવાનું યાદ કરાવું કે પછી યોગા અથવા તો જીમ પર નિયમિત જવા માટે એક રિમાન્ડર આપવું.

Deep pressure/Consensual Crushing (ડીપ પ્રેશર/કન્સેન્ચ્યુઅલ ક્રશિંગ) : હગીંગ દ્વારા અથવા હલકાં હાથે શરીર દબાવાથી પણ પોતાની અંદર રહેલી ભાવનાઓને પોતાના પ્રિયપાત્ર સુધી પહોંચાડવા માંગતા હોય છે.

અહીં અમૃતા અને આત્મિયના કેસમાં વિવધ થેરાપી બહુ ઝડપથી કામ કરી કેમ કે બંનેનું મનોબળ મક્કમ હતું અને તેમને સંબંધને કરમાવવા ન્હોતું દેવું. બંનેની ઉપરોક્ત દર્શાવેલી પાંચ લવ લેન્ગવેજ વિસ્તારથી સમજવવામાં આવી અને આ સિવાય પણ કેટલીક પ્રવૃત્તિઓ આખી સલાહ પ્રકિયા દરમ્યાન કરવામાં આવી કે જેના કારણે બંને વચ્ચે સ્ટોર્ગ બોન્ડ રચાય અને લગ્નજીવન વધુ મજબૂત થાય. આજે બંને સરસ રીતે એક આદર્શ પતિ પત્ની બનીને પોતાનું જીવન પસાર કરે છે.


ડૉ.હિરલ બ્રહ્મક્ષત્રિય
PhD (Psy.), RCT-C, MA, PGDCP
sparsh4mhc@gmail.com

https://www.verywellmind.com/what-is-neurodivergence-and-what-does-it-mean-to-be-neurodivergent-5196627

behavioral patterns · children · codependent · dependency · Health solutions · husbandwife · India · life · lifestyle · mental health · moral values · Norway · observations · old is gold · parenting · Uncategorised

પ્રોઢસંસ્કાર 🤔

રીદા કલીનિકની અંદર પગ મૂકતા જ રડવા લાગી હજુ હું કંઈ સમજુ કે પૂછું એ પહેલાં અચ્યુત કલીનિકમાં આવ્યો અને રીદા સામે નજર કરીને શાંત થવાનો ઈશારો કર્યો. ૫ મિનિટ પછી બંને મારી સામેની બે ખુરશીઓ પર ગોઠવાય ગયા. થોડીક કેસ રિલેટેડ ફોર્માલિટી પૂરી કરી મેં બંનેને પુછ્યું,  “શું મદદ કરી શકું છું હું આપની ?” જેનો જવાબ કંઇક અલગ મળ્યું. અચ્યુત બોલ્યો, ” મેડમ, તમે મારા પપ્પા અને મમ્મીને અહીં રાખી શકો ? હું એમને તમારી કલીનિકે મૂકી જાઉં ?
આ સવાલ કેમ ઉભો થયો અને કલાઈન્ટ આટલી અકળામણમાં કેમ છે એ જ્યારે કેસ હિસ્ટ્રી લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું. અચ્યુત અને રિદા બંને ભાઈ – બહેન પોતાના માતા – પિતાની ફરિયાદોનો કાફલો અને કેટલીક પીડાઓ લઈને આજે મારે આંગણે આવ્યા હતા. તો વાત જાણે એમ હતી કે, બંનેના માતા – પિતા એટલે કે હસમુખભાઈ અને મૃણાલીબહેન મુંજપરા જીવનના પાંચ દાયકા પૂરા કરીને છઠ્ઠામાં પ્રવેશી ચૂક્યા હતા. એમનું જીવન ઘણું સરળ અને સુખદ દેખાતું હતુ પણ ખરેખર એવું હતું નહિ.
ફરિયાદોનો આરંભ કરતા રીદાએ બોલી,


“મમ્મી કે પપ્પા અમારી એક પણ વાત માનતા કે સમજતાં નથી, પોતાની જૂની રૂઢિ અને રિવાજોને મારી અને ભાઈ પર થોપી બેસાડે છે, વાત અહીંયા પૂરી થઈ જતી હોય તો પણ ભલે પણ ના, એ તો અલગ અલગ તૂત ઉભા કર્યા જ રાખે છે, ક્યારેક અમારા ફ્રેન્ડસ સામે તો ક્યારેક અમારી પ્રોફેશનલ લાઇફમાં, નાની – મોટી બધી વસ્તુમાં ચંચુપાત કરવાની અને ન કંઈ કહીએ કે પૂછીએ તો રિસાઈ જવાનું. શું આ બધું ઠીક છે ? સમય પર દવા નથી ખાવી કે પોતાનું કંઈ ધ્યાન નથી રાખવું હવે અમે કેટલીક વાર કહીએ ? નાનું બાળક હોય તો ખીજાય ને કે ઠપકો આપીને પણ કહી દેવાય પણ આમની સાથે તો એ પણ ન થઈ શકે.


અચ્યુતે થોડું ઉમેરતા કહ્યું, “મેડમ હું જાણું છું કે આ બધું થવું બહુ સ્વાભાવિક છે બધા સંતાનો સાથે થતું હશે પણ શું આના કારણે માતા – પિતાની માનસિક સ્થિતિ ખરાબ થાય ? કે એમને બીજી કોઈ મુશ્કેલીઓ પડે ખરી ? કેમ કે કયારેક મને એવું લાગે છે કે They are not really okay! કેમ કે પોતે ભલે એકપણ કામ જાતે સંભાળી શકતા નથી તો પણ સ્વાભીમાનનું પૂછડું છોડવું નથી. બીજાની મદદ લેવી નથી અને ક્યારેક તો ગળગળા થઈ જાય અને ક્યારેક જૂની વાતોને યાદ કરીને કરીને ખિલખિલાટ હસ્યા કરે. શું આ બધું નોર્મલ છે ?


અચ્યુત અને રીદાના પેરન્ટ્સનો કેસ ખરેખર ઇન્ટ્રેસિંગ હતો, આખી વાતને શરૂથી શરૂ કરવામાં આવી માતા-પિતા સાથે કાઉન્સિલીંગ સેશન્સ થયા અને ફેમિલી કાઉન્સિલીંગ સેશન્સ પણ થયા. યોગ્ય પ્રકારની સાયકોથેરાપીની મદદથી લગભગ ૮ મહિના પછી ધીરે ધીરે અચ્યુત અને રીદાનું ટ્યુનિંગ તેમના માતા-પિતા સાથે બેઠું અને હવે પરિવાર કુશળમંગળ રીતે જીવન જીવે છે.


દરેક કેસ થેરાપિસ્ટ/કાઉન્સેલરને કંઇક શીખવે છે, સ્વાભાવિકપણે આ કેસમાં મેં પણ ઘણું શીખ્યું અને સમજ્યું ત્યારે મનમાં સતત એક વિચાર ચાલતો હતો અને I am sure કે તમારામાંથી ઘણા બધાને પણ આ વિચાર આવતો હશે કે શા માટે આપણી પાસે એવી કોઈ ચોક્કસ વ્યવસ્થા કે યોજના નથી જેમાં આપણે સમજી, જાણી અને શીખી શકીએ કે જીવનના ઉતાર્ધ પર આગળ વધી રહેલા આપણા માતા – પિતાને કંઈ રીતે સંભાળવા ? શા માટે આપણી સામાજિક વ્યવસ્થામાં એવી કોઈ પ્રણાલી પ્રસ્થાપિત નથી કે જ્યાં પુખ્ત થતાં વડીલોની કુમળી લાગણીઓને આપણે સુરક્ષિત રાખી શકીએ. આપણે ગર્ભસંસ્કારમાં માનીએ છીએ અને એને ઉજવીએ અને જીવીએ પણ છીએ તો પ્રોઢસંસ્કાર કેમ નહિ ? આપણે ‘જનરેશન ગેપ’ના નામ પર ઘણી વખત આ વાત અવગણી નાખીએ છીએ પણ આ વિષય પર વાત કરવાનું હંમેશા ટાળીએ છીએ. એક સંતાન વધતી ઉંમર સાથે પ્રગતિ તરફ આગળ વધે છે જ્યારે તેના માતા – પિતા જીવનના અંત તરફ આગળ વધે છે, એ સમયે સ્વભાવમાં પરિવર્તન વ્યાજબી છે, બાળકને પા – પા પગલી શીખવવા અને તેને દુનિયામાં સેટલ થવામાં આપણે પુરે પૂરી મદદ કરીએ છીએ એ જ રીતે જીવન જીવી ચૂકેલા નિવૃત્ત થયેલા/ થવા જઈ રહેલા આપણા માતા – પિતા અને વડીલોની કાળજી રાખવી પડશે. સંશોધનો દર્શાવે છે કે પ્રોઢ/ વધતી ઉંમરે વડીલોને આ મુજબની કેટલીક કાળજી/કેર/હુંફ ની જરૂર હોય છે.


1. રોજબરોજના જીવનમાં ગોઠવણમાં મદદ આવશ્યક છે, સતત કેટલાય વર્ષોથી નોકરી/વ્યવસાય કરીને કે એક પ્રવૃત્ત ગૃહિણી બનીને સતત કામ કર્યું હોય ત્યારે અચાનક આવી પડેલો ફ્રી (free) ટાઈમ એમના માટે હેન્ડલ કરવો અઘરો હોય છે.


2. સુરક્ષા સંબંધી સવલતો : ઉંમરના આ તબક્કે નાની – મોટી દરેક વસ્તુ પર અન્ય પર આધારિત થવાનું એમના માટે એક અજુગતો અનુભવ છે, જેના કારણે ઘણીવાર તેઓ સંકોચ રાખે છે કાં તો પછી ચિડાય જાય છે. દા. ત. પોતાના ફાયનાસીસનું મેનેજમેન્ટ, ખરીદી, દવા કે ડોકટરની વિઝીટ વગેરે.


3. શારીરિક કે માનસિક સમસ્યાઓ : નાની મોટી શારીરિક કે માનસિક બિમારીઓ પણ તેમના વર્તન અને વ્યવહારને બદલી શકે છે.


4.  ગૂણવતાસભર જીવન : અમુક સમય પછી ગૂણવતાસભર જીવન ટકાવી રાખવું એ બહુ ચેલેંજીંગ હોય છે જેના કારણે પણ કેટલાક વ્યક્તિમાં ફરસ્ટેશન અને અકળામણ ઉત્પન્ન થતી હોય છે. જેમ કે કેટલાક ગંભીર કે સામાન્ય રોગો – ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ કે અલ્ઝાયામર.


5. સબંધોની માવજત અને પરિવારની ગરિમા : હવે મોટાભાગના વડીલો માટે આ બદલાવ ભુંકપના આંચકા જેવો હોય છે, સંબંધોની ગોષ્ઠિ પોતે જેમ ગોઠવી છે, સ્વાભાવિક છે એમના સંતાનો તદ્દન એ જ ફોલો કરશે એવી અપેક્ષા અતિશયોક્તિ ભરી છે, મનનું ધાર્યું નથી થતું ત્યારે તકલીફ થાય એ સહજ છે અને બીજું કે જ્યારે વર્ષોથી ઘરને એકજૂથ કરીને રાખ્યું હોય, જુદા જુદા નિર્ણયો લીધા હોય અને હવે જ્યારે મૌન રહીને ઘરની અંદર બનતી ઘટના પ્રેક્ષક બનીને જોવાની થાય ત્યારે મૂંઝારો તો થાય જ ને ?


6. જાત – સંભાળ (Self- care) : આપણા માતા – પિતા હંમેશા આ બાબતે કાચા જ રહ્યા છે, એમને પોતાની જાતને સૌ પ્રથમ મૂકતા કે પોતાની જાતને લાઇલાઇટમાં મૂકતા આવડ્યું જ નથી, એટલે આપણે એ સ્કીલ સેટ કરવા માટે એમને મદદ કરવી જ પડશે.


અચ્યુતની વાત પરથી આ વિચાર આવેલો અને મને લાગે છે કે આ સમયે ખરેખરે આપણા સમાજને આવા પ્રકારના એક દૃષ્ટિકોણની જરૂર છે. દરેક ઘરોમાં નાના – મોટા કલેશ/જઘડાઓ વર્ષોથી ચાલે છે, પણ આ મુદ્દાને આપણે આ દૃષ્ટિથી એકવાર જોઈએ અને ધીરે ધીરે અપ્લિકેબલ બનાવીએ તો કદાચ સંબંધોમાં એક નવી સુવાસ પ્રસરે. લોકો એકબીજાની વધુ નજીક આવી શકે. જે રીતે બાળકના જન્મ પહેલાં, દરમ્યાન અને પછી આપણે આપણી જાતને તૈયાર કરીએ છીએ અને પૂરતી કાળજી રાખીએ છીએ કે કોઈ જ ક્ષતિ ન રહે, બસ એવું જ વલણ વૃદ્ધ થતા માતા – પિતા પ્રત્યે કેળવવાનું છે.


છેલ્લો કોળિયો: જેટલી ધીરજ અને આસ્થા આપણા માતા – પિતાએ આપણને મોટા કરતી વખતે રાખી હતી કદાચ એનાથી ઓછી ધીરજ અને આસ્થા આપણે એમના ઘડપણને સમજવા માટે આપવાની જરૂર છે. મનના કોઈ ખૂણામાં વૃદ્ધ થતી વ્યક્તિના મનમાં આ વિચાર જરૂર આવતો હશે. જે કવિયત્રી પાયલએ બહુ યોગ્ય રીતે લખેલો છે.

“जीवन खोए हुई लोगो से और चीजों से भरा पड़ा है, पर फिर भी खाली सा है । “


– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · codependent · dependency · life · lifestyle · mental health · moral values · parenting · society · Uncategorised · youth

ઝગડાનો જનાજો

“થાકી ગયો છું, થાકી ગયો છું તારી આ જૂની વાતોથી. તું આમ હથિયારની જેમ જ્યારે જ્યારે વાપરે છે ત્યારે ત્યારે મને ડાઉટ થાય છે કે તું આ બધું રેકોર્ડ કરીને રાખે છે, એટલે ફરી વખત આપણો ઝગડો થાય ત્યારે તું એને વેપેન તરીકે યુઝ કરી શકે, અને હું લાચાર અને હથિયાર વિહોણો ઊભો હોઉં અને તું જીતી જા.”

આવા પ્રકારનું એક ઉદાહરણ આપીને મારી ક્લાયન્ટ શ્રીમતી અનુરાધા અગ્રવાલ ચૂપ થઈ ગઈ, અને એની લગોલગ બેઠેલા શ્રીમાન અવધ અગ્રવાલ ચિંતાતુર ભાવે થોડીવાર મને અને થોડીવાર એમની પત્નીને જોઈ રહ્યા અને ઊંડો નિસાસો નાખતા બોલ્યા.

“જુઓ, મેડમ આ વાત તદ્દન સાચી છે, હું આવું 100% એ 100% બોલ્યો છું, પણ એની પાછળ કારણ છે. જે હજાર વખત સમાજાવ્યા છતાં અનુ (અનુરાધા) નથી સમજતી, મેં એને કહ્યું છે કે તું ભૂતકાળને પકડી પકડીને નહિ ચાલ, જે થઈ ગયું એને જવા દે અને વર્તમાન અને ભવિષ્યમાં જીવ. જૂની વાતોને ખોદ ખોદ કરવાથી શું મળશે ? પણ ના એને હંમેશા જૂની વાતોનો જનાજો લઈને ફરવું હોય છે અને પોતાની જાતને બિચારી સાબિત કરવી હોય છે.”

લગભગ એક શ્વાસે આ બધું બોલીને અવધ શાંત થઈ ગયો.

આ પતિ – પત્નીનો કેસ ભલે નવો હોય પણ કિસ્સો મારા માટે નવો નથી કેમકે પતિ અને પત્ની વચ્ચે કે થોડું વધુ સ્પષ્ટ કરતા સ્ત્રી અને પુરુષ વચ્ચે આવો વિવાદ થવો સ્વાભાવિક છે. કેમ કે બંનેની પ્રકૃતિ અલગ છે, વિચારવાની, વર્તવાની અને વાગોળવાની રીત નોખી નોખી છે. ઝગડો કરવાની અને એને પચાવવા માટે બંનેની હોજરી પણ ભિન્ન છે. તો આનો ઉપાય શું ? આપણે બંનેના દૃષ્ટિકોણથી સમજીએ. જ્યારે સ્ત્રીઓ જૂની વાતોને યાદ કરીને વર્તમાન ઝગડામાં લાવે છે ત્યારે એની પાછળ કેટલાંક સંકેતો હોય છે જે એની મનોદશાને છતી કરે છે.

  1. हम साथ साथ है! : એટલે કે સ્ત્રીઓ જો વારંવાર આ પ્રકારનું વર્તન કરી રહી છે તો ક્યાંક એ એના મનમાં એવી ઇચ્છા છે કે તમે આ એની સાથે છો અને હંમેશા એની સાથે જ ઉભા છો એની ખાતરી એને જોવે છે. એટલે કે તમે બંને એક જ ટીમમાં છો ઓપોજિશન પાર્ટીમાં નથી.
  2. धोकाधाडी! : આ ટાઇટલને લિટરલી નથી લેવાનું પણ હા, ઘણીવખત સ્ત્રીઓ એવા મનોભાવમાં હોય છે કે ઘણી બધી વખત ચાન્સ આપ્યા છતાં અંતે એમના પાર્ટનર તરફથી એમને દગો મળ્યું, આ દગો મોટેભાગે આવેગિક (emotional) હોય છે. જેમાં તેની ધારણા મુજબનું વર્તન ન થયું હોય અથવા તો એના માટે અયોગ્ય કે અછાજતું છે એવું વર્તન થયું હોય છે.
  3. सुन रहा है ना तू ! : ઘણા બધા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે સ્ત્રીઓ ભૂતકાળને વાગોળે છે કેમ કે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ પોતાના ભાવ અને આવેગોને ખુલ્લા કરવા માંગે છે અને તે ઈચ્છે છે કે એમના પતિદેવ એમની મનોસ્થિતિ સમજે અને એને વેરીફાઈ કે અકનોલેજ કરે.
  4. जैसे थे वैसे है ! : આ કારણ મોટાભાગે જોવા મળે છે કેમ કે પુરુષ જેવા છે એવા કુદરતી રહેવાના જ છે, સ્ત્રીઓ ઈચ્છે છે કે અગાઉ જે ચર્ચા થઈ એ પ્રમાણે એમનામાં નાનો મોટો ચેન્જ આવે, અને જ્યારે તે કોઈ પણ પ્રકારનો બદલાઉં નથી જોતી ત્યારે એ ફરી જૂની વાતોને યાદ કરીને અફસોસ કરવાનું શરૂ કરી દે છે.
  5. उलझन नहीं सुलझी होगी! : આ એક મહત્વનું કારણ છે, સ્ત્રીઓ જ્યારે પોતાની જૂની વાતોને જઘડામાં વેપેન તરીકે વાપરે છે એનો મતલબ એ પાછળનો જઘડો હજુ સુધી શરૂ જ છે, એ મુશ્કેલી હજુ ક્યાંક ઉભરીને ઉગેલી જ છે. જરૂર છે એના પર પહેલા કામ કરવાની.

હવે અહીં હું ન્યુટ્રલ રહેતા પુરુષ જાતિની પણ મનોદશા વર્ણવી દઉં. કે શા માટે પુરુષોને એવું લાગે છે કે સ્ત્રીઓ જૂની વાતોને હથિયાર બનાવીને વાપરે છે કેમ કે એમને જીતવું હોય છે!

  1. भूल गया सब कुछ! : મોટાભાગે પુરુષો નાની નાની વસ્તુઓને પોતાની મેમરીમાં સ્ટોર કરવાનું ટાળે છે, જેના કારણે એમને આ લાગણી સતત થાય છે કે સ્ત્રીઓ આવી જીણવટ પૂર્વક વિગતોને નોંધે છે અને પછી એને નવા વિવાદમાં યુઝ કરે છે જે એના માટે કોન્ટેકલેસ છે.
  2. में ऐसा क्यों हु! : આ વસ્તુ પાણી જેવી સાફ છે કે પુરુષો પ્રેકટિકલ વધુ હોય અને સ્ત્રીઓ ઈમોશનલ. અને એટલે જ તેમની વિચારવાની અને સંબંધોને જોવાની ટેકેનિકાલિટી જુદી જુદી હોય જ.
  3. लब्ज़ रहने दो तुम आंखो से कह दो! : હવે આ વાતને ઘણા પુરુષો ઘોળીને પી ગયા છે એટલે તેઓ શબ્દોથી નહિ પણ વર્તનથી દેખાડે છે કે એમની પાર્ટનરશીપ મજબૂત અને ટકાઉ છે. પણ સ્ત્રીઓ જ્યારે ઝગડામાં જૂની વાતો લઈને આવે ત્યારે એ બેબાકળા થઈ જતાં હોય છે અને નેક્સ્ટ મોવ પર ઘણી વખત અણધાર્યો વળાંક લઈ લે છે.
  4. आखिर मेरी गलती क्या है! : આ મુદ્દામાં પુરુષ બેલેન્સ જાળવી રાખવાનું કામ કરે છે, તે પોતાના માતા- પિતા અને તેની પત્ની આ બે પેઢી સાથે સંકલન સાધવાનું કામ ખૂબ જ કાળજીપૂર્ણ કરે છે, તેમ છતાં જ્યારે વારંવાર ફરિયાદનો ટોપલો તેના તરફ ઢોળી દેવામાં આવે ત્યારે તે વધુ મૂંઝાતો હોય છે.
  5. चलो जाने दो अब छोड़ो भी: પુરુષો અલ્પવિરામ ને પૂર્ણવિરામ સમજીને જે થઈ ગયું એ થઈ ગયું, અર્થાત્ રાત ગઈ બાત ગઈમાં માને છે, એટલે જ પાછલો ભૂલીને આગળ ચાલે છે, અને જે ઘણી વખત એના માટે તકલીફ ઊભી કરે છે.

આખી વાત થોડી કોમ્પલેક્ષ લાગશે, જે સ્વાભાવિક છે કેમ કે માનવીના મનોવલણને સમજવું એટલું ક્યાં સરળ છે!

પણ આપણે અનુરાધા અને અવધમાં કિસ્સાની વાત પર પાછા આવીએ તો, બંનેનું યોગ્ય રીતે અને યોગ્ય સમય સુધી રીલેશનશીપ કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ થયું, જ્યાં જરૂર લાગી ત્યાં ફેમિલી સેશન્સ પણ થયા. અને અંતે આ વાર્તાનો અંત ‘ખાધું પીધું ને રાજ કર્યું’ એ રીતે થયો. પણ દરેકની વાર્તા આટલી સરળ નથી હોતી કેટલાંક કિસ્સાઓમાં વર્ષો સુધી એક પાત્ર રિબાઈ છે તો કેટલાકમાં હિસ્સામાં છૂટાછેડાનો દોર આવે છે, પણ થોડી સમજથી આપણો સંબંધ અને સમાજ મહેકી શકે છે જરૂર છે પ્રયત્નની.

લી.

ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય (RCT-C, PhD(Psy))

behavioral patterns · child development and care center · children · codependent · dependency · Health solutions · India · life · lifestyle · mental health · moral values · observations · parenting · society · youth

Animal but not social animal ! ✨

અબ્રાહમ મેસ્લોએ દર્શાવેલ જરૂરિયાતના સિદ્ધાંત મુજબ સૌથી નીચેના સ્તરે અથવા તો દરેક પ્રાણી માત્રની પ્રાથમિક જરૂરિયાત એ શારીરિક જરૂરિયાત છે અને એના પછી આગળ વધીએ કે ચાલીએ તો બીજી કેટલીક આવશ્યકતાઓ પર પહોંચીએ અને અંતે સ્વ-સાર્થકતા ( self actualization)ના સ્તર પર પહોંચીએ.

We are a product of our genetics and our environment. અર્થાત આપણું ઘડતર આપણને મળેલો શારીરિક વારસો અને વાતાવરણ પર આધારિત છે. આ વિષય પર અસંખ્ય સંશોધનો થઈ ચૂક્યા છે અને દરેક રિસર્ચના પરિણામો એક મુખ્ય તારણ પર પહોંચ્યા છે કે વ્યક્તિના વ્યક્તિત્વના સારા કે ખરાબ પાસાંઓ માટે એનું શારીરિક, માનસિક અને ભૌગોલિક પર્યાવરણ બહુ મહત્વનો ભાગ ભજવે છે.

2012ના દિલ્હી શહેરમાં એક કેસથી દરેક સંવેદનશીલ મનુષ્યના મન હચમચી ગયેલા, તે નિર્ભયા કેસ પરની એક ડોક્યુમેન્ટરી “India’s Daughter” માં અહમ ભૂમિકા ભજવનાર કિલનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. મધુમિતા પાંડેએ 150 કરતા પણ વધુ તિહાર જેલના કેદીઓના ઈન્ટરવ્યુ કર્યા, જેમાં તેમણે નોંધ્યું કે જે કેદીઓએ કોઈ વ્યક્તિની હત્યા કરી હતી તેઓની અંદર ‘અપરાધ ભાવ અને અફસોસ ભાવ’ જોવા મળેલો પરંતુ જે કેદીઓ બળાત્કાર પછીની સજા ભોગવી રહ્યા હતા, તેઓની અંદર ‘ અપરાધ કે અફસોસની ભાવના’ બહુ નિમ્ન હતી, પરંતુ તેઓ માનતા હતા કે જે પણ એમણે કર્યું છે એ ખૂબ યોગ્ય હતું અને સ્ત્રીઓ એ જ લાયક હોય છે એ પ્રકારનું વલણ જોવા મળ્યું.

https://www.thelily.com/a-woman-interviewed-100-convicted-rapists-in-india-this-is-what-she-learned/


આ બધી વાતો અને વિષયો અહીં શું કામ ! કેમ કે હવે પછીના વિષય માટે આ અભ્યાસોનો આધાર ખૂબ જરૂરી છે. તો અહીં વાત કરવાની છે હાલમાં બહુ ચર્ચિત એવા ચલચિત્રની જેનું નામ છે એનિમલ (ANINAL)
ડાયરેકટર અને સ્ક્રીન પ્લે લેખકની બે વાતથી હું પ્રભાવિત જો હોઉં તો એક ફિલ્મનું સુયોગ્ય નામ રાખવા બદલ કેમકે ખરેખર આ ફિલ્મ પ્રાણીઓ વડે બનાવાયેલી પ્રાણીઓ દ્વારા ભજવાયેલી પ્રાણીઓ દ્વારા જોવાય એવી જ પટકથા છે. (સામાજિક પ્રાણીઓનો સમાવેશ અહીં તદન નથી કરવામાં આવતો.) અને અને બીજું સારું સંગીત આપવા બદલ.

તો ફિલ્મ નિર્દેશકશ્રીને, તેમાં ભૂમિકા ભજવનાર કલાકારોને અને જે જૂથને આ ફિલ્મ ખૂબ ગમી છે તેમને કેટલાક પ્રશ્નો પૂછવા જેવા ખરા.

1. તમે લોકોને પિતા – પુત્રની પ્રેમ અને નફરતની કથા ટ્રેલરમાં બતાવી પણ ખરેખર એ આખી સ્ટોરીમાં પીરસવામાં તમે કેટલા ટકા સફળ રહ્યા છો !


2. કહેવાય છે કે કોઈ સારું નાટક નવરસનું યોગ્ય મિશ્રણ હોય છે, અથવા તો કોઈ એક શૈલીને ઉત્તમ રીતે પ્રદર્શિત કરતું હોય તેવું હોઈ શકે, પણ હૈ સંદીપભાઈ અહીં રોદ્રરસના ચક્કરમાં બિભસ્ત રસ (disgust ) કેમ લોકોને પીવરાવ્યો તમે !


3. હે ભાઈ, એક વાત કહેશો ! તમારા મતે આક્રોશ પડદા પર મૂકવો એની વ્યાખ્યા શું ! આક્રોશ અને ગુસ્સો દેખાડવવો એટલે કોઈ પણ જાતના કાનૂની કે ઉપરી દબાણ કે પ્રભાવ વગર, દુનિયાની વાસ્તવિકતાથી માઈલો દૂર જઈને કંઈ પણ હબક ચીતરી દેવું ! કે પછી આવી કુહાડી અને બંદૂકની ટ્રેનીંગ તમે બહુ પહેલા મેળવી ચૂક્યા છો એટલે જ આટલા જોમથી તમારા નાયક અને ખલનાયક પાસે આ કારીગરી કરાવો છો !


4. હવે પ્રશ્ન નાયક અને ખલનાયક ભાઈઓને ! મદિરા અને ધૂમ્રપાનનું સેવન, હિંસા અને વાસના દેખાડીને જ મર્દાનગી સાબિત થઈ શકે ! અને આના માપદંડો નક્કી કોણ કરશે ! પોતાની બહેનની છેડતી કરનારને મારવા કોઈ હાઇસ્કુલ સ્ટુડન્ટ રાયફલ ગન લઈને શાળા કે કોલેજમાં પ્રવેશી શકે !, એક આધેડ ઉંમરનો આઠ બાળકોનો પિતા અને બે પત્નીઓનો પતિ એના ત્રીજા લગ્નની સેરીમનીમાં કોઈ વ્યક્તિની આંખમાં ચાકુ ખોપીને એની હત્યા કરીને એ સ્થળે એની એક નહિ બે પત્નીઓનો બળાત્કાર કરી શકે ! પોતાના પતિના લગ્ન બહારના સંબંધની જાણ પત્નીને થાય તો પતિને હક મળી જાય છે પિસ્તોલ કાઢવાનો ! કે પછી એના શરીરને ફરી એકવાર ચૂથીને એને એની જગ્યા બતાવવાનો ? કોઈ ખૂપિયા વ્યક્તિ કે દુશ્મને મોકલેલ વ્યક્તિ સાથે સેકસ કરવાથી અને એને તમારા બુટ ચાટવાનું કહેવાથી તમે શક્તિશાળી પુરુષ બની જાઉં !


5. હવે વાત કરીએ નાયિકાઓની, હે બહેનો, એક જવાબ તો આપો ! તમે કોઈ ભ્રમમાં તો નથીને કે તમે બહુ ઉચ્ચ કક્ષા પર છો અને બહુ જ ઉમદા કામ કરો છો ! કેમ કે તે વાતમાં ઘણી શંકાઓ છે, જો પડદા પર તમારો ઉપયોગ માત્રને માત્ર શરીર સુખ માણવા માટે કે એવા અશ્લીલ દ્રશ્યો બતાવવા માટે કે પછી તમારા સુડોળ શરીરની અર્ધ નગ્નતા બતાવવા માટે અને તે કથામાં તમારી ભૂમિકા માત્ર લોકોને લલચાવવા કે આકર્ષવા માટેની જ હોય તો, તો તમારા કરતાં વધુ ગૌરવશાળી કામ તો લોકોના ઘરે વાસણ – કપડાં અને સફાઈ કરતી બહેનો કરે છે, કેમ કે એના દરેક નિર્ણયો એ જાતે નક્કી કરે છે અને હા, એને કામ અને આવડતના કારણે રોજી મળે છે એના માટે એને કોઈ અયોગ્ય કે અણછાજતું કામ કરવું નથી પડતું! હશે પણ ફિલ્મોની અંદર તો તમારી મરજી, તમારી સ્કીલ અને તમને મળતું વળતર પુરુષ જાતિની એકસમાન જ હશે, નહિ !


6. હવે વ્હાલી જનતા, તમને શું ગમ્યું આ ફિલ્મમાં ! સ્ટોરી, વર્ણન, વર્તન, હિંસા, ઇન્ટીમેટ દ્રશ્યો, એક્ટિંગ કે પછી સાવ અકાલ્પનિક એવી કાલ્પનિક કથા !

હવે તમે પણ મને પૂછશો કે આટલું બધું સંવેદનશીલ થવું જરૂરી છે એક બિગ બજેટ ફિલ્મ માટે ! શું એક ત્રણ કલાક આપણા સમાજ પર હાવિ થઈ જશે ! લોકો એમની સૂઝ અને સંસ્કારો છોડીને આવા વ્યક્તિઓ થઈ જશે ! શું પહેલા આવી કોઈ ફિલ્મો નથી આવી !

આ બધા જ પ્રશ્નો યોગ્ય છે, મારા જવાબમાં હું એવું કહીશ કે હું કે મારું જેવું વિચારી રહેલા લોકો સંવેદનશીલ એક ફિલ્મ પૂરતા નથી પરંતુ ધીરે ધીરે ઊભી થતી આવા પ્રકારની માનસિકતા પ્રત્યે છીએ. જેવી રીતે શરીરને એક પ્રોપર લેવલ પર લાવવા કે ફીટ રાખવા માટે દરરોજ કરવામાં આવતી કસરત, નિયમિતતા, યોગ્ય ડાયટ તથા વ્યક્તિની તેના પ્રત્યેનું હકારત્મક જુનુન મળીને નક્કી કરે છે કે 6-12 મહિના પછી ફીટ અને આદર્શ શરીર તૈયાર થશે કે પછી પેટ ફેમિલીપેક બનીને બહાર લટકશે. આ જ સિદ્ધાંત આપણાં જગતને પણ લાગુ પડે છે. ધીરે ધીરે આ આલ્ફામેન, આક્રમક વૃત્તિ, અશ્લીલતા, સિગારેટ અને દારૂનો નશો, સ્ત્રીપાત્રોનો સેકસ અને નગ્નતા ચીતરવા માટે થતો ભરપૂર માત્રામાં ઉપયોગ, સાયકોપેથ અને ક્રિમીનલને નાયક બનાવીને સમાજ સામે મુકીને લોકોની વાહવાહ ભેગી કરનાર આ નિર્દેશકો એક વાતથી અજાણ છે કે તેઓ સમાજને ઉદ્યય બનીને ખાઈ રહ્યા છે.

આ દરેક વસ્તુને તેઓ ભલે કાલ્પનિક છે, ફિલ્મ છે, એમના જગત અને ચેતન મનની ઉપજ કહે પણ તેઓ એ કેમ ભૂલી જાય છે કે વ્યક્તિના વર્તન પાછળ અને વર્તન માટે માસ – મીડિયાનો બહુ મોટો રોલ છે. એટલે જ વાસ્તવિક જગત પર સિનેમા-જગતની અસર પડ્યા વગર નથી રહેતી!
અને જે લોકો એવી દલીલ કરે છે ફિલ્મ જોવા જઈએ ત્યારે મગજ થિયેટરની બહાર મુકીને જવાનું તો ઝરા મને સમજાવશો કે આપણે આપણાં પેહરવેશ, વાતો અને વિચારોનો દોર આ ટ્રેન્ડ મુજબ કેમ ચલાવીએ છીએ ? આ વાત સ્વીકારો કે નહિ પણ વ્યક્તિની સામે ભજવાતી દરેક ઘટનાની છાપ એના માનસપટ પર હંમેશ માટે અંકિત થઈ જાય છે, એની માત્રા અને એનું પ્રમાણ નક્કી કરે છે તેના વ્યવહાર અને વર્તનમાં બહાર આવશે કે નહીં. અને જે રીતે અત્યારે ફિલ્મો આવી રહી છે એ જોતાં એવું જ લાગે છે કે આપણી અંદર સંવેદનો ઓછા થઈ રહ્યા છે, જો આપણે બીજાની પીડા જોઈ ખુશ થઈએ છીએ, હિંસા જોઈને આનંદ માહલીએ છીએ તો આપણે ડરવાની જરૂર છે કેમકે આ એક માનસિક બીમારીની નિશાની છે, આની અતિશયોક્તિ કદાચ વ્યક્તિને sadist ( ક્રૂરતામાં જાતીય આનંદ માણનાર) અથવા voyeurism (પરપીડાન વૃત્તિ) સુધી લઈ શકે છે.
હવે નક્કી તમારે કરવાનું છે કે ક્યાં પ્રકારનું વલણ સ્વીકારવું, જોવું અને વખાણવું છે અને ક્યાં પ્રકારનું નહિ !

છેલ્લો કોળિયો : જે રીતે રસ્તા ઉપર મળી રહેલા ફાસ્ટફૂડને ટેસ્ટી બનાવવા અને બતાવવા, લોકોને લલચાવવા અને એક ખોટો હાયપ ઊભો કરવા બટર અને ચીઝનો થપ્પો કરી દેવામાં આવે છે, કંઇક એવી જ રીતે હલકી કક્ષા અને વાહિયાત માનસિકતા ધરાવતી સ્ટોરીલાઈનને ઉત્તમ બતાવવા ભરપૂર હિંસા, સેક્સ સીન્સનો ઢગલો અને અનુશાસન વગરની દુનિયા ઊભી કરવામાં આવે છે, અને લોકો તર્ક અને જ્ઞાનને નેવે મુકીને શરીર અને મનને ખરાબ કરવાના પૈસા અને સમય બંને હસતા મોઠે આપે છે, ત્યારે ફરી એકવાર સાબિત થાય છે કે આ કળયુગ છે.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · Canada · Health solutions · India · life · lifestyle · observations · society

કુદરતનો તટસ્થ વ્યવહાર ✨

ઉમંગ નામનો એક છોકરો ગુજરાતના એક અંતરિયાળ ગામડામાં રહે છે, એના જીવનમાં ગરીબી છે, અને સુવિધાઓની અછત છે, પૂરતું માર્ગદર્શન તો છોડો પણ ઘરની બહાર માર્ગ પણ ઠીકઠાક છે પણ એ રોજ સવારથી સાંજ સુધી ખંતપૂર્વક ખેતી કરે છે.

આરવ નામનો એક યુવક બેંગ્લોરની એક મોટી કંપનીમાં સારા એવા હોદા પર કામ કરે છે, એની પાસે આવડત છે પણ ઓળખાણનો અભાવ છે, જીવનના ધકકાઓની સાથે એ રોજ બસ – ટ્રેનના ધકકાઓમાં સંપડાયેલો છે.

કેમર્બેલી નામની એક યુવતી કેનેડાના એક શહેરમાં રહે છે, એને ડોકટર બનવું છે પણ પૈસા અને શરીર સાથ નથી આપતું, નાની – મોટી નોકરીઓ કરીને પૈસા ભેગા કરે છે અને જીવનમાં આવતા પડાવોનો સામનો કરવા તૈયાર થાય છે.

બર્લિન નામનો યુવક બાંગ્લાદેશમાં રહે છે, એના જીવનમાં આવેલા એક અકસ્માતના કારણે એની હચમચી ગયેલી દુનિયાને માણ માણ કરીને સુ – વ્યવસ્થિત કરવાના પ્રયાસો કરે છે.

ફાતિમા નામની એક પાકિસ્તાની છોકરી જાત અને સમાજ સામે લડી રહી છે, પોતાના હકો અને અધિકારો માટે. હાઉસ વાઈફ તરીકે કામ કરતા કરતા એ પત્ની અને પુત્રવધુ બનવાની ઘટનામાં જે એની જાત ખોવાય ગઈ છે , તેને શોધી રહી છે.

મહેર નામક એક ટ્રાન્સ પ્રયાસ કરે છે કે લોકો એની લાગણીઓને સમજે, સમાજની રચાયેલી એક ચોક્કસ જગ્યાઓમાં ક્યાંક એના માટે પણ ખાલી જગ્યાઓ હોય જેને એ પૂરી શકે.

બ્રેન ન્યુજર્સીમાં રહે છે અને જન્મજાત મળેલી બીમારી સાથે એ દિવસ રાત લડે છે, અને શોધે છે કે કોઈ રીતે આ પીડામાંથી આઝાદ થાઉં અને એક સમાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવું.

સાઈન નામનો એક તરુણ માં – બાપની ઈચ્છાઓ નીચે દબાઈ ગયો છે, એનામાં રહેલું કૌશલ્ય હવે એના માટે ભારરૂપ છે કેમ કે, હવે એને મનથી વાયોલિન વગાડવું નથી ગમતું પરંતુ મા – બાપની ફરમાઈશ પૂરી કરવા પૂરતું જ આ વાદ્ય એ પકડે છે.

આ બધાના જીવનને જાણી ને શું કામ છે ? એવો જ વિચાર આવતો હશે ને! ઉમંગથી લઈને સાઈન સુધીના લોકોની જીવનની વાત એટલા માટે કરી કેમ કે વધુ એક વાર આપણે એ જાણી શકીએ કે જીવનમાં કુદરત બહુ તટસ્થ છે. એણે કોઈને વધુ પડતું કે ઓછું આપ્યું નથી કે આંક્યું પણ નથી, એવી જ રીતે દરેકના જીવનમાં કોઈને કોઈ તકલીફ, સમસ્યા, પીડા, અને દર્દ છે જ.

જે રીતે મૃત્યુથી કોઈ ઘર બાકાત નથી એવી જ રીતે તકલીફો અને પીડાથી કોઈ બચી શકયું નથી. દરેકના જીવનમાં દર્દ છે જ , ફર્ક માત્ર એટલો છે કે કોઈ એની સાથે રહીને રોજ દુઃખને ગાયા કરે છે અને કોઈ એની સામે થઈને રોજ તૈયાર થાય છે અને એક દિવસ ધીરે ધીરે એ પીડા મટીને જાય છે અને તાકાત બની જાય છે.

આપણે ટેવાય ગયા છીએ 30 થી 90 સેકન્ડની સમયમર્યાદામાં (span) કોઈની સફળતા જોવા, રાતોરાત કરોડપતિ બનતા એક ગરીબ વ્યક્તિને, અંધકારમાં સંપડાયેલા યુવકને મળતી અચાનક લાઇમલાઈટ, કોઈ સ્ત્રીએ હાંસિલ કરેલી અદ્રિતીય ઊંચાઈ

પણ

પણ

પણ

આ 30- 90 સેકન્ડમાં માત્રને માત્ર જીત્યા પછીની આખરી તસ્વીરો જ આપણે જોઈએ છીએ, આગળના સંઘર્ષો અવગણી નાખીએ છીએ. બહુ જ સહજ ઉદાહરણ જોઈએ, જ્યારે આપણે એકડો ઘુટવાનું શીખ્યા ત્યારે આપણને ભલે કોઈ ડિગ્રી, સર્ટિફિકેટ કે નામના ન્હોતી મળી, પણ એ જ એકડાના અભ્યાસથી આગળ શિક્ષણ મેળવીને જેમ નામચીન થતા ગયા, એનાથી રોટલો અને ઓટલો પામતા ગયા ત્યારે એ ઘુટેલા એકડાનું મહત્વ સમજાય.

એ જ રીતે કોઈ તકલીફમાંથી બહાર નીકળવા માટે મહેનત અને સાહસના અંકોને સતત શ્રધ્ધાપૂર્વક ઘૂટવા જ પડશે અને અંતે આપણું અતિ ભવ્યથી ભવ્ય લક્ષ્ય પણ આપણે સાકાર કરી લીધું હશે.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · Canada · children · Health solutions · husbandwife · India · life · lifestyle · mental health · society

जी जायेंगे हम, भूल जायेंगे अगर 🍀🧠

“બહુ થયું, હવે બહુ થયું, કેટલીવાર આ એકની એક વાત સાંભળું? શું કરું હું તારી માફી પામવા માટે ? તું મને એકવાર કહી દે.”

ક્લિનિકના વેઇટિંગ એરિયામાંથી આ અવાજ સંભળાયો. હું ઊભી થઈને બહાર ગઈ તો જોયું કે એક વૃદ્ધ દંપતિ કાઉન્સેલિંગ માટે આવેલું હતું. બંનેને કલીનિકની ઓફિસમાં બેસાડ્યા અને પછી એમની સાથેનું સેશન શરૂ કર્યું. અત્યારે સુધી શાંત બેઠેલા ચારુબેન હવે ગાજવીજ સાથે પોતાની લાગણીઓનો વરસાદ કરવા લાગ્યા.

“ડોકટર, તમને શું કહું ! આ ઋતુના પપ્પા મને બહુ દુઃખ આપે છે. મેં એમનું ઘર ચલાવ્યું છે પણ ક્યારેય કોઈ માંગ કરી નથી. મેં હંમેશાં બચત કરીને છોકરાઓને મોટા કર્યા છે, એમને મારા પર હાથ ઉપાડ્યો છે અને ઘણી વખત મારી મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધવા મજબૂર પણ કરી છે. આ વાત હું એમને યાદ કરાવું છું, તો એમને ગમતું નથી. પણ જે કર્યું છે એ તો સાંભળવું જ પડે ને! તમે જ કહો હું ખોટી છું આમા?


ચારુબેનનો અવાજ બંધ થયો, એ જ ક્ષણે અતુલભાઈ રડમસ અવાજે બોલ્યા,

“મેડમ, હું માનું છું મારે આવું ન્હોતું કરવું જોઈતું, આ ભૂલ માટે મેં એની માફી પણ ઘણીવાર માંગી છે, પણ ડોકટર મારો ઉછેર એવા માહોલમાં થયો છે કે જ્યાં આ બધું મેં જોયું છે મને સહજ લાગતી આ વસ્તુઓ કેટલી ખોટી હતી! એ મને ઘણું મોડું સમજાણું પણ સાચું કહું છું, 20 વર્ષ પહેલાં થયેલી આ ભૂલ મને આજ સુધી તકલીફ આપે છે અને એના પછી ઘણો પસ્તાયો છું, અને માફી માટે કરગર્યો પણ છું, પણ ચારુંના મગજમાંથી આ વાત જતી જ નથી. અમારા ઘર વહુઓ છે દીકરીઓ એના સાસરે છે પણ ચારું, દરેક જગ્યાએ આ પોતાનું દુઃખ ગા – ગા કર્યા કરે છે, અને મને હલકો પાડે છે. મને એનો પણ વાંધો નથી પણ એના કારણે ચારુની પોતાની તબિયત બગડે છે. છેલ્લા બે વર્ષથી એને નાના – મોટા પેટ અને માથાના દુઃખાવા રહે છે. હજારો રૂપિયાની દવા પછી ફર્ક ના પડ્યો અંતે જનરલ ફિઝિશયને, તમને એટલે કે સાયકોલોજિસ્ટને મળવાનું કહ્યું છે. હવે તમે કહો આમા શું કરી શકાય. મારાથી બનતા દરેક પ્રયત્ન હું કરીશ. મારે ચારુને હસતી અને જીવન જીવતી જોવી છે આમ દુઃખને વાગોળતી નથી જોવી”

શિલાલેખ ઝાકળના ટીપાથી ધીમે – ધીમે ભીંજાય જાય એમ જ એક સખત કાળજાવાળો પુરુષ આંસુઓ વચ્ચે કણસતો હતો.

આપણે હંમેશા ફરિયાદ કરતા હોઈએ છીએ કે યાદ નથી રહેતું, પણ આપણી ભૂલવાની શક્તિને આપણે હંમેશા નજઅંદાજ કરી દઈએ છીએ. ટેકન ફોર ગારન્ટેડ ગણાતા આ વિસ્મરણનું કેટલો મહત્વનો રોલ છે આપણા જીવનમાં. મેમરી ક્યારેક દગો દઈ જાય તો ચાલે, પણ વિસ્મરણ જો દગો આપે તો જીવન જીવવું બહુ કઠિન થઈ જાય. એક વાર કલ્પના કરી જુઓ કે, દરેક દુઃખ આપણને યાદ રહેતું હોત તો ! તો શું થાત ? વર્ષો પહેલા ગુમાવેલા સ્વજનોને આજે પણ ભૂલી ન શક્યા હોત અને એ સમાચાર મળતા જ, જે રીતે ભાંગી પડ્યા હતા, અત્યારે એવા જ હોત. કોઈએ કહેલી વાત – વિવાદ સતત મનમાં રાખીને આપણે આપણા મનનો વજન અઘણિયાત સ્ત્રીઓની જેમ વધારી લીધો હોત. વીતેલી યાદો જો રોજ કોંસ્ટન્ટ પ્રમાણમાં પેલા શોશિયલ મીડિયામાં ચાલતા રિલ્સની જેમ સ્ક્રોલ થતી હોત તો ? કોઈએ કહેલા શબ્દો, કોઈનાથી દુભાયેલી લાગણીઓ, મમ્મીએ કે પપ્પાએ આપેલી વઢ કે મિત્રોએ કહેલા કડવા વેણ, જીવનમાં થયેલા ખરાબ અકસ્માતો અને અનુભવો જો ભૂલી જ ન શક્યા હોત તો ? ભૂલી જવું એટલે સારું છે કેમકે ભૂલી જઈશું તો આગળ વધી શકશું, રસીથી ખદબદતા પગમાંથી ડોકટર ખરાબ ભાગ કાઢીને નાખે છે કેમ કે શરીરના બીજા ભાગો સારી રીતે રહે, એવી જ રીતે આપણું મગજ ભૂલવાની શક્તિ ધરાવે છે જેનાથી આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ અને પ્રગતિ કરી શકીએ. અહીં વાતનો તાત્પર્ય એવો જરાય નથી કે મન ફાવે તેવું વર્તન કરવું અને પછી અપેક્ષા રાખવી કે સામેવાળી વ્યક્તિ ભૂલી જશે. પણ કેટલું જતું કરવું અને શું જતું કરવું એનું પ્રમાણ વ્યક્તિગત રીતે નક્કી કરવું જ જોઈએ.

આ કેસમાં ચારુબેન બે દાયકા પહેલા બનેલી યાદો આજે પણ રોજ તરોતાજા કરીને જીવે છે જેના કારણે જ એમના શરીરમાં નાની-મોટી ફરિયાદોનું આગમન થયું હતું. તેમની કેસ હિસ્ટ્રી લેવામાં આવી, CBT ઉપરાંત CST જેવી સાયકો થેરાપીથી ધીરે-ધીરે તેમની સારવાર કરવામાં આવી. તેમના હાલના રૂટિનમાં ફેરફારો થયા, પતિ-પત્ની વચ્ચે સંવાદોની ગોષ્ઠી થઈ. હવે ચારુબેન ધીરે-ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે.

છેલ્લો કોળિયો: કુદરતે યાદ રાખવાની ક્ષમતા આપી છે એટલે આપણે ઘણું બધું કામ કરી શકીએ છીએ એ સાચું, પણ એ જ ઉપરવાળા એ ભૂલવાની શક્તિ આપી છે એટલે જ આપણે વિકસી શકીએ છીએ, એ પણ યાદ રાખવા જેવું ખરું! 😊

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · children · dependency · life · lifestyle · mental health · moral values · observations · Uncategorised

Are you Comfortable?

અગસ્ત નામનો એક યુવાન હતો, ઘરમાં મમ્મી – પપ્પા અને એક વૃધ્ધ દાદા હતા. દાદા બહુ ચપળ અને બુદ્ધિશાળી હતા. અને પાછા કોઈના જીવનમાં ચંચુપાત કરવી એમને ગમતી પણ નહિ. એ તો મસ્તમૌલા પોતાના કામથી કામ રાખવાનું અને મસ્ત મજા કરવાની જરૂર જેટલું ભોજન કરી મોટા ભાગનો સમય એ વાંચનમાં પસાર કરતાં, દરરોજ સાંજે મિત્રો સાથે કુદરતના ખોળે બેસી જીવનને માણતા. ઘરમાં બધું સમુસુધરૂ ચાલતું હતું. કોઈ જાતની કંઈ મગજમારી નહોતી, ફેમિલી બિઝનેસ પણ સારો ચાલતો હતો. પણ દાદાને મનોમન અગસ્તની ચિંતા થયા રાખતી, કેમ કે પૌત્રને આમ ભણવાનુ અધવચ્ચે છોડીને સીધી ગાદી મળી ગયેલી એટલે જીવનમાં કોઈ જાતની સ્ટ્રગલ જોઈ કે જાણી ન્હોતી, એટલે જ એ ધીરે ધીરે કરીને પોતાના કમ્ફર્ટ ઝોનમાં ગોઠવાતો જાય છે. દાદાજીએ પોતાની ચિંતા દિકરા સાથે શેર કરી અને બીજા અઠવાડિયે જ કંઇક એવું બન્યું કે અગસ્ત માથે આભ ફાટ્યું. અગસ્તના પિતાને પેરાલીસનો હુમલો આવ્યો તકલીફ એટલી હતી કે હલનચલન તો દૂર પણ વાતચીત કરવી પણ મુશ્કેલ હતી. પિતાજી હોસ્પિટલમાં હતા એટલે ધંધાનું સંપૂર્ણ કારભાર એના માથે હતો. ખરીદી, વેચાણ અને માર્કેટિંગ આ બધું જે કોઈ વાર એણે કર્યું જ ન્હોતું તે તેની માથે આવ્યું. શરૂ શરૂમાં બહુ મૂંઝવણ થઈ, કેટલાક ખોટા નિર્ણયો લીધા અને પછી થાકી હારીને એક દિવસ ધંધો બંધ કરવાનું નક્કી કર્યું ત્યારે દાદાજી એ તેને પાસે બેસાડીને એક વાર્તા કહી.

“એક ગુરુ અને એક શિષ્ય હતા, એકવાર તે એક ગામથી બીજા ગામમાં જવા નીકળ્યા પણ સાંજ પડી ગઈ હતી અને ખૂબ થાક્યા હતા એટલે કોઈ વિસામો શોધતા હતા. ત્યાં જ એમને એક ઝૂંપડી દેખાણી અને ત્યાં આસપાસ નજર કરી તો એક ગરીબ માણસ દેખાયો, ગુરુ – શિષ્યએ વિસામો માંગ્યો અને ત્યાં થોડીવાર આરામ કર્યો. આરામ કર્યા પછી નીકળવાની તૈયારી કરતા હતા, ત્યારે એ ગરીબ માણસ પોતાની હેસિયત મુજબ સીધુ અને ભાતું લઈને આવ્યો, ગુરુજી ખૂબ પ્રભાવિત થયા. થોડીવાર બેઠા અને વાતચીત કરી ત્યારે એમની નજર બાજુમાં એક ખેતર પર પડી, એમણે પૂછ્યું કે આ આટલું વિશાળ ખેતર કોનું છે ? પેલા ગરીબ વ્યક્તિએ કહ્યું કે મારું છે, પણ હું ખેતર ખેડતો નથી, એક ભેંસ છે એના સહારે મારું ગુજરાન ચાલ્યા રાખે છે. ગુરુજીને અચંબો થયો. પણ કંઈ બોલ્યા નહિ. ગરીબીની વિનંતી પર રાત ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું, પણ અડધી રાત્રે ગુરુ અને શિષ્ય નીકળી ગયા અને પોતાની સાથે ભેંસ પણ લેતા ગયા. શિષ્ય આખા રસ્તે ગુરુજીને પૂછતો રહ્યો કે, “આ તો કેટલું ખોટું કહેવાય, એ બિચારા ગરીબ માણસે આપણને મદદ કરી અને આપણે એની એકમાત્ર રોજીને આમ ચોરીને આવી ગયા.”
ગુરુ કંઈ બોલ્યા નહિ, સમય પસાર થઈ ગયો અને એ વાતને ત્રણ વર્ષ વિતી ગયા, ગુરુજીએ એ ભેંસની માવજત ખૂબ કરી હતી. અને એક દિવસ શિષ્યએ લઈને ફરી એ ગામમાં ગયા, આ વખતે ભેંસને પરત કરવા અને એ ગરીબને મળવા જઈ રહ્યા હતા. ગરીબના ઘરે પહોંચ્યા તો જોયું કે ઝૂંપડીની જગ્યાએ હવે પાક્કું મકાન બની ગયું હતું અને વેરાન પડેલું ખેતર પાકથી લહેરાતું હતું. ગુરુ તે ગરીબને મળ્યા અને ભેંસ પરત કરી ત્યારે, ગરીબ સજળ આંખે કહ્યું કે, માયબાપ, આ જે પણ છે તમારા કારણે છે તમે જો મારી પાસે ભેંસ લીધી ન હોત તો હું આજીવન ગરીબીમાં જ જીવત, હું લાચાર અને પાંગળો બન્યું ત્યારે જ મને મારામાં રહેલી શક્તિ સમજાય.”


દાદાજીની વાર્તા અગસ્તને ગળે ઉતરી અને એ પણ ધીરે ધીરે એનામાં રહેલી શક્તિને ઓળખી ગયો અને જરૂર જણાય ત્યાં દાદાજીની સલાહ અને પપ્પાનું માર્ગદર્શન લીધું પણ ગોઠવાય ગયો. અગસ્તએ ધંધો ખાલી સંભાળ્યો જ નહિ પણ એને આગળ પણ વધાર્યો અને હવે અગસ્તના પિતા તેમની બીમારીમાંથી અને અગસ્ત તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે.

દાદાજી હવે ખૂબ ખુશ હતા અને એક સાંજે ફળિયામાં બેઠાં બેઠાં રામધારી સિંહ દિનકરની કવિતા વાંચતા હતા,

सच है, विपत्ति जब आती है,
कायर को ही दहलाती है,
सूरमा नहीं विचलित होते,
क्षण एक नहीं धीरज खोते,
विघ्नों को गले लगाते हैं,
काँटों में राह बनाते हैं।

गुण बड़े एक से एक प्रखर,
हैं छिपे मानवों के भीतर,
मेंहदी में जैसे लाली हो,
वर्तिका-बीच उजियाली हो।
बत्ती जो नहीं जलाता है
रोशनी नहीं वह पाता है।

बढ़कर विपत्तियों पर छा जा,
मेरे किशोर! मेरे ताजा!
जीवन का रस छन जाने दे,
तन को पत्थर बन जाने दे।
तू स्वयं तेज भयकारी है,
क्या कर सकती चिनगारी है?


છેલ્લો કોળિયો: આપદાને અવસર સમજીને ઉજવાતા થઈ જઈશું, અને તકલીફને તક સમજીને સળગતા અને પ્રગટતા થઈ જઈશું ત્યારે ત્યારે આપણે સફળ થઈ જઈશું

-Dr. Hiral Brahmkshatriya

behavioral patterns · codependent · dependency · Health solutions · life · lifestyle · mental health · moral values · observations · society

Discipline is success ✨

2020-2021માં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં કામ કરેલું, ત્યારે અલગ અલગ રીતે લોકોમાં વ્યસન મુક્તિ માટેના કાર્યક્રમો કરેલા. જેના માટે નવી નવી રીતો શોધી હતી, આ બધા અનુભવ દરમ્યાન એક વાર્તા સાંભળેલી, જે કંઇક આવી હતી.

એક આશ્રમ હતું જેમાં એક ગુરુ અને એમના શિષ્યો રહે, આ ગુરુ સહજ અને સરળ હતા, શિષ્યોને એમના જીવનમાં જે નાની મોટી સમસ્યાઓ આવે ત્યાં એમને યોગ્ય રાહ ચિંધતા બાકીના સમયે એ ધ્યાન કરતા અને ધર્મનું વાંચન કરતા રહેતા. આશ્રમમાં દરેક શિષ્યને પોતાની અનુકૂળતા મુજબ રહેવાની છૂટ હતી પણ આશ્રમનો એક જ નિયમ હતો કે આશ્રમના પટાગણમાં મદ્યપાન કે ધૂમ્રપાન વર્જિત હતું. અને દરેક શિષ્ય આ વાતનું પાલન કરતા અને મુલાકાતી પણ આ વાતને ધ્યાનમાં રાખીને નિયમનું પાલન અચૂક કરતા. એક દિવસ આશ્રમમાં ધૃપદ નામનો નવો શિષ્ય આવ્યો. તે તેના જીવનથી ઘણો કંટાળેલો હતો અને આશ્રમમાં શાંતિ અને સલામતી મેળવવાની ઈચ્છાએ આવ્યો હતો. ધૃપદને બીજો તો કોઈ પ્રશ્ન ન્હોતો પણ એને દારૂ પીવાની આદત હતી, હવે આશ્રમમાં તો મનાઈ હતી એટલે ધૃપદ મૂંઝાયો કે કરવું શું ? મનમાં ને મનમાં વાત વાગોળતો રહ્યો, અને પછી નક્કી કર્યું કે કોઈને ખબર ન પડે એ રીતે ક્યારેક ક્યારેક પી લઈશ. સમય પસાર થતો ગયો, અને ધૃપદ તો છુપાઈને દારૂ પીવા લાગ્યો, ગુરુને જાણ હતી પણ એમને થયું કે નવો છે ધીરે ધીરે સમજી જશે, પણ એમ થયું નહિ. ગુરુ એ એક દિવસ સભા પૂરી થયા પછી ધૃપદને બોલાવીને સમજાવ્યો, એને વિંનતી કરી કે આ લત છોડી દે. ધૃપદે ગુરુની લાજ રાખવા વચન પણ આપ્યું પણ તે પાલન ન કરી શક્યો. ગુરુને થયું કે હવે કોઈ બીજી રીતે સમજાવું પડશે. એક સાંજે ગુરુ બધા શિષ્યો સાથે વિહાર કરવા નીકળ્યા, જંગલમાં ચાલતા ચાલતા ગુરુ એ અચાનક એક વૃક્ષના થડને કચકચાવીને પકડી લીધું. અને પછી રાડો પાડવા લાગ્યા.

“મને છોડી, એ વૃક્ષ મને છોડી. મારે જાવું છે તું મને છોડી દે.”

બધા શિષ્યો અચંબામાં હતા. કે આ ગુરુજી શું કરે છે ! એટલામાં ધૃપદ આગળ આવ્યો અને પહેલા તો ખડખડાટ હસવા લાગ્યો અને પછી કહ્યું કે,

“ગુરુજી, આ વૃક્ષએ ક્યાં તમને પકડ્યું છે ! તમે એને પકડી રાખ્યું છે, તમે છોડી દેશો તો એ છૂટી જશે.”

ધૃપદની વાત સાંભળતા જ ગુરુજી એ વૃક્ષનું થડ છોડી દીધું, અને ધૃપદની નજીક જતાં બોલ્યા કે,

“તારી વાત તો સાચી, હું પણ તને એ જ સમજાવવા માંગુ છું કે આપણી ખરાબ કે ખોટી આદતો એ આપણને નહીં પણ આપણે એ આદતોને પકડી રાખી છે, જો આપણે છોડી દઈશું તો છૂટી જશે. સમય લાગશે અને તકલીફ પણ પડશે પણ પ્રયત્ન કરીશ તો આદતોની માયાજાળમાં ફસાતાં બચી જઈશ.”

ગુરુની વાત ધૃપદને ગળે ઉતરી ગઈ અને એની આદતો ધીરે ધીરે બદલાઈ ગઈ.

આ વાર્તા અહીં પૂરી થઈ, 100 લોકો સુધી આ વાત પહોંચે તો એમાંથી કદાચ એક વ્યક્તિ બદલાઈ એવી મહદઅંશે શક્યતાઓ છે. કેમ કે આપણે જાણતા હોવા છતાં ખરાબ આદતોને પાળીએ છીએ. એટલે જ દુનિયાભરમાં ચાર માંથી એક પુરુષ અને દસમાંથી એક મહિલા તમાકુનું સેવન કરે છે. તમાકુ અને આલ્કોહોલની લતના કારણે હજારો પરિવાર વિખરાય છે અને કરોડો લોકો ભયંકર બીમારીઓથી પીડાય છે આના સિવાય વધુ એક સમસ્યા આજના સમયમાં જોવા મળે છે એ છે ઈન્ટરનેટ એડિકશન.

લોકો દિવસ રાત સોશિયલ મીડિયા પર ખોવાયેલા અને છવાયેલા રહે છે અને દિવસ, મહિના અને વર્ષના અંતે ભાન થાય છે કે આ કામ કરવાનુ તો રહી જ ગયું. લોકોની કામ કરવાની ક્ષમતા(productivity) ની સાથોસાથ એકાગ્રતા( focus/concentration) પણ ઘટી છે. ન્યુ યરમાં લીધેલા રિસોલ્યુશન એક મહિના સુધી પણ ચાલતા નથી. કેમ કે આ બધા પાછળ અભાવ છે નિયમિતતાનો – discipline નો. આયોજન બનાવવું અને એનું પાલન કરવું જો આપણે શીખી જઈશું તો ચોક્કસપણે આપણે આપણા લક્ષ્ય (goal) સુધી પહોંચી જઈશું.

“With self-discipline, almost anything is possible.” – Theodore Roosevelt



#છેલ્લો કોળિયો: કરીએ એટલું કામ થાય, અને થાય એટલું કામ કરીએ આ બંને વચ્ચેનો તફાવત શીખી જઈશું અને સમજી લઈશું તો આપણું જીવન પાર થઈ જશે.

Continue reading “Discipline is success ✨”