Grief/Sadness · Uncategorised

જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં, બંને ક્લિનિકમાં આવતાની સાથે ખૂબ રડ્યા બંનેનું મન થોડું હળવું થયું પછી વાતની શરૂઆત કરી. વાત એમ હતી તાજેતરમાં આધ્યાએ એના પિતા ગુમાવ્યા હતા, આધ્યાની ઉંમર 9 વર્ષ. આ આખી ઘટનાને ઝીરવવી અને જીવનની ગાડી આગળ ધપાવવી આઘ્યા અને એના મમ્મી બંને માટે મુશ્કેલ હતી. સામાન્ય સંજોગોમાં સ્વજનના ગુમાવ્યા પછીના આ પાંચ તબ્બકાઓમાંથી આપણે પસાર થતાં હોઈએ છીએ.
1. અસ્વીકાર (Denial) : પ્રિયજન કે સ્વજનને ગુમાવ્યાના સમાચાર સાંભળીને આઘાત ઝીરવાતો નથી, આખી વાત અને ઘટના પર અવિશ્વાસ થાય છે, ખાસ કરીને જ્યારે મૃત્યુના સમાચાર અણધાર્યા અને અચાનક આવ્યા હોય.
2. ગુસ્સો/ક્રોધ (Anger) : સ્વજનનું આમ અચાનક આપણા જીવનમાંથી ચાલ્યાં જવું, એ ક્રોધ અને ગુસ્સો ઉત્પન્ન કરે છે ખાસ કરીને કુદરત/ઇશ્વર પર.
3. ભાવતાલ (Bargaining) : બીજા તબ્બકાને પાર કર્યા પછી આપણે ઈશ્વર સાથે થોડી લેવડદેવડ કરવાની કોશિશ કરીએ છીએ અને મનોમન ઈચ્છીએ છીએ કે આ ભૂતકાળની ક્ષણ ભૂંસીને નવી ક્ષણ રચવાની આપણે આપણને એક તક મળે.
4. હતાશા ( Depression) : પછી અતિશય પીડા અને તીવ્ર નિરાશાનો તબક્કો આવે છે, જેમાં આપણે ગુમાવેલી વ્યકિત આપણી સાથે નથી અને હવે ફરી ક્યારેય એ વ્યક્તિને જોઈ નથી શકવાના એ વસવસો ડૂમો બનીને અંતરમન કોરી ખાઈ છે.
5. સ્વીકાર (Acceptance) : છેલ્લા તબક્કામાં હકીકત સ્વીકારીને એ વ્યકિત વિના જીવન જીવવાનું ધીરે ધીરે શીખી જઈએ છીએ.


પણ ઘણી વાર અચાનક આવેલ આઘાતને સહન કરવા માટે આપણું મન અને મગજ તૈયાર હોતું નથી. અને ત્યારે જે માનસિક સ્થિતિ સર્જાય છે, તેને PTSD ( Post Traumatic Stress Disorder) અને જટિલ શોક (Complicated Grief) તરીકે ઓળખવામાં આવે છે. આ કેસમાં આધ્યાની સ્થિતિ કંઇક આવી જ હતી. એક કાર અકસ્માતમાં 38 વર્ષની વ્યક્તિનું મૃત્યુ એ ઘટના અતિશય પીડા આપનારી છે જ. અને એ જ્યારે તમારા પિતા હોય ત્યારે એ આખી ઘટના કીડી માથે આભ જેવી લાગે.
આધ્યા અને તેના મમ્મી મધુબેનનું લગભગ 18 મહિનાઓ સુધી ટ્રીટમેન્ટ ચાલી, થેરાપી સેશન્સ થયા, CBT ( Cognitive Behavioral Therapy) અને નરેટિવ થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો અને ગ્રુપ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવ્યો, એના પછી હવે ધીરે ધીરે બંનેનું નોર્મલ જીવનમાં ગોઠવાયા છે.


નાની ઉંમરે સ્વજન/પ્રિયજનને ગુમાવી દેવાની ઘટના જીવનભરનો આઘાત આપીને જાય એ વાતને ઝૂંટવી ન શકીએ, આધ્યા અને મધુબેન જેવા અસંખ્ય લોકો હશે જે જીવનની આ ઘટનાને સ્વીકારીને નવેસરથી જીવન જીવતા શીખતા હશે, અને સમય સાથે સ્વસ્થ પણ થઈ જતાં હશે. એ દરેક વ્યક્તિને ઇશ્વર હિંમત આપે! પણ મારે વાત કંઇક અલગ કરવી છે એક સૂચન છે એ દરેક વ્યક્તિને જે જીવનને અને ખાસ કરીને પોતાની ‘ શારીરિક અને માનસિક હેલ્થ ‘ ને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. કેટલાંક આંકડાઓ જુઓ તો અઘ્ધધ, તમારી આંખો પહોળી થઈ જશે. Ministry of road transport and highway ના national crime records bureau (NCRB) ના 2021ના રિપોર્ટ અનુસાર 1,50,000 લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે હર્દય રોગના કારણે દર વર્ષે 3 મિલિયન (30 લાખ) લોકો, COPD ( Chronic Obstructive Pulmonary Disease ના કારણે અંદાજિત 10 લાખ લોકો જીવ ગુમાવે છે, કેન્સર અને બીજા અન્ય રોગોથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો લાખોની સંખ્યામાં જ છે. શાસ્ત્રો અને પુરાણોની વાતો મુજબ હશે કદાચ આપણા શ્વાસો પહેલેથી જ નક્કી થયેલા પરંતુ એક મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ તરીકે હંમેશા મને પ્રશ્ન થાય, કે આપણા સમાજમાં કેટલીક વસ્તુઓ/સિસ્ટમની તાતી જરૂર છે, જેના કારણે જીવન લાંબુ થશે કે નહીં પણ જીવનની ગુણવતા તો ચોક્કસ સુધરશે. અને આ કેટલાંક આયામો જો આપણે વહેલી તકે લાગુ પાડી શકીએ તો કદાચ આપણા સમાજની છબી વધુ ઉજળી બનાવી શકીએ. આ સાથે તમે શું વિચારો છો એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો.


1. સ્વાર્થીપણું: દરેકેદરેક વ્યક્તિએ પોતાની સેહત માટે સ્વાર્થી બનતા શીખી જાય તો કેટલું સરસ! કોઈ પણ જાતના બહાના, કારણો કે સામાજિક જવબદારીઓમાં અટવાયા વગર દિવસની એક કલાક શરીર માટે. ચાલવાનું, દોડવાનું, કસરત કરવાની, કોઈ પણ જાતની શારિરિક કસરત અને દસ મિનિટનું ધ્યાન. કેટલાક હજાર રૂપિયાના ફોનને સાચવવા કવર અને ટફન ગ્લાસ નખાવીએ છીએ, તો આપણું શરીર અને મન મામૂલી છે ? જેને ગમે તે રીતે ટ્રિટ કરીએ ? કોઈપણ ભોગે તાત્કાલિક ધોરણે જીવનમાં નિયમિત રીતે હળવી કસરત ઉમેરીને આપણી જાત માટે આટલું સ્વાર્થી બનવું તો આપણેને પરવડે, ખરું કે નહિ ?
2. જંક ફૂડ એ જંક જ છે: કમાવાની લાયમાં, સમય બચાવાની દોડમાં કે જીભના ચટકારા માટે જે રીતે અને જેટલી માત્રામાં આપણે ફાસ્ટફૂડ ખાઈ રહ્યા છીએ, ત્યારે એ સમજવું અતિ આવશ્યક છે કે આ કેટલી અને કેવી રીતે આપણા શરીરને પોષણ આપશે ? ચીઝના ઢગલા અને બટરથી લદાયેલા ખોરાકની આપણે ખરેખર જરૂર છે ? આજના સ્વીચ અને ટેકનોલોજીની સગવડ સજ્જ એવી સોસાયટીમાં જ્યારે આપણે ગોઠવાયેલા છીએ ત્યારે આ નીતરતી કેલેરી ભરેલો ખોરાક આપણે પચાવી શકીશું ?
3. ટેકનોલોજી અને સ્ક્રીન ટાઈમ : કામને લઈને કે પછી શોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાના ચક્કરમાં દિવસની લગભગ ૧/૩ કલાકો સ્ક્રીન ઉપર ખર્ચતી વખતે આપણે આપણા મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ છીએ ? ‘બ્લુ લાઈટ એકસ્પોઝર’ કેટલું ખતરનાક છે એની જાણ આપણને છે ? રાત્રે સૂતા પહેલા અને સવારે જાગીને પહેલો સંપર્ક સ્ક્રીનનો કરીએ છીએ ત્યારે આપણા ઊંઘની નિયમિતતા અને શરીરના આવગોમાં તણાવ ઊભો થાય છે, અને જે ઘણા બધા રોગોને નોતરે છે. તો શું આપણે એટલી કાળજી ન રાખી શકીએ કે, આપણે ટેકનોલોજી વાપરીએ, નહિ કે ટેકનોલોજી દ્વારા આપડે વપરાતા જઈએ અને ખર્ચાતા જઈએ!
4. વાહન ચલાવો એ પહેલા ચલાવતા શીખો : નાની ઉંમરે કે 18 વર્ષ પછી કોઈ પણ વાહન ચલાવો તો એને શાંતિથી શીખો, ટ્રાફિકના નિયમો અનુસરો, હેલ્મેટ અને સીટ બેલ્ટની અવગણના ન કરો અને સમયસર પહોંચવા ઘરેથી સમય પર નીકળતા શીખો નહિતર ઓવર સ્પીડીના ચક્કરમાં તમારે અથવા તો બીજા કોઈને કાયમ માટે જીવનની એકસિટ (exit) લેવી પડશે.
આ ત્રણ- ચાર પાસાંઓ જ મૃત્યુઆંક વધારે છે એવું નથી, બીજા ઘણા બધા પાસાંઓની ચોક્કસ ભૂમિકા છે જ, જેમકે, વારસાગત કારણો, પર્યાવરણલક્ષી કારણો, તમાકુ – દારૂનું સેવન, જીવન કે રોગને લઈને અસમજ અથવા તો ગરીબી. પરંતુ દરેક વ્યક્તિના હાથમાં એટલી તો શક્તિ છે જ કે આ ચાર પાસાંઓ પર તાત્કાલિક ધોરણે કામ કરી શકે. આ આર્ટિકલ ક્યાં સુધી અને કેટલા લોકો સુધી પહોંચશે એ મને ખબર નથી પણ જેટલા સુધી પહોંચે એટલા લોકોને વિનંતી છે કે, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, તમારી શારીરિક – માનસિક સ્વસ્થતાનું ધ્યાન રાખો. કેમકે તમારી અચાનક લીધેલ વિદાય, તમારા પરિવારને આજીવન કોરી ખાશે.


છેલ્લો કોળિયો: એક બાળક શાળાની સ્વાધ્યાયપોથીની ખાલી જગ્યા પૂરવા માટેનો ઉકેલ શોધી લેશે, પણ પરિવારમાંથી ગુમાવેલ વ્યક્તિની ખાલી જગ્યા કોઈ ક્યારેય પૂરી નહિ શકે, તો તમે તમને જરૂર સાચવજો.
– હિરલ

https://search.app?link=https%3A%2F%2Fwww.wockhardthospitals.com%2Farticles%2Fheart-care%2Fheart-attack-cases-go-up-by-20-in-2-months%2F&utm_campaign=aga&utm_source=agsadl1%2Csh%2Fx%2Fgs%2Fm2%2F4

Uncategorised

Love Differently ❤️

અમૃતા અને આત્મિયના તાજા તાજા લગ્ન થયા હતા, બંને સરળ સમજુ અને સુઘડ કહી શકાય એવું કપલ સમાજને દેખાતું હતું. પરંતુ વાત જાણે એમ થઈ કે અમૃતાના મનની મનોદશા અજાણતા જ આત્મિયની સામે ખુલ્લી પડી ગઈ, જે સાંભળીને એક પુરુષનો સઘળો અહમ્ અને સ્વાભિમાન હચમચી ગયો.

તારીખ 21/11/2022નાં રોજ અમૃતા પોતાની એક કોલેજની મિત્ર સાથે વિડિયો કોલ પર વાત કરતી હતી, બંને બહેનપણીઓના લગ્ન લગભગ એક સમયે જ થયા હતા, તો સ્વાભાવિક રીતે બંને સહેલીઓ લગ્નના છ મહિના પછીનો અનુભવ, વ્યથા અને કથા શેર કરી રહી હતી. આ ઘટનાનો પ્રેક્ષક આત્મિય અજાણતા જ બની ગયો અલબત્ત સમગ્ર ઘટનાથી એ અવગત ન્હોતો જ.

“તારે કેવું સારું છે સંજના, બહુ જ રોમેન્ટિક અને કેર કરવાવાળો હસબન્ડ મળ્યો છે તને, જેવું આપણે ફિલ્મોમાં જોયું હતું અદલ એવો જ. મારા નસીબમાં તો એ બધી વસ્તુઓના સપનાઓ જ છે. ક્યારેક તો મને શંકા પણ થાય કે આત્મિય મને ખરેખર પ્રેમ કરે છે ? અથવા તો એ નોર્મલ જ છે ને ? “

બસ આટલા વાક્યો પૂરતા હતા આત્મિય અને અમૃતાનું લગ્નજીવન વેરવિખેર કરવા માટે, આત્મિયએ મનોમન નક્કી કરી લીધું કે હું અમૃતાને આ રીતે નહિ જીવવા દઉં, એની ઇચ્છાઓ અને અપેક્ષાઓ જો હું પૂરી નથી કરી શકતો તો હું એનાથી ડિવોર્સ લઈશ અને એને આ લગ્નજીવનમાંથી મુક્ત કરી દઈશ. આ વિચાર સાથે વાત કોર્ટ સુધી ગઈ અને કોર્ટે આપેલા છ મહિનાના સમજૂતીના ગાળામાં આ વાત મારી સુધી પહોંચી અને હવે તમારા સુધી.

અચંબાભરી વાત એ હતી કે કોર્ટ અને ક્લિનિક સુધી પહોંચી ચૂકેલા આ દંપતી એકબીજાના મન પહોંચવામાં નિષ્ફળ ઠર્યા હતા. કેમ કે અમૃતાને આજ સુધી ખ્યાલ નથી કે આત્મિય શા માટે અચાનક ડિવોર્સ લેવા માંગે છે. એક કાઉન્સેલર તરીકે સૌથી પહેલાં તો આખી વાત ખુલ્લી કરી, આત્મિય જે અધૂરી માહિતી સાંભળીને અધાધુન થયો હતો, એ આખી વાત સાંભળીને શાંત થયો.

“મારા કિસ્સામાં અથવા તો અમારી લવ લેન્ગવેજ જરા અલગ છે, આત્મિયની વ્યક્ત થવાની રીત અને પ્રેમ પ્રદર્શિત કરવાની રીતો બહુ અલગ છે. એટલે મને કયારેક લાગે કે,….તારે કેવું સારું છે સંજના, બહુ જ રોમેન્ટિક અને કેર કરવાવાળો હસબન્ડ મળ્યો છે તને જેવું આપણે ફિલ્મોમાં જોયું હતું અદલ એવો જ. મારા નસીબમાં તો એ બધી વસ્તુઓના સપનાઓ જ છે. ક્યારેક તો મને શંકા પણ થાય કે આત્મિય મને ખરેખર પ્રેમ કરે છે ? અથવા તો એ નોર્મલ જ છે ને ? ચાલ આ બધું છોડ બીજું કંઈ હોય તો કે મને.”

અમૃતા મહદઅંશે જાણતી હતી કે દરેકની લવ લેન્ગવેજ અલગ હોય શકે. જે રીતે દરેક માણસની ફિંગરપ્રીન્ટસ્ અલગ હોય છે. ક્લાયન્ટ સાથેની ચર્ચાઓ અને કેટલાક અસેસમેન્ટ પછી તારણ નીકળ્યું કે આ કેસ ન્યુરોડાયવર્જન્ટ/ ન્યુરોડાઇવર્સ પર્સનાલિટીનો હતો. The terms ‘neurodivergent’ and ‘neurodiverse’ refer to people whose thought patterns, behaviors of learning styles fall outside of what is considered ‘normal’ or ‘neurotypical’ of humans. એટલે કે, ‘ન્યુરોડાઇવર્જન્ટ’ અને ‘ન્યુરોડાઇવર્સ’ શબ્દો એવા લોકોનો સંદર્ભ આપે છે જેમની વિચારસરણી, શીખવાની શૈલીઓની વર્તણૂક માનવીઓ માટે “સામાન્ય” અથવા ‘ન્યુરોટીપિકલ’ માનવામાં આવે છે તેનાથી વિપરીત કે જુદી છે. આ ટર્મ સૌ પ્રથમ 1997માં જુડી સિંગર નામના સમાજશાસ્ત્રીએ ઓટીઝમ સ્પેક્ટ્રમ માટે વાપરી હતી. ( કેટલીક ચોક્કસ માહિતી અને વિગત લિંકમાં આપેલ બ્લોગમાં વાંચી શકશો.)

અમૃતા અને આત્મિયનાં કેસમાં, આત્મિય ન્યુરોડાયવર્જન્ટ હતો, એટલે કે આત્મિયને learning disability હતી જેના કારણે જ તેની લવ લેન્ગવેજ અન્ય લોકો કરતાં જુદી હતી. આખી કાઉંસેલિંગ પ્રક્રિયામાં કપલને સમાજવવામાં આવ્યું કે આ બહુ જ નોર્મલ છે, ડરવાનું કે મુંજવાનું કોઈ જ જરૂર નથી, બસ કેટલીક આદતો સમજવી પડશે અને જીવનમાં ઉતારવી પડશે. જેમાં સૌથી અગત્યનું હતું પાંચ પ્રકારની લવ લેંગેવેજ જે મોટાભાગના ન્યુરોડાયરવરશન લોકો એક્સ્પ્રેસ કરતા હોય છે.

Penguin Pebbling (પેંગ્વિન પેબ્લિંગ) : ન્યુરોડાયવર્સ લોકો નાની ભેટો આપીને પોતાના પ્રેમની લાગણીઓને વ્યક્ત કરે છે. જેમ પેંગ્વિન તેમના સાથીદારોને નાના પથ્થરો આપીને પ્રેમ જતાવે છે, એ રીતે. આજના સમયમાં આ ચેસર ઈન્સ્ટાગ્રામ પર રિલ શેર કરવાનું પણ હોઈ શકે.

Info dumbing (ઇન્ફો ડમ્પિંગ): તેઓ પોતાની જાણકારી અને રસ ધરાવતા વિષયો વિશેની માહિતી પોતાના પાર્ટનર સાથે શેર કરીને એક ઈમોશનલ બોન્ડ અને એક ડીપ કનેક્શન ડેવલપ કરવા ઈચ્છતા હોય છે, આ અનોખી રીતે એ કેર અને ફિલીંગસ પ્રદર્શિત કરતા હોય છે.

Parellal Play (પેરલલ પ્લે) : ન્યુરોડાયવર્સ લોકો એક સાથે અલગ-અલગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે અને એ રીતે પોતાની રોમેન્ટિક લાગણીઓને વાચા આપે છે. દા.ત., એક પાર્ટનર કોઈ પુસ્તક વાંચે છે તો એ જ સમયે બીજું પાર્ટનર એની ગમતી કોઈ પઝલ સ્લોવવ કરે છે.

Support swapping (સપોર્ટ સ્વેપિંગ) : એકબીજાની નાની મોટી અને વણમાંગી મદદ કરવામાં પણ પ્રેમ છતો થતો હોય છે, જેમ કે સમયસર દવા લેવાનું યાદ કરાવું કે પછી યોગા અથવા તો જીમ પર નિયમિત જવા માટે એક રિમાન્ડર આપવું.

Deep pressure/Consensual Crushing (ડીપ પ્રેશર/કન્સેન્ચ્યુઅલ ક્રશિંગ) : હગીંગ દ્વારા અથવા હલકાં હાથે શરીર દબાવાથી પણ પોતાની અંદર રહેલી ભાવનાઓને પોતાના પ્રિયપાત્ર સુધી પહોંચાડવા માંગતા હોય છે.

અહીં અમૃતા અને આત્મિયના કેસમાં વિવધ થેરાપી બહુ ઝડપથી કામ કરી કેમ કે બંનેનું મનોબળ મક્કમ હતું અને તેમને સંબંધને કરમાવવા ન્હોતું દેવું. બંનેની ઉપરોક્ત દર્શાવેલી પાંચ લવ લેન્ગવેજ વિસ્તારથી સમજવવામાં આવી અને આ સિવાય પણ કેટલીક પ્રવૃત્તિઓ આખી સલાહ પ્રકિયા દરમ્યાન કરવામાં આવી કે જેના કારણે બંને વચ્ચે સ્ટોર્ગ બોન્ડ રચાય અને લગ્નજીવન વધુ મજબૂત થાય. આજે બંને સરસ રીતે એક આદર્શ પતિ પત્ની બનીને પોતાનું જીવન પસાર કરે છે.


ડૉ.હિરલ બ્રહ્મક્ષત્રિય
PhD (Psy.), RCT-C, MA, PGDCP
sparsh4mhc@gmail.com

https://www.verywellmind.com/what-is-neurodivergence-and-what-does-it-mean-to-be-neurodivergent-5196627

behavioral patterns · children · codependent · dependency · Health solutions · husbandwife · India · life · lifestyle · mental health · moral values · Norway · observations · old is gold · parenting · Uncategorised

પ્રોઢસંસ્કાર 🤔

રીદા કલીનિકની અંદર પગ મૂકતા જ રડવા લાગી હજુ હું કંઈ સમજુ કે પૂછું એ પહેલાં અચ્યુત કલીનિકમાં આવ્યો અને રીદા સામે નજર કરીને શાંત થવાનો ઈશારો કર્યો. ૫ મિનિટ પછી બંને મારી સામેની બે ખુરશીઓ પર ગોઠવાય ગયા. થોડીક કેસ રિલેટેડ ફોર્માલિટી પૂરી કરી મેં બંનેને પુછ્યું,  “શું મદદ કરી શકું છું હું આપની ?” જેનો જવાબ કંઇક અલગ મળ્યું. અચ્યુત બોલ્યો, ” મેડમ, તમે મારા પપ્પા અને મમ્મીને અહીં રાખી શકો ? હું એમને તમારી કલીનિકે મૂકી જાઉં ?
આ સવાલ કેમ ઉભો થયો અને કલાઈન્ટ આટલી અકળામણમાં કેમ છે એ જ્યારે કેસ હિસ્ટ્રી લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું. અચ્યુત અને રિદા બંને ભાઈ – બહેન પોતાના માતા – પિતાની ફરિયાદોનો કાફલો અને કેટલીક પીડાઓ લઈને આજે મારે આંગણે આવ્યા હતા. તો વાત જાણે એમ હતી કે, બંનેના માતા – પિતા એટલે કે હસમુખભાઈ અને મૃણાલીબહેન મુંજપરા જીવનના પાંચ દાયકા પૂરા કરીને છઠ્ઠામાં પ્રવેશી ચૂક્યા હતા. એમનું જીવન ઘણું સરળ અને સુખદ દેખાતું હતુ પણ ખરેખર એવું હતું નહિ.
ફરિયાદોનો આરંભ કરતા રીદાએ બોલી,


“મમ્મી કે પપ્પા અમારી એક પણ વાત માનતા કે સમજતાં નથી, પોતાની જૂની રૂઢિ અને રિવાજોને મારી અને ભાઈ પર થોપી બેસાડે છે, વાત અહીંયા પૂરી થઈ જતી હોય તો પણ ભલે પણ ના, એ તો અલગ અલગ તૂત ઉભા કર્યા જ રાખે છે, ક્યારેક અમારા ફ્રેન્ડસ સામે તો ક્યારેક અમારી પ્રોફેશનલ લાઇફમાં, નાની – મોટી બધી વસ્તુમાં ચંચુપાત કરવાની અને ન કંઈ કહીએ કે પૂછીએ તો રિસાઈ જવાનું. શું આ બધું ઠીક છે ? સમય પર દવા નથી ખાવી કે પોતાનું કંઈ ધ્યાન નથી રાખવું હવે અમે કેટલીક વાર કહીએ ? નાનું બાળક હોય તો ખીજાય ને કે ઠપકો આપીને પણ કહી દેવાય પણ આમની સાથે તો એ પણ ન થઈ શકે.


અચ્યુતે થોડું ઉમેરતા કહ્યું, “મેડમ હું જાણું છું કે આ બધું થવું બહુ સ્વાભાવિક છે બધા સંતાનો સાથે થતું હશે પણ શું આના કારણે માતા – પિતાની માનસિક સ્થિતિ ખરાબ થાય ? કે એમને બીજી કોઈ મુશ્કેલીઓ પડે ખરી ? કેમ કે કયારેક મને એવું લાગે છે કે They are not really okay! કેમ કે પોતે ભલે એકપણ કામ જાતે સંભાળી શકતા નથી તો પણ સ્વાભીમાનનું પૂછડું છોડવું નથી. બીજાની મદદ લેવી નથી અને ક્યારેક તો ગળગળા થઈ જાય અને ક્યારેક જૂની વાતોને યાદ કરીને કરીને ખિલખિલાટ હસ્યા કરે. શું આ બધું નોર્મલ છે ?


અચ્યુત અને રીદાના પેરન્ટ્સનો કેસ ખરેખર ઇન્ટ્રેસિંગ હતો, આખી વાતને શરૂથી શરૂ કરવામાં આવી માતા-પિતા સાથે કાઉન્સિલીંગ સેશન્સ થયા અને ફેમિલી કાઉન્સિલીંગ સેશન્સ પણ થયા. યોગ્ય પ્રકારની સાયકોથેરાપીની મદદથી લગભગ ૮ મહિના પછી ધીરે ધીરે અચ્યુત અને રીદાનું ટ્યુનિંગ તેમના માતા-પિતા સાથે બેઠું અને હવે પરિવાર કુશળમંગળ રીતે જીવન જીવે છે.


દરેક કેસ થેરાપિસ્ટ/કાઉન્સેલરને કંઇક શીખવે છે, સ્વાભાવિકપણે આ કેસમાં મેં પણ ઘણું શીખ્યું અને સમજ્યું ત્યારે મનમાં સતત એક વિચાર ચાલતો હતો અને I am sure કે તમારામાંથી ઘણા બધાને પણ આ વિચાર આવતો હશે કે શા માટે આપણી પાસે એવી કોઈ ચોક્કસ વ્યવસ્થા કે યોજના નથી જેમાં આપણે સમજી, જાણી અને શીખી શકીએ કે જીવનના ઉતાર્ધ પર આગળ વધી રહેલા આપણા માતા – પિતાને કંઈ રીતે સંભાળવા ? શા માટે આપણી સામાજિક વ્યવસ્થામાં એવી કોઈ પ્રણાલી પ્રસ્થાપિત નથી કે જ્યાં પુખ્ત થતાં વડીલોની કુમળી લાગણીઓને આપણે સુરક્ષિત રાખી શકીએ. આપણે ગર્ભસંસ્કારમાં માનીએ છીએ અને એને ઉજવીએ અને જીવીએ પણ છીએ તો પ્રોઢસંસ્કાર કેમ નહિ ? આપણે ‘જનરેશન ગેપ’ના નામ પર ઘણી વખત આ વાત અવગણી નાખીએ છીએ પણ આ વિષય પર વાત કરવાનું હંમેશા ટાળીએ છીએ. એક સંતાન વધતી ઉંમર સાથે પ્રગતિ તરફ આગળ વધે છે જ્યારે તેના માતા – પિતા જીવનના અંત તરફ આગળ વધે છે, એ સમયે સ્વભાવમાં પરિવર્તન વ્યાજબી છે, બાળકને પા – પા પગલી શીખવવા અને તેને દુનિયામાં સેટલ થવામાં આપણે પુરે પૂરી મદદ કરીએ છીએ એ જ રીતે જીવન જીવી ચૂકેલા નિવૃત્ત થયેલા/ થવા જઈ રહેલા આપણા માતા – પિતા અને વડીલોની કાળજી રાખવી પડશે. સંશોધનો દર્શાવે છે કે પ્રોઢ/ વધતી ઉંમરે વડીલોને આ મુજબની કેટલીક કાળજી/કેર/હુંફ ની જરૂર હોય છે.


1. રોજબરોજના જીવનમાં ગોઠવણમાં મદદ આવશ્યક છે, સતત કેટલાય વર્ષોથી નોકરી/વ્યવસાય કરીને કે એક પ્રવૃત્ત ગૃહિણી બનીને સતત કામ કર્યું હોય ત્યારે અચાનક આવી પડેલો ફ્રી (free) ટાઈમ એમના માટે હેન્ડલ કરવો અઘરો હોય છે.


2. સુરક્ષા સંબંધી સવલતો : ઉંમરના આ તબક્કે નાની – મોટી દરેક વસ્તુ પર અન્ય પર આધારિત થવાનું એમના માટે એક અજુગતો અનુભવ છે, જેના કારણે ઘણીવાર તેઓ સંકોચ રાખે છે કાં તો પછી ચિડાય જાય છે. દા. ત. પોતાના ફાયનાસીસનું મેનેજમેન્ટ, ખરીદી, દવા કે ડોકટરની વિઝીટ વગેરે.


3. શારીરિક કે માનસિક સમસ્યાઓ : નાની મોટી શારીરિક કે માનસિક બિમારીઓ પણ તેમના વર્તન અને વ્યવહારને બદલી શકે છે.


4.  ગૂણવતાસભર જીવન : અમુક સમય પછી ગૂણવતાસભર જીવન ટકાવી રાખવું એ બહુ ચેલેંજીંગ હોય છે જેના કારણે પણ કેટલાક વ્યક્તિમાં ફરસ્ટેશન અને અકળામણ ઉત્પન્ન થતી હોય છે. જેમ કે કેટલાક ગંભીર કે સામાન્ય રોગો – ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ કે અલ્ઝાયામર.


5. સબંધોની માવજત અને પરિવારની ગરિમા : હવે મોટાભાગના વડીલો માટે આ બદલાવ ભુંકપના આંચકા જેવો હોય છે, સંબંધોની ગોષ્ઠિ પોતે જેમ ગોઠવી છે, સ્વાભાવિક છે એમના સંતાનો તદ્દન એ જ ફોલો કરશે એવી અપેક્ષા અતિશયોક્તિ ભરી છે, મનનું ધાર્યું નથી થતું ત્યારે તકલીફ થાય એ સહજ છે અને બીજું કે જ્યારે વર્ષોથી ઘરને એકજૂથ કરીને રાખ્યું હોય, જુદા જુદા નિર્ણયો લીધા હોય અને હવે જ્યારે મૌન રહીને ઘરની અંદર બનતી ઘટના પ્રેક્ષક બનીને જોવાની થાય ત્યારે મૂંઝારો તો થાય જ ને ?


6. જાત – સંભાળ (Self- care) : આપણા માતા – પિતા હંમેશા આ બાબતે કાચા જ રહ્યા છે, એમને પોતાની જાતને સૌ પ્રથમ મૂકતા કે પોતાની જાતને લાઇલાઇટમાં મૂકતા આવડ્યું જ નથી, એટલે આપણે એ સ્કીલ સેટ કરવા માટે એમને મદદ કરવી જ પડશે.


અચ્યુતની વાત પરથી આ વિચાર આવેલો અને મને લાગે છે કે આ સમયે ખરેખરે આપણા સમાજને આવા પ્રકારના એક દૃષ્ટિકોણની જરૂર છે. દરેક ઘરોમાં નાના – મોટા કલેશ/જઘડાઓ વર્ષોથી ચાલે છે, પણ આ મુદ્દાને આપણે આ દૃષ્ટિથી એકવાર જોઈએ અને ધીરે ધીરે અપ્લિકેબલ બનાવીએ તો કદાચ સંબંધોમાં એક નવી સુવાસ પ્રસરે. લોકો એકબીજાની વધુ નજીક આવી શકે. જે રીતે બાળકના જન્મ પહેલાં, દરમ્યાન અને પછી આપણે આપણી જાતને તૈયાર કરીએ છીએ અને પૂરતી કાળજી રાખીએ છીએ કે કોઈ જ ક્ષતિ ન રહે, બસ એવું જ વલણ વૃદ્ધ થતા માતા – પિતા પ્રત્યે કેળવવાનું છે.


છેલ્લો કોળિયો: જેટલી ધીરજ અને આસ્થા આપણા માતા – પિતાએ આપણને મોટા કરતી વખતે રાખી હતી કદાચ એનાથી ઓછી ધીરજ અને આસ્થા આપણે એમના ઘડપણને સમજવા માટે આપવાની જરૂર છે. મનના કોઈ ખૂણામાં વૃદ્ધ થતી વ્યક્તિના મનમાં આ વિચાર જરૂર આવતો હશે. જે કવિયત્રી પાયલએ બહુ યોગ્ય રીતે લખેલો છે.

“जीवन खोए हुई लोगो से और चीजों से भरा पड़ा है, पर फिर भी खाली सा है । “


– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · codependent · dependency · life · lifestyle · mental health · moral values · parenting · society · Uncategorised · youth

ઝગડાનો જનાજો

“થાકી ગયો છું, થાકી ગયો છું તારી આ જૂની વાતોથી. તું આમ હથિયારની જેમ જ્યારે જ્યારે વાપરે છે ત્યારે ત્યારે મને ડાઉટ થાય છે કે તું આ બધું રેકોર્ડ કરીને રાખે છે, એટલે ફરી વખત આપણો ઝગડો થાય ત્યારે તું એને વેપેન તરીકે યુઝ કરી શકે, અને હું લાચાર અને હથિયાર વિહોણો ઊભો હોઉં અને તું જીતી જા.”

આવા પ્રકારનું એક ઉદાહરણ આપીને મારી ક્લાયન્ટ શ્રીમતી અનુરાધા અગ્રવાલ ચૂપ થઈ ગઈ, અને એની લગોલગ બેઠેલા શ્રીમાન અવધ અગ્રવાલ ચિંતાતુર ભાવે થોડીવાર મને અને થોડીવાર એમની પત્નીને જોઈ રહ્યા અને ઊંડો નિસાસો નાખતા બોલ્યા.

“જુઓ, મેડમ આ વાત તદ્દન સાચી છે, હું આવું 100% એ 100% બોલ્યો છું, પણ એની પાછળ કારણ છે. જે હજાર વખત સમાજાવ્યા છતાં અનુ (અનુરાધા) નથી સમજતી, મેં એને કહ્યું છે કે તું ભૂતકાળને પકડી પકડીને નહિ ચાલ, જે થઈ ગયું એને જવા દે અને વર્તમાન અને ભવિષ્યમાં જીવ. જૂની વાતોને ખોદ ખોદ કરવાથી શું મળશે ? પણ ના એને હંમેશા જૂની વાતોનો જનાજો લઈને ફરવું હોય છે અને પોતાની જાતને બિચારી સાબિત કરવી હોય છે.”

લગભગ એક શ્વાસે આ બધું બોલીને અવધ શાંત થઈ ગયો.

આ પતિ – પત્નીનો કેસ ભલે નવો હોય પણ કિસ્સો મારા માટે નવો નથી કેમકે પતિ અને પત્ની વચ્ચે કે થોડું વધુ સ્પષ્ટ કરતા સ્ત્રી અને પુરુષ વચ્ચે આવો વિવાદ થવો સ્વાભાવિક છે. કેમ કે બંનેની પ્રકૃતિ અલગ છે, વિચારવાની, વર્તવાની અને વાગોળવાની રીત નોખી નોખી છે. ઝગડો કરવાની અને એને પચાવવા માટે બંનેની હોજરી પણ ભિન્ન છે. તો આનો ઉપાય શું ? આપણે બંનેના દૃષ્ટિકોણથી સમજીએ. જ્યારે સ્ત્રીઓ જૂની વાતોને યાદ કરીને વર્તમાન ઝગડામાં લાવે છે ત્યારે એની પાછળ કેટલાંક સંકેતો હોય છે જે એની મનોદશાને છતી કરે છે.

  1. हम साथ साथ है! : એટલે કે સ્ત્રીઓ જો વારંવાર આ પ્રકારનું વર્તન કરી રહી છે તો ક્યાંક એ એના મનમાં એવી ઇચ્છા છે કે તમે આ એની સાથે છો અને હંમેશા એની સાથે જ ઉભા છો એની ખાતરી એને જોવે છે. એટલે કે તમે બંને એક જ ટીમમાં છો ઓપોજિશન પાર્ટીમાં નથી.
  2. धोकाधाडी! : આ ટાઇટલને લિટરલી નથી લેવાનું પણ હા, ઘણીવખત સ્ત્રીઓ એવા મનોભાવમાં હોય છે કે ઘણી બધી વખત ચાન્સ આપ્યા છતાં અંતે એમના પાર્ટનર તરફથી એમને દગો મળ્યું, આ દગો મોટેભાગે આવેગિક (emotional) હોય છે. જેમાં તેની ધારણા મુજબનું વર્તન ન થયું હોય અથવા તો એના માટે અયોગ્ય કે અછાજતું છે એવું વર્તન થયું હોય છે.
  3. सुन रहा है ना तू ! : ઘણા બધા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે સ્ત્રીઓ ભૂતકાળને વાગોળે છે કેમ કે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ પોતાના ભાવ અને આવેગોને ખુલ્લા કરવા માંગે છે અને તે ઈચ્છે છે કે એમના પતિદેવ એમની મનોસ્થિતિ સમજે અને એને વેરીફાઈ કે અકનોલેજ કરે.
  4. जैसे थे वैसे है ! : આ કારણ મોટાભાગે જોવા મળે છે કેમ કે પુરુષ જેવા છે એવા કુદરતી રહેવાના જ છે, સ્ત્રીઓ ઈચ્છે છે કે અગાઉ જે ચર્ચા થઈ એ પ્રમાણે એમનામાં નાનો મોટો ચેન્જ આવે, અને જ્યારે તે કોઈ પણ પ્રકારનો બદલાઉં નથી જોતી ત્યારે એ ફરી જૂની વાતોને યાદ કરીને અફસોસ કરવાનું શરૂ કરી દે છે.
  5. उलझन नहीं सुलझी होगी! : આ એક મહત્વનું કારણ છે, સ્ત્રીઓ જ્યારે પોતાની જૂની વાતોને જઘડામાં વેપેન તરીકે વાપરે છે એનો મતલબ એ પાછળનો જઘડો હજુ સુધી શરૂ જ છે, એ મુશ્કેલી હજુ ક્યાંક ઉભરીને ઉગેલી જ છે. જરૂર છે એના પર પહેલા કામ કરવાની.

હવે અહીં હું ન્યુટ્રલ રહેતા પુરુષ જાતિની પણ મનોદશા વર્ણવી દઉં. કે શા માટે પુરુષોને એવું લાગે છે કે સ્ત્રીઓ જૂની વાતોને હથિયાર બનાવીને વાપરે છે કેમ કે એમને જીતવું હોય છે!

  1. भूल गया सब कुछ! : મોટાભાગે પુરુષો નાની નાની વસ્તુઓને પોતાની મેમરીમાં સ્ટોર કરવાનું ટાળે છે, જેના કારણે એમને આ લાગણી સતત થાય છે કે સ્ત્રીઓ આવી જીણવટ પૂર્વક વિગતોને નોંધે છે અને પછી એને નવા વિવાદમાં યુઝ કરે છે જે એના માટે કોન્ટેકલેસ છે.
  2. में ऐसा क्यों हु! : આ વસ્તુ પાણી જેવી સાફ છે કે પુરુષો પ્રેકટિકલ વધુ હોય અને સ્ત્રીઓ ઈમોશનલ. અને એટલે જ તેમની વિચારવાની અને સંબંધોને જોવાની ટેકેનિકાલિટી જુદી જુદી હોય જ.
  3. लब्ज़ रहने दो तुम आंखो से कह दो! : હવે આ વાતને ઘણા પુરુષો ઘોળીને પી ગયા છે એટલે તેઓ શબ્દોથી નહિ પણ વર્તનથી દેખાડે છે કે એમની પાર્ટનરશીપ મજબૂત અને ટકાઉ છે. પણ સ્ત્રીઓ જ્યારે ઝગડામાં જૂની વાતો લઈને આવે ત્યારે એ બેબાકળા થઈ જતાં હોય છે અને નેક્સ્ટ મોવ પર ઘણી વખત અણધાર્યો વળાંક લઈ લે છે.
  4. आखिर मेरी गलती क्या है! : આ મુદ્દામાં પુરુષ બેલેન્સ જાળવી રાખવાનું કામ કરે છે, તે પોતાના માતા- પિતા અને તેની પત્ની આ બે પેઢી સાથે સંકલન સાધવાનું કામ ખૂબ જ કાળજીપૂર્ણ કરે છે, તેમ છતાં જ્યારે વારંવાર ફરિયાદનો ટોપલો તેના તરફ ઢોળી દેવામાં આવે ત્યારે તે વધુ મૂંઝાતો હોય છે.
  5. चलो जाने दो अब छोड़ो भी: પુરુષો અલ્પવિરામ ને પૂર્ણવિરામ સમજીને જે થઈ ગયું એ થઈ ગયું, અર્થાત્ રાત ગઈ બાત ગઈમાં માને છે, એટલે જ પાછલો ભૂલીને આગળ ચાલે છે, અને જે ઘણી વખત એના માટે તકલીફ ઊભી કરે છે.

આખી વાત થોડી કોમ્પલેક્ષ લાગશે, જે સ્વાભાવિક છે કેમ કે માનવીના મનોવલણને સમજવું એટલું ક્યાં સરળ છે!

પણ આપણે અનુરાધા અને અવધમાં કિસ્સાની વાત પર પાછા આવીએ તો, બંનેનું યોગ્ય રીતે અને યોગ્ય સમય સુધી રીલેશનશીપ કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ થયું, જ્યાં જરૂર લાગી ત્યાં ફેમિલી સેશન્સ પણ થયા. અને અંતે આ વાર્તાનો અંત ‘ખાધું પીધું ને રાજ કર્યું’ એ રીતે થયો. પણ દરેકની વાર્તા આટલી સરળ નથી હોતી કેટલાંક કિસ્સાઓમાં વર્ષો સુધી એક પાત્ર રિબાઈ છે તો કેટલાકમાં હિસ્સામાં છૂટાછેડાનો દોર આવે છે, પણ થોડી સમજથી આપણો સંબંધ અને સમાજ મહેકી શકે છે જરૂર છે પ્રયત્નની.

લી.

ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય (RCT-C, PhD(Psy))

behavioral patterns · children · dependency · life · lifestyle · mental health · moral values · observations · Uncategorised

Are you Comfortable?

અગસ્ત નામનો એક યુવાન હતો, ઘરમાં મમ્મી – પપ્પા અને એક વૃધ્ધ દાદા હતા. દાદા બહુ ચપળ અને બુદ્ધિશાળી હતા. અને પાછા કોઈના જીવનમાં ચંચુપાત કરવી એમને ગમતી પણ નહિ. એ તો મસ્તમૌલા પોતાના કામથી કામ રાખવાનું અને મસ્ત મજા કરવાની જરૂર જેટલું ભોજન કરી મોટા ભાગનો સમય એ વાંચનમાં પસાર કરતાં, દરરોજ સાંજે મિત્રો સાથે કુદરતના ખોળે બેસી જીવનને માણતા. ઘરમાં બધું સમુસુધરૂ ચાલતું હતું. કોઈ જાતની કંઈ મગજમારી નહોતી, ફેમિલી બિઝનેસ પણ સારો ચાલતો હતો. પણ દાદાને મનોમન અગસ્તની ચિંતા થયા રાખતી, કેમ કે પૌત્રને આમ ભણવાનુ અધવચ્ચે છોડીને સીધી ગાદી મળી ગયેલી એટલે જીવનમાં કોઈ જાતની સ્ટ્રગલ જોઈ કે જાણી ન્હોતી, એટલે જ એ ધીરે ધીરે કરીને પોતાના કમ્ફર્ટ ઝોનમાં ગોઠવાતો જાય છે. દાદાજીએ પોતાની ચિંતા દિકરા સાથે શેર કરી અને બીજા અઠવાડિયે જ કંઇક એવું બન્યું કે અગસ્ત માથે આભ ફાટ્યું. અગસ્તના પિતાને પેરાલીસનો હુમલો આવ્યો તકલીફ એટલી હતી કે હલનચલન તો દૂર પણ વાતચીત કરવી પણ મુશ્કેલ હતી. પિતાજી હોસ્પિટલમાં હતા એટલે ધંધાનું સંપૂર્ણ કારભાર એના માથે હતો. ખરીદી, વેચાણ અને માર્કેટિંગ આ બધું જે કોઈ વાર એણે કર્યું જ ન્હોતું તે તેની માથે આવ્યું. શરૂ શરૂમાં બહુ મૂંઝવણ થઈ, કેટલાક ખોટા નિર્ણયો લીધા અને પછી થાકી હારીને એક દિવસ ધંધો બંધ કરવાનું નક્કી કર્યું ત્યારે દાદાજી એ તેને પાસે બેસાડીને એક વાર્તા કહી.

“એક ગુરુ અને એક શિષ્ય હતા, એકવાર તે એક ગામથી બીજા ગામમાં જવા નીકળ્યા પણ સાંજ પડી ગઈ હતી અને ખૂબ થાક્યા હતા એટલે કોઈ વિસામો શોધતા હતા. ત્યાં જ એમને એક ઝૂંપડી દેખાણી અને ત્યાં આસપાસ નજર કરી તો એક ગરીબ માણસ દેખાયો, ગુરુ – શિષ્યએ વિસામો માંગ્યો અને ત્યાં થોડીવાર આરામ કર્યો. આરામ કર્યા પછી નીકળવાની તૈયારી કરતા હતા, ત્યારે એ ગરીબ માણસ પોતાની હેસિયત મુજબ સીધુ અને ભાતું લઈને આવ્યો, ગુરુજી ખૂબ પ્રભાવિત થયા. થોડીવાર બેઠા અને વાતચીત કરી ત્યારે એમની નજર બાજુમાં એક ખેતર પર પડી, એમણે પૂછ્યું કે આ આટલું વિશાળ ખેતર કોનું છે ? પેલા ગરીબ વ્યક્તિએ કહ્યું કે મારું છે, પણ હું ખેતર ખેડતો નથી, એક ભેંસ છે એના સહારે મારું ગુજરાન ચાલ્યા રાખે છે. ગુરુજીને અચંબો થયો. પણ કંઈ બોલ્યા નહિ. ગરીબીની વિનંતી પર રાત ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું, પણ અડધી રાત્રે ગુરુ અને શિષ્ય નીકળી ગયા અને પોતાની સાથે ભેંસ પણ લેતા ગયા. શિષ્ય આખા રસ્તે ગુરુજીને પૂછતો રહ્યો કે, “આ તો કેટલું ખોટું કહેવાય, એ બિચારા ગરીબ માણસે આપણને મદદ કરી અને આપણે એની એકમાત્ર રોજીને આમ ચોરીને આવી ગયા.”
ગુરુ કંઈ બોલ્યા નહિ, સમય પસાર થઈ ગયો અને એ વાતને ત્રણ વર્ષ વિતી ગયા, ગુરુજીએ એ ભેંસની માવજત ખૂબ કરી હતી. અને એક દિવસ શિષ્યએ લઈને ફરી એ ગામમાં ગયા, આ વખતે ભેંસને પરત કરવા અને એ ગરીબને મળવા જઈ રહ્યા હતા. ગરીબના ઘરે પહોંચ્યા તો જોયું કે ઝૂંપડીની જગ્યાએ હવે પાક્કું મકાન બની ગયું હતું અને વેરાન પડેલું ખેતર પાકથી લહેરાતું હતું. ગુરુ તે ગરીબને મળ્યા અને ભેંસ પરત કરી ત્યારે, ગરીબ સજળ આંખે કહ્યું કે, માયબાપ, આ જે પણ છે તમારા કારણે છે તમે જો મારી પાસે ભેંસ લીધી ન હોત તો હું આજીવન ગરીબીમાં જ જીવત, હું લાચાર અને પાંગળો બન્યું ત્યારે જ મને મારામાં રહેલી શક્તિ સમજાય.”


દાદાજીની વાર્તા અગસ્તને ગળે ઉતરી અને એ પણ ધીરે ધીરે એનામાં રહેલી શક્તિને ઓળખી ગયો અને જરૂર જણાય ત્યાં દાદાજીની સલાહ અને પપ્પાનું માર્ગદર્શન લીધું પણ ગોઠવાય ગયો. અગસ્તએ ધંધો ખાલી સંભાળ્યો જ નહિ પણ એને આગળ પણ વધાર્યો અને હવે અગસ્તના પિતા તેમની બીમારીમાંથી અને અગસ્ત તેના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ગયા છે.

દાદાજી હવે ખૂબ ખુશ હતા અને એક સાંજે ફળિયામાં બેઠાં બેઠાં રામધારી સિંહ દિનકરની કવિતા વાંચતા હતા,

सच है, विपत्ति जब आती है,
कायर को ही दहलाती है,
सूरमा नहीं विचलित होते,
क्षण एक नहीं धीरज खोते,
विघ्नों को गले लगाते हैं,
काँटों में राह बनाते हैं।

गुण बड़े एक से एक प्रखर,
हैं छिपे मानवों के भीतर,
मेंहदी में जैसे लाली हो,
वर्तिका-बीच उजियाली हो।
बत्ती जो नहीं जलाता है
रोशनी नहीं वह पाता है।

बढ़कर विपत्तियों पर छा जा,
मेरे किशोर! मेरे ताजा!
जीवन का रस छन जाने दे,
तन को पत्थर बन जाने दे।
तू स्वयं तेज भयकारी है,
क्या कर सकती चिनगारी है?


છેલ્લો કોળિયો: આપદાને અવસર સમજીને ઉજવાતા થઈ જઈશું, અને તકલીફને તક સમજીને સળગતા અને પ્રગટતા થઈ જઈશું ત્યારે ત્યારે આપણે સફળ થઈ જઈશું

-Dr. Hiral Brahmkshatriya

Uncategorised

Schizophrenia


વ્યક્તિ પાસે બે જગત હોઈ છે એક વાસ્તવિક અને બીજું કાલ્પનિક.આ બન્ને વચ્ચે જ્યારે વિખવાદ સર્જાય ત્યારે સમસ્યાનો જન્મ થાય છે.

અને ધીરે ધીરે તે રોગ બની મનોરોગ બનીને બહાર આવે છે.વિશ્વભરમાં સૌથી વ્યાપક અને ગંભીર પ્રકારની મનોવિકૃતી એટલે છિન્ન મનોવિકૃતી.( Schizophrenia)

વર્તમાન સમયમાં આનું પ્રમાણ વધી રહ્યું છે. અભ્યાસો સૂચવે છે કે 24 લાખથી વધુ દર્દીઓ માત્ર યુ.એસ.એ.માં છે.

આ રોગનો ઇતિહાસ જોઈએ તો 1860માં બેલ્જિયનમાં મનોચિકિત્સક મોરલને સૌ પ્રથમ આ રોગના લક્ષણો તેર વર્ષના બાળકમાં દેખાયા. તે બાળક ઘણો પ્રતિભાશાળી હતો વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતો પરંતુ એકાદ વર્ષમાં તેનામાં ઘણો મોટો તફાવત જોવા મળ્યો, તેનો અભ્યાસમાંથી રસ ઊઠી ગયો..વધુ ને વધુ ઉદાસીન રહેવા લાગ્યો.. હરવું ફરવું બોલવું સદંતર ઓછું કરી દીધું..યાદશક્તિ બિલકુલ ચાલી ગઇ..પોતાના નજીકના સ્નેહીજનને મારી નાખવાની વાતો કર્યાં રાખે.

આ બધા લક્ષણોને અસામાજિક મનોહાર્શ તરીકે ઓળખાવ્યો..ધીરે ધીરે બીજા કેટલાક મનોચિકિત્સકોના અભ્યાસોમાં પણ આવા લક્ષણોનો ઉલ્લેખ જોવા મળ્યો અને જાણવાં મળ્યું કે આ રોગ માત્ર કિશોરાવસ્થામાં જ નહિ પુખ્ત વયમાં પણ જોવા મળે છે..DSM-4 નોંધે છે કે છિન્ન મનોવિકૃતીના ઉપચાર માટે આવતા 40% પુરુષો અને 23% મહિલાઓમાં 19 વર્ષની ઉંમર પહેલા આ રોગ શરૂ થયેલો હતો.

વ્યક્તિત્વ ત્રણ તત્વોનું બનેલું છે..
1) તત્ (id)
2) અહમ્ (ego)
3) ઉપરી અહમ્ (super ego )

આ રોગ દરમિયાન ઉત્પન્ન થતા અવરોધોના કારણ અહમની મનોજન્ય નબળાઈ અથવા રસાયણજન્ય, કોષતંતુજન્ય,જનીનજન્ય કે મનોજન્ય અથવા સંયોજન રૂપે હોઈ શકે..લાંબા સમય સુધી ‘અહમ્’ ના મૂળભૂત કાર્યોનું શિક્ષણ પ્રાપ્ત કર્યું જ હોતું નથી અથવા બહુ જ ખરાબ રીતે પ્રાપ્ત કર્યું હોય છે તે વાસ્તવિકતા સાથે પૂરતો સંપર્ક જાળવી શકાતો નથી.તેથી વિચારણા ઈચ્છાપૂર્તિ રૂપ ત રંગો કે જે બાલ્યાવસ્થાને યોગ્ય ગણાય એ કક્ષાએ સ્થગિત થઈ ગઈ હોય છે.તે પોતાના વિચારો અને પ્રત્યક્ષીકરણને અર્થપૂર્ણ રીતે વ્યકત કરી શકતો નથી.તેના અહમના બચાવની વ્યવસ્થા એટલી નબળી બની ગઈ હોય છે કે તે પોતાના વિશેના ઉપયોગી ખ્યાલને ટકાવી શકતો નથી.

24 મે schizophrenia Awareness Day તરીકે ઉજવાય છે.

આજના સમયમાં માણસ મગજ અને બુદ્ધિનો ઉપયોગ કરીને ઉત્તમ અને અતિઉત્તમ બનવા લાગ્યો છે, પણ ક્યાંક એનું માનસ ખંડિત થઈ રહ્યું છે જેની એને જાણ હોય છતાં ઉપચાર કરવા માટે કોઈ જ કાર્ય કરતો નથી.આ તો કેવી વાત છે કે આપણા શરીરના કોઈ અંગમાંથી સતત લોહી નીકળે છે પણ આપણે એનો ઈલાજ કરવાને બદલે એવું વિચારીએ છીએ કે..

” હાય હાય લોકો શું કહેશે…”

” મારે કોઈ તબીબની જરૂર નથી..”

“હું તો કંઈ ગાંડો છું ?”

અને આવા અસંખ્ય વાક્યો આપણી પાસે હાજરાહજૂર હોય છે જ્યારે વાત માનસિક સ્વાસ્થ્યની આવે છે..અઢળક શિખામણોનો ઢગલો કરી શકીએ છીએ પણ કોઈ તજજ્ઞ પાસે સાચી સલાહ લેવા જતા નથી..આમાં ઓછપ અને આંતરિક ભીતિ જ અનુભવતા હોઈએ છીએ..!

આવા દિવસો માત્ર દર્દીઓ માટે નથી ઉજવાતા પણ એટલા માટે ઉજવાય છે કે..જે લોકો ધીમે ધીમે દર્દી બનવા માટે તૈયાર થઈ રહ્યા છે તેમના માનસમાં છપાયેલી ખોટી વ્યાખ્યાઓ દૂર થાય અને તેમના શરીરની કાળજી જે રીતે કરે છે તેટલી જ ચોકસાઈ તે તેના મન..મગજ.. માનસ..મનોદશા (mood) ની પણ રાખે.. આપણું ભાવિ પાગળું બનતા અટકે..આપણી આસપાસ શારીરિક-માનસિક-આધ્યત્મિક-આવેગિક રીતે સ્વસ્થ એવો સમાજ વિકસે..!

સારવાર કરતા સાવચેતી સારી…🙏

#Heer 🌸#SchizophreniaAwarenesDay🤗
#Wecare✨#MentalHealth✌️#psychology🕎
#HealthyNation👼#HealthyUs💖

Uncategorised

અરે, સાંભળો છો! હું માણસ છું અને મારી જાતિ સ્ત્રી છે.

“સાહેબ, મારે ફરી પાછું ભૂતકાળમાં જવું છે મને ટાઇમ ટ્રાવેલ કરીને એ જ જૂની રૂઢિઓ અને માન્યતાઓમાં જીવવું છે.” ક્લીનીકની અંદર પગ મુકતાની સાથે જ મુગ્ધા આ બે વાક્યો બોલી. આરામથી ખુરશી પર બેસાડીને શાંત કર્યા પછી એની સાથે વાતચીત શરૂ કરી, “મેં પૂછ્યું કેમ ટાઇમ ટ્રાવેલ કરવું છે અને ભૂતકાળ તરફ પાછું કેમ વળવું છે ?” જવાબ આપતા મુગ્ધા બોલી, “સર, તમે જાણો જ છો છેલ્લા એક મહિનાથી હું મારી આ અકારણ ચિંતા (Anxiety) માટે તમારી પાસે કાઉન્સિલિંગના સીટિંગ માટે આવુ છું, પણ એક વાત મેં હજુ સુધી તમને નથી જણાવી કે મારી ચિંતાનું મુખ્ય કારણ હું ખુદ છું. મારી વધુ પડતી મહત્વાકાંક્ષાઓ જ મને રડાવે છે. હું થાકી ગઈ છું, એક યોગ્ય પત્ની, સમજુ વહુ, આદર્શ માતા અને સ્વાવલંબી (Independent) સ્ત્રી બનીને. એટલે મારે હવે ફક્ત હાઉસ વાઈફ બની જવું છે, ખાલી ઘરે બેસીને ઘરનું કામ કરવું છું, બસ. તમને ખબર છે મારું જોબ પ્લેસ દૂર છે એટલે લગભગ 2 કલાક મારા ટ્રાવેલિંગમાં જાય છે. ઓફિસના 8 કલાક અને પછી ઘરના અપાર કામ, રાત્રે સૂતા પહેલા બીજા દિવસની પૂરી ગોઠવણી કરીને સુવા જાઉં છું તેમ છતાં જો ઘરનું એક મેમ્બર મોડું જાગે એટલે મારા આખા દિવસનું ટાઇમ ટેબલ હલી જાય. મારે નોકરી શરૂઆતમાં કરવી હતી પણ હવે છોડવી છે પણ ઘરના લોકો છોડવા દેતા નથી, સારી આવક ઘરમાં આવતી હોય તો કોને ના ગમે ! પણ સામે હું ઘૂંટાવ છું એ કોઈ નથી જોતું!” આંખમાંથી આંસુઓ અચાનક એમ સરી પડ્યા જેમ હોળીના દિવસે વરસાદ. એક લાંબો પોઝ લઈને મુગ્ધાએ ફરી બોલવાનું શરૂ કર્યું. “છેલ્લા પંદર વર્ષથી હું નોકરી કરું છું અને ઘર પણ સંભાળું છું, પણ મારા ઘરની અંદર મારી મનોસ્થિતિને સમજનાર કે સાંભળનાર કોઈ નથી. લગ્ન પહેલા ઘરમાં એક – બે નોકર હતા, એ મારા આવવાની સાથે છોડાવી દેવાયા, મારા પતિ મને ઘરનું એક પણ કામ કરાવે કે તરત મારા સાસુ સસરા એને ‘બાયુના કામ’ કંઈ કરાતા હશે એવું બોલે, એટલે હવે મારા પતિ કામને હાથ પણ અડાડતા નથી. મારો છોકરો પણ એના પપ્પાના નકશા કદમ પર ચાલે છે. ઘરની અંદર કામવાળી અને ઘરવાળી હું જ છું અને બહાર જઈને કમાવવાળી પણ હું જ છું. મારા પતિની જોબ કોરોનામાં છૂટી ગઈ છે. થોડા સમય માટે પ્રયાસો કર્યા પણ હવે તે નવી જોબ માટે પ્રયાસો પણ કરતા નથી. કેમ કે મારી સરકારી નોકરીમાંથી ઘર ખર્ચ આરામથી નીકળી જાય છે. હું એટલે ભૂતકાળમાં જવા માંગું છું, કેમ કે મારે ફરી એ લાજ લપ્રથાવાળું જીવન જીવવું છે. ભલે મને બહાર જઈને કામ કરવાની છૂટ ન મળે, મને ચાલશે. હું મર્યાદામાં જીવી લઈશ. હું ઘરે રહીને મારા સંતાનોને મોટા કરી લઈશ પણ આ મારી જાતને સાબિત કરવામાં અને પુરુષ સમોવડી થવામાં મારી જાતને રોજ સળગતી નથી જોઈ શકતી.” મારી કલીનીકમાં આ વાક્ય પછી ફકત આંસુઓના ડૂસકાં જ સંભળાતા હતા.

સ્ત્રીઓ આવી અને સ્ત્રીઓ તેવી છે, આપણે એ સમાજમાં જીવીએ છીએ કે જ્યાં સ્ત્રી માતા છે એવું પણ અસંખ્ય માત્રામાં સંભળાય છે અને એ જ સ્ત્રી પર અસંખ્ય અભદ્ર શબ્દ પ્રયોગ પણ થાય છે, ઝઘડો ભલે બે પુરુષ વચ્ચે ચાલતો હોય પણ એમાં ગુસ્સો પ્રદર્શિત કરવા બોલાતી ભાષા સ્ત્રીઓને અને એના અંગત અવયવોને અનુલક્ષીને જ હોય છે. એના સિવાયની વાત કરીએ તો છેલ્લા પાંચ દાયકામાં સ્ત્રીઓની ભૂમિકામાં પરિવર્તન આવ્યું છે, સ્ત્રીઓના જીવનમાં ધરખમ ફેરફાર આવ્યા છે. એક ઝુંબેશ ચાલે છે સ્ત્રીઓ માટે પણ શું આપણે જાણીએ છીએ કે આ ઝુંબેશની જરૂરિયાત કેટલી છે ? સમાજની અંદર ભણેલી સ્ત્રીઓ, કામ કરતી સ્ત્રીઓ, પોતાનો બિઝનેસ ચલાવતી સ્ત્રીઓનો એક અલગ મોભો છે પણ એ સ્ત્રીઓના જીવનના અંગત અરીસામાં પડેલી તિરાડો જોઈએ છીએ ? આપણો સમાજ બદલાયો છે પણ પેલી *(કંડીશન અપ્લાઈ) સાથે. આપણે છૂટ આપી છે પણ સ્ત્રીના એક પગમાં ઘરની જવાબદારીની સાંકળ બાંધીને. અહીં સ્ત્રીઓને ઘરની જવાબદારીઓમાંથી મુક્તિ અપાવવાની વાત નથી પણ એક પ્રાથમિક સમજ વિકસાવવાની વાત છે. સરળ સમજ એટલી જ છે કે જો કોઈ મનુષ્ય માટે કોઈ પણ કામ નાનું નથી ! તો શા માટે આપણે સ્ત્રીઓ અને પુરુષોના કામના ભાગલા પાડીને શા માટે આજે અતિઆધુનિક યુગમાં પણ જીવીએ છીએ ? પુરુષ જેટલી મજૂરી કરીને કે પોતાની આવડત દેખાડીને સ્ત્રીને પૈસા કમાવવામાં શરમ કે સંકોચ નથી થતો તો શા માટે પુરુષને ઘરના કામ કરવા માટે આટલો શોભ અને સંકોચ થાય છે ? ઘરના દસ્તાવેજ પર નામ નોંધવા માટે જેમ હકની વાતો આવી જાય છે તો ઘરની અંદરના દરરોજના કામ માટે શું કામ આપણે આપણી ફરજો ભૂલી જઈએ છીએ? ઘર બંનેનું છે એટલે એની માવજત પણ બંને મળીને જ કરવી પડે જો એક જણ આમને આમ પોતાની શક્તિ ખર્ચે રાખશે તો એક દિવસ એ કરમાઈ જશે.

દરેક સ્ત્રીની સ્થિતિ આવી છે એવું હું નથી કહેતી પણ ઘણી બધી સ્ત્રીઓ આમાંથી બાકાત નથી. સ્ત્રીઓને અડધી કલાક ચાલવા જવું હોય કે પછી થોડી વાર પોતાનો અંગત સમય કાઢવો હોય તો તેને મળતો નથી, અને અમુક સમય પછી એના શોખ એના રસોડાની વરાળમાં બાષ્પીભવન પામી જાય છે, એનું વધતું શરીર જોઈને આપણે એના પર હસી લઈએ છીએ કે ટીકા ટિપ્પણી કરી લઈએ છીએ પણ એના પર વધી રહેલા કામના ભારની કાળજી કરવાનુ ચૂકી જઈએ છીએ. સ્ત્રીઓનું જીવન રસોડા અને ઓફિસ વચ્ચે ફૂટબોલની માફક ફંટાતું રહે છે અને આપણે એની પાસે બેસીને એની સાથે સંવાદ કરવાનું ટાળીને એક – બે ગમતી ભેટની લાલચ આપી દઈએ છીએ. કેટલાય ઘરોમાં મેં આવા સંવાદો સાંભળ્યા છે કે, ” આના પપ્પા જાતે પાણીનો ગ્લાસ પણ ન લે.”, ” આમને ગરમ રોટલી ના મળે એટલે પત્યું, બહુ વડકા ભરે.”, “મારી ઈચ્છા તો છે પણ આના પપ્પા નહિ માને.” ત્યારે લૈંગિક સમાનતા સામે ખરેખર પ્રશ્ન થાય. પુરુષને સ્ત્રી જેવું બનીને કામ કરવાનું તાત્પર્ય નથી, પણ સ્ત્રીને સ્ત્રી રહેવા દઈએ એને રોબોટ કે મશીન બનતા અટકાવી શકીએ તો સાચું વુમન એપારવમેન્ટ થયું ગણાશે અને ખરેખર આ આઠમી માર્ચની ઉજવણી સાર્થક થશે.

અહીં મુગ્ધા કેસમાં ફેમિલી કાઉન્સેલિંગ સેશન્સ લેવાયા, ધીરે ધીરે મુગ્ધા ઠીક થઈ રહી છે. અને હવે એનો ટાઇમ ટ્રાવેલનો વિચાર બદલીને લાઇફ પાર્ટનર સાથે વેકેશનમાં ટ્રાવેલ કરવાની યોજનાઓ બનાવી રહી છે. મુગ્ધા અને તેમના પતિ હવે ઘર અને નોકરી બની સમાન રીતે સંભાળે છે.

#છેલ્લો કોળિયો: સ્ત્રીને પુરુષ સમોવડી કે પુરુષને સ્ત્રી જેવું વર્તવાનું નથી પણ એક માણસ તરીકે માણસ જેવું વર્તવાની જરૂર છે. આર્થિક અને સમાજિક જીવનમાં તાલમેલ ન હોય તો આવેગિક જીવન ખોરવાય જાય છે પછી કાં તો સંબંધ માંદો
પડે છે કાં તો માણસ.


આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી એકાદ મહિલાના મનને સમજીને કરીએ, એના ફિગરને થોડી સાઈડમાં મૂકીને એનામાં રહેલી જીગર અને લાગણીઓની ઉજવણી કરીએ. એને એક વ્યક્તિ તરીકેના દ્રષ્ટિકોણથી જોઈએ.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

Uncategorised

तू खुद की ख़ोज में निकल 💫

એક માનવની આ વાત, બહુ સમાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં જીવતો, અને પોતાના સપનાં પૂરા થશે એ જીજીવિશા હેઠળ ધબકતો આ માનવ. બે બહેનો પછી જન્મેલા આ ભાઈના માથે જન્મથી આશાઓનો ટોપલો હતો, મમ્મી ઘરે ઘરે ટિફિન પહોંચાડે અને પપ્પા રિક્ષામાં વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડે. સરકારી શાળામાં ભણીને અને ખર્ચ જોડ-તોડ કરીને સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યો. માનવને કોઈએ સલાહ આપી કે સરકારી નોકરીની તૈયારી કર જીવનની મુશ્કેલીઓમાં રાહત થશે, કાયમી આવક અને સિકયુરિટી મળશે એ અલગ. માનવ સમજુ અને ડાહ્યો હતો, પરિવારને આર્થિક રીતે સદ્ધર કરવાનું હમેંશા ઈચ્છતો, એટલે સરકારી પરીક્ષાઓની તૈયારી શરૂ કરી, આખી પ્રક્રિયાને સમજી અને મહેનત કરવા લાગી ગયો. દિવસ રાત વાંચતો, જે વિષયમાં નબળો હતો એ વિષય પણ વધુ ને વધુ ઊંડા રસપૂર્વક સમજ્યો અને ભણ્યો, નોકરી મળશે અને પગાર આવશે એવું વિચારીને કેટલાક પુસ્તકો ખરીદ્યા, કોંચિગમાં ક્રેશ કોર્સ કર્યા, જેટલી પણ પરીક્ષાઓમાં યોગ્યતા ધરાવતો હતો એ તમામ પરીક્ષાઓના ફોર્મ ભર્યા, સાઇબર કાફેનો ખર્ચ, પરીક્ષા ફી, આવા જવાનું ભાડું, અને અઢળક વાંચન કરીને માનવ તૈયાર હતો સરકારી પરીક્ષા દેવા પણ, જિંદગી એની કઈક જુદી જ પરીક્ષા લેતી હતી, કોવીડ19 કારણે ઘણી બધી પરીક્ષાઓ પાછી ધકેલાઈ અને પછી ઘણી બધી પરીક્ષાઓ રદ થઈ, બે પરીક્ષાઓ તો એવી હતી કે જેમાં માનવનું મેરીટ ઘણું ઊંચું હતું પણ પાછળથી ગેરકાયદેસર ગુન્હા અંતર્ગત આખી પરીક્ષા જ રદ થઈ ગઈ. માનવએ ધીરે ધીરે કરતા 20 થી 30 વર્ષ સુધી સરકારી નોકરી મેળવવા હાથ પગ માર્યા, યુવાનીના દસ વર્ષ ગુમાવીને આજે માનવ સરકારી કર્મચારી બનવાના અભરખાને નેવે મૂકીને એક ફૂડ સ્ટોલ ચલાવે, એને એ કામ ગમતું નથી પણ એ કામમાં એને ખાતરી છે કે હું મહેનત કરીશ તો જરૂર મને પરિણામ મળશે જેમાં કોઈ જ શંકા નથી.

માનવ જેવા લાખો યુવાનો સરકારી નોકરી માટેની તકની રાહ જોઈને બેઠા છે એમને સરકારની વ્યવસ્થાની સાથે સંકલન કરીને એક ક્ષેત્રમાં કામ કરવું છે પણ શું આપણે સફળ નીવડ્યા છીએ ખરી ! એના માટે રસ્તો ખુલ્લો કરવા ? કેટલાક પ્રશ્નો અહીં વ્યવસ્થા સામેના જોઈએ.
1. સરકારની એક ભરતી સામે આટલી બધી અરજીઓ શું કામ ?
2. શા માટે સરકાર એક પરીક્ષા લેવા માટે નિષ્ફળ જાય છે ?
3. મૂલ્યો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એ વિદ્યાર્થીઓ માટે જ જરૂરી છે ?
4. શું ચોક્કસ અભ્યાસક્રમને આધારે અને મેરીટના આધારે જ નક્કી થઈ શકે કે આ માણસ સારી રીતે કામ કરી શકશે ?
5. એક – બે વ્યક્તિએ કરેલી ભૂલનું પરિણામ આટલું મોટું જૂથ અને એનો પરિવાર ક્યાં સુધી ભોગવશે ?
6. રાત દિવસ એક કરીને વાંચનાર વ્યક્તિના સપનાંઓ જ્યારે આંખ સામેથી ઓજળ થઈ જાય ત્યારે શું આપણે ટિકિટનો ખર્ચ આપીને એના સપનાંની ભરપાઈ કરી લઇએ છીએ ? 7. કોલેજમાં અભ્યાસ પૂર્ણ થયા પછી સીધી ભરતી યોજના અંતર્ગત આ પરિવર્તન શક્ય નથી ? 8. બેરોજગારી દૂર કરવા માટે અને ઉતમ કક્ષાના સરકારી કર્મચારી મેળવવા માટે શું આધુનિક તકનીકનો ઉપયોગ કરવો હિતાવહ નથી ?

હવે કેટલાક પ્રશ્નો ઉમેદવારો માટે :

1. સરકારી નોકરીનો આટલો મોહ શું કામ ? 2.તમારું લક્ષ્ય એ તમારી આવડત વધારવાનું અને તમારી અંદર રહેલા કૌશલ્યની ધાર કાઢવાની જગ્યા પર માત્રને માત્ર અમુક તમુક ચોક્ક્સ જગ્યા પર સ્થાયી થઈ જવું શા માટે છે ?3. શા માટે સરકાર નોકરીને એક માત્ર ઈજારો સમજીને જીવન જીવવા માંગો છો ? 4.જેટલું ધ્યાનપૂર્વક સરકારી અભ્યાસક્રમો ને સમજ્યા છો એટલું ધ્યાનપૂર્વક તમારી અંદર રહેલા મનને સમજ્યા છો ? પૂછ્યું છે એને કે એને કયું કામ, કયો વ્યવસાય અને કંઈ કારકિર્દીમાં રસ છે ?

More than 28 Competitive exam

નોકરી કરો, વ્યવસાય કરો, સરકારી કર્મચારી બનો કે નાના એવા ધંધામાં રોકાણ કરો સાંજ પડે તમને એ કામ કર્યાનો આનંદ થવો જોઈએ, કાર્ય સંતોષ વધશે તો કામચોરી ઘટશે અને ઉત્પાદકતા પણ વધશે તમારી આવકની અને જે તે ક્ષેત્રની પણ.

જિંદગીના અગત્યના વર્ષો ક્યાં રોપો છો તે જરા જોજો, સાચવજો. સરકારી નોકરીના ફોર્મ ભરતા પહેલા એક વાર તમારી અભિરુચિ (Interest) અને અભિયોગ્યતા (Aptitude) નું ફોર્મ ભરજો. જો અભિરુચિ અને અભિયોગ્યતા સાથે નોકરીમાં આવતી જવાબદારીઓ અને ફરજો મેચ થતી હોય તો જ ફોર્મ ભરજો બાકી ખાલી ખોટી ભીડ જમા કરશો નહીં. કેમ કે નોકરી મેળવીને તે જગ્યા પર બેસીને જીવનનો ૧/૩ હિસ્સો ત્યાં પસાર કરવાનો છે, જો 2 Days 3 Night સ્ટે કરવા માટે હોટેલમાં આપણો કંફર્ટ અને આપણી પસંદગી જોતાં હોઈએ તો આ તો બહુ લાંબી યાત્રા છે , રુચિ નહીં પડે તો બધું બગડશે તમારું જીવન પણ અને એ હોદાનું કાર્ય પણ.

#છેલ્લો કોળિયો: જીવનમાં કામયાબ થવા માટે કાબિલ થવું જરૂરી છે, કોઈ ચોક્કસ કર્મચારી તરીકેની પદવી એની મહોતાઝ નથી.

~ ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય 🌸

Uncategorised

वक्त आने दे बता देंगे तुझे ऐ आसमां,हम अभी से क्या बतायें क्या हमारे दिल में है ।🌸

“ભલે આપણે સૌ મુસીબતના માર્યા,
પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,
સપનાઓ, ઇચ્છાઓ, તિતિક્ષા, છે બાકી,
તુ લેતો જા છોને પરીક્ષા છે બાકી”

એક ગુજરાતી નાટકમાં આ સાંભળેલું, મુશ્કેલીઓ, મૂંઝવણ, તકલીફો, આ બધું દૂર કરવા આજીવન આપણે કામ કરતા હોઈએ છીએ, અને ઘણીવાર થાકી જતા હોઈએ છીએ કે, હજુ કેટલું કરવાનું ? અને ક્યાં સુધી આ ચાલ્યાં કરશે ? અત્યારે કેટલાક યુવાનોમાં 25-30 વર્ષે મીડ લાઇફ ક્રાઇસિસ આવી જાય છે. એમની હિંમત ઓછી થઈ જાય છે અને કામ પ્રત્યેની ધગશ બાષ્પીભવન પામે છે અને રહી જાય છે માત્ર વસવસો કે, મારું વિશ લીસ્ટ પૂરું ન થયું.

લોકોની થાકી જવાની, હારી જવાની, સપનાંઓ ન જોવાની ચોક્કસ ઉંમર હોતી હશે ? કે પછી Age is just number અહીં પણ લાગુ પડે છે! શું વૃધ્ધ થતાં જેમ ચામડીઓમાં કરચલીઓ પડે છે એમ લોકોની કલ્પનાઓમાં પણ કરચલીઓ પડે છે ખરી !

આ બધા પ્રશ્નોના જવાબ સામે જવાબ છે, 77 વર્ષના ઊર્મિલાબહેન આશર, જે ગુજ્જુબેન ના નાસ્તા થી બહુ ફેમસ છે, ઊર્મિલા બહેનના જીવનમાં એક પછી એક કેટલીય મુશ્કેલીઓ આવી પણ એમની હિંમત અને જીવન પ્રત્યેના એક હકારત્મક વલણને કારણે તેઓ આજે સરસ રીતે પોતાનો બિઝનેસ ચલાવે છે. પોતાના ત્રણ સંતાનો છે ગુમાવનાર આ માતા જીવનના ઉત્તરાર્ધમાં પણ કાર્યશીલ છે, હસતાં હસતાં દરરોજ 12-14 કલાક કામ કરે છે. અને મહિને 3 લાખ કરતા પણ વધુ કમાઈ છે. તેમનો આ બિઝનેસ કોવિડ19ના સમયે અથાણાંના ઓર્ડરથી શરુ થયો હતો અને જે આજે આટલો વિકસિત છે, ગુજ્જુબેનનો પૌત્ર હર્ષ તેમની સાથે આ બિઝનેસ ચલાવે છે. ગુજ્જુબહેન પોતાની યુટ્યુબ ચેનલના માધ્યમથી લોકો સુધી વાનગી બનાવવાની રેસિપી અને જીવન જીવવાની જડીબુટ્ટી પહોંચાડે છે, તેમના ચહેરા પર કાયમ મુસ્કાન અને શરીરમાં કામ કરવાની ઊર્જા હોય છે. 77 વર્ષના દાદી પોતાના મનની વાત અને હાથનો સ્વાદ લઈને દેશ-વિદેશ જઈ આવ્યા છે, ઉપરાંત Tedxના સ્પીકર પણ રહી ચૂક્યા છે. અને હાલમાં માસ્ટર સેફ ઓફ ઇન્ડિયાના મંચ પર પણ તેઓએ સ્થાન મેળવ્યું છે.

આ દાદીની વાત એટલા માટે કેમકે ઘણા બધા યુવાનો એવું વિચારીને હાર માની બેસે છે કે, ” આપણે હવે શું કરી લેવાના”, “કરવાનો સમય જતો રહ્યો”, “મારે તો કરવું હતું પણ પરિસ્થિતિએ મને સાથ ન આપ્યો”, “મારા ઘરના લોકો એ મને સપોર્ટ કર્યો હોત તો આજે હું પણ કોઈ સારી જગ્યા પર હોત”, તો એ તમામ લોકોને કહેવું છે કે, તમારી સ્થિતિ કદાચ દાદીથી પણ ખરાબ હશે, પણ તમારી ઉંમર ઘણી નાની છે તમારી પાસે ઘણો સમય છે, અને તમારી પાસે ઘણી આવડત છે ખાલી જરૂર છે મન લગાવીને તેના પર કામ કરવાની, આઠ કલાકની નોકરીમાં પણ આપણે કામચોરી કરવાની તરકીબો શોધી લઈએ છીએ, અને પછી અસફળ થવાનો દોષ સ્થિતિ, પરિસ્થિતિ અને ઘરના લોકોના માથે મારીએ છીએ, તો આવી છેતરપિંડી જાત સાથે ક્યાં સુધી કરીશું ? ક્યા સુધી અરીસા સામે ‘ દ્રાક્ષ ખાટી છે ‘ નો રાગ આલાપ કરીશું ? એક વાર દ્રાક્ષ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી લઈએ.

2023ના બનાવેલા નિયમો ભલે ઠેકાણે પડી ગયા હોય પણ નક્કી કરીએ કે કામ કરવા ખાતર નહિ, કામ કરવું છે એટલે કરીશું. જીવનમાં સફળતા મેળવવવા ઘણા પાપડ વણવા પડે, ઘણી બધી વસ્તુ ત્યજવી પડે, ત્યારે જ સંઘર્ષને પેલે પાર ઊભેલી સફળતા રૂડી રૂપાળી અને મીઠડી લાગે. આપ સૌ આ મહેનતમાં તપો અને પછી સફળતાને પામો તેવી શુભકામનાઓ.

#છેલ્લો કોળિયો: સફળતા એ 15 સેકેન્ડની રિલ્ જેવી નથી, પણ સફળતા એક પુસ્તક જેવી છે, એક ફિલ્મ જેવી છે જેની પાછળ ઘણી બધી કલાકો, ઘણી બધી સમજણ એટલી જ ધીરજ અને ઘણા બધા પ્રયાસો સમાયેલા છે.

~ ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

દાદી જ્યારે ” Hello, How are you? ” બોલીને વીડિયો શરુ કરે ત્યારે બહુ મજાના લાગે 🌸❣️
Uncategorised

जिंदगी मौत ना बन जाए संभालो यारो 🥴


ઊર્જા નામની એક ગૃહિણી, બારમું ધોરણ પાસ કર્યું અને તરત જ લગ્ન નક્કી થઈ ગયા, લગ્ન કરીને સાસરે એવી પરોવાઈ ગઈ કે એને કોઈ ભાન જ ના રહ્યું , સંસારમાં ગોઠવાયેલી ઊર્જા જાતને ભૂલીને લગ્ન જીવનમાં જોતરાઈ ગઈ, બે વર્ષ પછી ઊર્જા અને ઉમંગને ત્યાં ટવીન્સ બાળકો જનમ્યાં જેનું નામ વિભા અને વિલાસ રાખવામાં આવ્યું.
ઊર્જાનું જીવનચક્ર એનું એ જ ચાલતું, સવારે 6 વાગ્યાથી શરૂ કરીને રાત્રે કામ પતે ત્યાં સુધી ઊર્જા ઘરના દરેક સભ્યોની ઈચ્છાઓનું લીસ્ટ પૂરું કરતી, સવાર દૂધ અને છાપું ઘરની અંદર લેવાનું અને રાત્રે કચરો ઘરની બહાર મૂકવાનું, સાસુ – સસરાની દવાઓ અને પતિનો નાસ્તો અને ટિફિન, બાળકોને સમયસર જમાડવાનું અને પ્લે હાઉસમાં લેવા – મૂકવા જવાનું, ચોવીસ કલાકમાંથી જેટલો સમય ઊર્જા સુવે અને દૈનિક કાર્ય કરે એટલો સમય પોતાના માટે કાઢે બાકીનો સમય ઘર પર ન્યોછાવર. ઊર્જાને એવું લાગતું હતું કે આ લોકો મારી જવાબદારી છે અને મારે એને સારી રીતે નિભાવવાની છે.
ઉમંગ ઘણીવાર કહેતો કે તું તારી માટે સમય કાઢ, તું બધાને બધું પીરસીને ન આપ, અમે લોકો થોડું મેનેજ કરી લઈશું પણ ઊર્જા બહુ કંઈ ધ્યાન ન આપતી.

એક દિવસ ઊર્જા વિભા અને વિલાસને પ્લે હાઉસમાંથી તેડવા જતી હતી ત્યાં એનો અકસ્માત થયો, હાથ અને બંને પગમાં ઘા વાગ્યો હતો છ મહિના સુધી તે પથારીમાં રહી અને આ છ મહિનામાં તેણે જિંદગીને એક નવા ચશ્માથી જોઈ, શરૂઆતમાં ઘરમાં બહુ મિસમેન્જમેન્ટ ચાલ્યું પણ સમય જતાં બધું વ્યવસ્થિત ગોઠવાય ગયું. સવારની ચા ઊર્જાના સસરા બનાવી લેતા અને નાસ્તો ઉમંગ બનાવી લેતો, રસોઈનું કામ સાસુજી એ સંભાળી લીધું, બાળકોની જવાબદારી પણ ત્રણેય વારાફરતી વહેંચી લીધી.
ઊર્જાનો અકસ્માત એના માટે સમય લઈને આવ્યો, વિચારવા માટેનો સમય, બધું જોતાં અને ઓબઝરવેશન કરતા ઊર્જાને સમજાયું કે, “મને લાગતું હતું કે આ લોકો મારા પર dependent છે પણ ખરેખર તો હું આવેગિક રીતે એમના પર dependent છું, ઘરમાં કોઈ એક વ્યક્તિને પણ જમવામાં મજા ન આવે તો દુ:ખી હું થઈ જાઉં, ઉમંગ લેટ જાગ્યો હોય તેમ છતાં એને ઓફિસ જવામાં મોડું થઈ જાય તો ગિલ્ટ મને થાય, મારી જાત માટે સમય મળતો જ ન્હોતો કેમ કે શરૂઆતથી મેં જ બધાને મારી ખોટી આદત પાડી દીધી હતી, નાની મોટી દરેક વસ્તુ હું જ કરી આપું એવા મારા દુરાગ્રહના કારણે બધાને બધું સમયસર તો મળી રહેતું પણ મને મારી જાત માટે સમય જ ન્હોતો મળતો અને એના કારણે હું ગુસ્સે થઈ જતી, મારો સ્વભાવ ચીડચીડ્યો બની ગયો , અને હમેંશા એ વાતનું ગુમાન કરતી કે મારી વગર મારા પરિવારને એક દિવસ પણ ન ચાલે પણ ક્યારેય આ રીતે તો વિચાર્યું જ નહિ, કે સતત Yes women બનવામાં ,મારી અંદરની women મારી રહી છું.”
ઊર્જાના હાથ અને પગના પાટા સાથે કેટલાક સંવેદનોના પાટા પણ ખુલ્યા, ઊર્જા હવે રોજ સવારે ઘરના કામ પાછળ ફૂટબોલના દડાની જેમ ઉછળકૂદ નથી કરતી પણ પરિવારની સાથે બેસીને સસરાના હાથની બનાવેલી ચા પીવે છે. સાંજે મ્યૂઝિક ક્લાસ જાય છે અને પોતાનો આર્ટ અને ક્રાફ્ટનો એક નાનો બિઝનેસ પણ સંભાળે છે. ટુંકમાં એ બધા માટે સમય કાઢે છે જે કરવામાં તેને નિજાનંદ આવે છે.

“આ તો હું છું એટલે ઘર સચવાયેલું છે.”
“હું ના હોત તમારું શું થાત!”
“મારા વગર એમને કંઈ ન જડે.”
“બે – પાંચ દીનું બધું ગોઠવીને નીકળવું પડે, તમારા ભાઈને બાકી કંઈ સુઝકો જ ન પડે.”
આવા કેટલાય ડાયલોગ આપણે ગૃહિણીના મોઢેથી અવારનવાર સાંભળીએ છીએ, ઘરની અંદર એક સ્ત્રીની ગેરહાજરી આખા ઘરને ઉથલપાથલ કરી શકે અને એના વિશે બહુ ચર્ચા પણ થઈ, સ્ત્રીઓના ઘણા વખાણ પણ થયા અને એક સ્ત્રીની મહાનતા પણ આપણે બધા એ મળીને સાબિત કરી. પણ આ ઘરની ઉથલપાથલમાં સ્ત્રીના મનની ઉથલપાથલનું શું ?

ઊર્જાના ઉદાહરણ મુજબ આપણે સ્ત્રીને આવેગિક અને આર્થિક બંને રીતે dependent બનાવી દઈએ છીએ, મેડિકલ પોલિસી હોય કે શેરમાં રોક્યેલા પૈસા, આપણે ક્યારેય ચર્ચા કરીએ છીએ ઘરની સ્ત્રી સાથે ? કમાતી સ્ત્રી પણ રોકાણ તો પતિ કહે એમાં જ કરે અથવા તો પતિશ્રીઓ જ એના નામે બધું સંભળાતા હોય,(ગામડાઓની અંદર જે રીતે મહિલા સરપંચની સ્થિતિ હોય એ રીતે) અને જ્યારે આકસ્મિક સંજોગો ઊભા થાય ત્યારે આવા ડાયલોગ મારતી સ્ત્રીઓ કેટલી લાચાર થઇ જતી હશે ?
આપણા ઘરની કોઈ પણ વ્યક્તિ જો આ codependencyનો શિકાર હોય તો એને કહેવાની જરૂર છે કે live your life & feel your own feelings.
Codependency ધરાવનાર વ્યક્તિને એવું જ લાગે છે કે આ બધી મારી જ જવાબદારી છે અને એ પૂરી કરવામાં એ જાતથી બહુ ઘસાતી હોય છે અને આવા ઘર્ષણ લાંબે ગાળે ડિપ્રેશન, હૃદયરોગ, ચિંતા, હાઈ બ્લપ્રેશર જેવા કેટલાય નાના મોટા રોગોને જાણેઅજાણે આમંત્રણ આપતા હોય છે.
થોડા સમય પહેલા Tripling season 3 જોઈ હતી જેમાં આપેલ સંદેશ ઘણા અંશે આના જેવો જ છે, આ જીવન માતા પિતા પોતાના સંતાનો માટે સગવડ ઊભી કરવામાં વ્યતીત કરી દે અને અંતે બાકીની ઉંમર બીમારીના લક્ષણો સાથે વિતાવી દે, તો એમના અંગત જીવનનું શું ? આવા પ્રકારની Codependency આપણને મુક્ત રીતે જીવતા અટકાવે છે.

#છેલ્લોકોળિયો : મેં તારા માટે આ કર્યું અને મેં તારા માટે તે કર્યું અને તું જો કેવી રીતે વર્તે છે આ બધું કહીને જો સંબંધોમાં સફાઈ ન આપવી હોય તો જલ્દી જ સ્વીકારી લો કે તમને સુખ આપનાર કે દુ:ખી કરનાર એકમાત્ર વ્યક્તિ તમે જ છો, તો સૌથી પહેલો સમય એના માટે કાઢજો અને હા, બધાને ખુશ કરવાની જવબદારી તમારી નથી.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય