behavioral patterns · children · codependent · dependency · Health solutions · husbandwife · India · life · lifestyle · mental health · moral values · Norway · observations · old is gold · parenting · Uncategorised

પ્રોઢસંસ્કાર 🤔

રીદા કલીનિકની અંદર પગ મૂકતા જ રડવા લાગી હજુ હું કંઈ સમજુ કે પૂછું એ પહેલાં અચ્યુત કલીનિકમાં આવ્યો અને રીદા સામે નજર કરીને શાંત થવાનો ઈશારો કર્યો. ૫ મિનિટ પછી બંને મારી સામેની બે ખુરશીઓ પર ગોઠવાય ગયા. થોડીક કેસ રિલેટેડ ફોર્માલિટી પૂરી કરી મેં બંનેને પુછ્યું,  “શું મદદ કરી શકું છું હું આપની ?” જેનો જવાબ કંઇક અલગ મળ્યું. અચ્યુત બોલ્યો, ” મેડમ, તમે મારા પપ્પા અને મમ્મીને અહીં રાખી શકો ? હું એમને તમારી કલીનિકે મૂકી જાઉં ?
આ સવાલ કેમ ઉભો થયો અને કલાઈન્ટ આટલી અકળામણમાં કેમ છે એ જ્યારે કેસ હિસ્ટ્રી લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું. અચ્યુત અને રિદા બંને ભાઈ – બહેન પોતાના માતા – પિતાની ફરિયાદોનો કાફલો અને કેટલીક પીડાઓ લઈને આજે મારે આંગણે આવ્યા હતા. તો વાત જાણે એમ હતી કે, બંનેના માતા – પિતા એટલે કે હસમુખભાઈ અને મૃણાલીબહેન મુંજપરા જીવનના પાંચ દાયકા પૂરા કરીને છઠ્ઠામાં પ્રવેશી ચૂક્યા હતા. એમનું જીવન ઘણું સરળ અને સુખદ દેખાતું હતુ પણ ખરેખર એવું હતું નહિ.
ફરિયાદોનો આરંભ કરતા રીદાએ બોલી,


“મમ્મી કે પપ્પા અમારી એક પણ વાત માનતા કે સમજતાં નથી, પોતાની જૂની રૂઢિ અને રિવાજોને મારી અને ભાઈ પર થોપી બેસાડે છે, વાત અહીંયા પૂરી થઈ જતી હોય તો પણ ભલે પણ ના, એ તો અલગ અલગ તૂત ઉભા કર્યા જ રાખે છે, ક્યારેક અમારા ફ્રેન્ડસ સામે તો ક્યારેક અમારી પ્રોફેશનલ લાઇફમાં, નાની – મોટી બધી વસ્તુમાં ચંચુપાત કરવાની અને ન કંઈ કહીએ કે પૂછીએ તો રિસાઈ જવાનું. શું આ બધું ઠીક છે ? સમય પર દવા નથી ખાવી કે પોતાનું કંઈ ધ્યાન નથી રાખવું હવે અમે કેટલીક વાર કહીએ ? નાનું બાળક હોય તો ખીજાય ને કે ઠપકો આપીને પણ કહી દેવાય પણ આમની સાથે તો એ પણ ન થઈ શકે.


અચ્યુતે થોડું ઉમેરતા કહ્યું, “મેડમ હું જાણું છું કે આ બધું થવું બહુ સ્વાભાવિક છે બધા સંતાનો સાથે થતું હશે પણ શું આના કારણે માતા – પિતાની માનસિક સ્થિતિ ખરાબ થાય ? કે એમને બીજી કોઈ મુશ્કેલીઓ પડે ખરી ? કેમ કે કયારેક મને એવું લાગે છે કે They are not really okay! કેમ કે પોતે ભલે એકપણ કામ જાતે સંભાળી શકતા નથી તો પણ સ્વાભીમાનનું પૂછડું છોડવું નથી. બીજાની મદદ લેવી નથી અને ક્યારેક તો ગળગળા થઈ જાય અને ક્યારેક જૂની વાતોને યાદ કરીને કરીને ખિલખિલાટ હસ્યા કરે. શું આ બધું નોર્મલ છે ?


અચ્યુત અને રીદાના પેરન્ટ્સનો કેસ ખરેખર ઇન્ટ્રેસિંગ હતો, આખી વાતને શરૂથી શરૂ કરવામાં આવી માતા-પિતા સાથે કાઉન્સિલીંગ સેશન્સ થયા અને ફેમિલી કાઉન્સિલીંગ સેશન્સ પણ થયા. યોગ્ય પ્રકારની સાયકોથેરાપીની મદદથી લગભગ ૮ મહિના પછી ધીરે ધીરે અચ્યુત અને રીદાનું ટ્યુનિંગ તેમના માતા-પિતા સાથે બેઠું અને હવે પરિવાર કુશળમંગળ રીતે જીવન જીવે છે.


દરેક કેસ થેરાપિસ્ટ/કાઉન્સેલરને કંઇક શીખવે છે, સ્વાભાવિકપણે આ કેસમાં મેં પણ ઘણું શીખ્યું અને સમજ્યું ત્યારે મનમાં સતત એક વિચાર ચાલતો હતો અને I am sure કે તમારામાંથી ઘણા બધાને પણ આ વિચાર આવતો હશે કે શા માટે આપણી પાસે એવી કોઈ ચોક્કસ વ્યવસ્થા કે યોજના નથી જેમાં આપણે સમજી, જાણી અને શીખી શકીએ કે જીવનના ઉતાર્ધ પર આગળ વધી રહેલા આપણા માતા – પિતાને કંઈ રીતે સંભાળવા ? શા માટે આપણી સામાજિક વ્યવસ્થામાં એવી કોઈ પ્રણાલી પ્રસ્થાપિત નથી કે જ્યાં પુખ્ત થતાં વડીલોની કુમળી લાગણીઓને આપણે સુરક્ષિત રાખી શકીએ. આપણે ગર્ભસંસ્કારમાં માનીએ છીએ અને એને ઉજવીએ અને જીવીએ પણ છીએ તો પ્રોઢસંસ્કાર કેમ નહિ ? આપણે ‘જનરેશન ગેપ’ના નામ પર ઘણી વખત આ વાત અવગણી નાખીએ છીએ પણ આ વિષય પર વાત કરવાનું હંમેશા ટાળીએ છીએ. એક સંતાન વધતી ઉંમર સાથે પ્રગતિ તરફ આગળ વધે છે જ્યારે તેના માતા – પિતા જીવનના અંત તરફ આગળ વધે છે, એ સમયે સ્વભાવમાં પરિવર્તન વ્યાજબી છે, બાળકને પા – પા પગલી શીખવવા અને તેને દુનિયામાં સેટલ થવામાં આપણે પુરે પૂરી મદદ કરીએ છીએ એ જ રીતે જીવન જીવી ચૂકેલા નિવૃત્ત થયેલા/ થવા જઈ રહેલા આપણા માતા – પિતા અને વડીલોની કાળજી રાખવી પડશે. સંશોધનો દર્શાવે છે કે પ્રોઢ/ વધતી ઉંમરે વડીલોને આ મુજબની કેટલીક કાળજી/કેર/હુંફ ની જરૂર હોય છે.


1. રોજબરોજના જીવનમાં ગોઠવણમાં મદદ આવશ્યક છે, સતત કેટલાય વર્ષોથી નોકરી/વ્યવસાય કરીને કે એક પ્રવૃત્ત ગૃહિણી બનીને સતત કામ કર્યું હોય ત્યારે અચાનક આવી પડેલો ફ્રી (free) ટાઈમ એમના માટે હેન્ડલ કરવો અઘરો હોય છે.


2. સુરક્ષા સંબંધી સવલતો : ઉંમરના આ તબક્કે નાની – મોટી દરેક વસ્તુ પર અન્ય પર આધારિત થવાનું એમના માટે એક અજુગતો અનુભવ છે, જેના કારણે ઘણીવાર તેઓ સંકોચ રાખે છે કાં તો પછી ચિડાય જાય છે. દા. ત. પોતાના ફાયનાસીસનું મેનેજમેન્ટ, ખરીદી, દવા કે ડોકટરની વિઝીટ વગેરે.


3. શારીરિક કે માનસિક સમસ્યાઓ : નાની મોટી શારીરિક કે માનસિક બિમારીઓ પણ તેમના વર્તન અને વ્યવહારને બદલી શકે છે.


4.  ગૂણવતાસભર જીવન : અમુક સમય પછી ગૂણવતાસભર જીવન ટકાવી રાખવું એ બહુ ચેલેંજીંગ હોય છે જેના કારણે પણ કેટલાક વ્યક્તિમાં ફરસ્ટેશન અને અકળામણ ઉત્પન્ન થતી હોય છે. જેમ કે કેટલાક ગંભીર કે સામાન્ય રોગો – ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ કે અલ્ઝાયામર.


5. સબંધોની માવજત અને પરિવારની ગરિમા : હવે મોટાભાગના વડીલો માટે આ બદલાવ ભુંકપના આંચકા જેવો હોય છે, સંબંધોની ગોષ્ઠિ પોતે જેમ ગોઠવી છે, સ્વાભાવિક છે એમના સંતાનો તદ્દન એ જ ફોલો કરશે એવી અપેક્ષા અતિશયોક્તિ ભરી છે, મનનું ધાર્યું નથી થતું ત્યારે તકલીફ થાય એ સહજ છે અને બીજું કે જ્યારે વર્ષોથી ઘરને એકજૂથ કરીને રાખ્યું હોય, જુદા જુદા નિર્ણયો લીધા હોય અને હવે જ્યારે મૌન રહીને ઘરની અંદર બનતી ઘટના પ્રેક્ષક બનીને જોવાની થાય ત્યારે મૂંઝારો તો થાય જ ને ?


6. જાત – સંભાળ (Self- care) : આપણા માતા – પિતા હંમેશા આ બાબતે કાચા જ રહ્યા છે, એમને પોતાની જાતને સૌ પ્રથમ મૂકતા કે પોતાની જાતને લાઇલાઇટમાં મૂકતા આવડ્યું જ નથી, એટલે આપણે એ સ્કીલ સેટ કરવા માટે એમને મદદ કરવી જ પડશે.


અચ્યુતની વાત પરથી આ વિચાર આવેલો અને મને લાગે છે કે આ સમયે ખરેખરે આપણા સમાજને આવા પ્રકારના એક દૃષ્ટિકોણની જરૂર છે. દરેક ઘરોમાં નાના – મોટા કલેશ/જઘડાઓ વર્ષોથી ચાલે છે, પણ આ મુદ્દાને આપણે આ દૃષ્ટિથી એકવાર જોઈએ અને ધીરે ધીરે અપ્લિકેબલ બનાવીએ તો કદાચ સંબંધોમાં એક નવી સુવાસ પ્રસરે. લોકો એકબીજાની વધુ નજીક આવી શકે. જે રીતે બાળકના જન્મ પહેલાં, દરમ્યાન અને પછી આપણે આપણી જાતને તૈયાર કરીએ છીએ અને પૂરતી કાળજી રાખીએ છીએ કે કોઈ જ ક્ષતિ ન રહે, બસ એવું જ વલણ વૃદ્ધ થતા માતા – પિતા પ્રત્યે કેળવવાનું છે.


છેલ્લો કોળિયો: જેટલી ધીરજ અને આસ્થા આપણા માતા – પિતાએ આપણને મોટા કરતી વખતે રાખી હતી કદાચ એનાથી ઓછી ધીરજ અને આસ્થા આપણે એમના ઘડપણને સમજવા માટે આપવાની જરૂર છે. મનના કોઈ ખૂણામાં વૃદ્ધ થતી વ્યક્તિના મનમાં આ વિચાર જરૂર આવતો હશે. જે કવિયત્રી પાયલએ બહુ યોગ્ય રીતે લખેલો છે.

“जीवन खोए हुई लोगो से और चीजों से भरा पड़ा है, पर फिर भी खाली सा है । “


– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · codependent · dependency · life · lifestyle · mental health · moral values · parenting · society · Uncategorised · youth

ઝગડાનો જનાજો

“થાકી ગયો છું, થાકી ગયો છું તારી આ જૂની વાતોથી. તું આમ હથિયારની જેમ જ્યારે જ્યારે વાપરે છે ત્યારે ત્યારે મને ડાઉટ થાય છે કે તું આ બધું રેકોર્ડ કરીને રાખે છે, એટલે ફરી વખત આપણો ઝગડો થાય ત્યારે તું એને વેપેન તરીકે યુઝ કરી શકે, અને હું લાચાર અને હથિયાર વિહોણો ઊભો હોઉં અને તું જીતી જા.”

આવા પ્રકારનું એક ઉદાહરણ આપીને મારી ક્લાયન્ટ શ્રીમતી અનુરાધા અગ્રવાલ ચૂપ થઈ ગઈ, અને એની લગોલગ બેઠેલા શ્રીમાન અવધ અગ્રવાલ ચિંતાતુર ભાવે થોડીવાર મને અને થોડીવાર એમની પત્નીને જોઈ રહ્યા અને ઊંડો નિસાસો નાખતા બોલ્યા.

“જુઓ, મેડમ આ વાત તદ્દન સાચી છે, હું આવું 100% એ 100% બોલ્યો છું, પણ એની પાછળ કારણ છે. જે હજાર વખત સમાજાવ્યા છતાં અનુ (અનુરાધા) નથી સમજતી, મેં એને કહ્યું છે કે તું ભૂતકાળને પકડી પકડીને નહિ ચાલ, જે થઈ ગયું એને જવા દે અને વર્તમાન અને ભવિષ્યમાં જીવ. જૂની વાતોને ખોદ ખોદ કરવાથી શું મળશે ? પણ ના એને હંમેશા જૂની વાતોનો જનાજો લઈને ફરવું હોય છે અને પોતાની જાતને બિચારી સાબિત કરવી હોય છે.”

લગભગ એક શ્વાસે આ બધું બોલીને અવધ શાંત થઈ ગયો.

આ પતિ – પત્નીનો કેસ ભલે નવો હોય પણ કિસ્સો મારા માટે નવો નથી કેમકે પતિ અને પત્ની વચ્ચે કે થોડું વધુ સ્પષ્ટ કરતા સ્ત્રી અને પુરુષ વચ્ચે આવો વિવાદ થવો સ્વાભાવિક છે. કેમ કે બંનેની પ્રકૃતિ અલગ છે, વિચારવાની, વર્તવાની અને વાગોળવાની રીત નોખી નોખી છે. ઝગડો કરવાની અને એને પચાવવા માટે બંનેની હોજરી પણ ભિન્ન છે. તો આનો ઉપાય શું ? આપણે બંનેના દૃષ્ટિકોણથી સમજીએ. જ્યારે સ્ત્રીઓ જૂની વાતોને યાદ કરીને વર્તમાન ઝગડામાં લાવે છે ત્યારે એની પાછળ કેટલાંક સંકેતો હોય છે જે એની મનોદશાને છતી કરે છે.

  1. हम साथ साथ है! : એટલે કે સ્ત્રીઓ જો વારંવાર આ પ્રકારનું વર્તન કરી રહી છે તો ક્યાંક એ એના મનમાં એવી ઇચ્છા છે કે તમે આ એની સાથે છો અને હંમેશા એની સાથે જ ઉભા છો એની ખાતરી એને જોવે છે. એટલે કે તમે બંને એક જ ટીમમાં છો ઓપોજિશન પાર્ટીમાં નથી.
  2. धोकाधाडी! : આ ટાઇટલને લિટરલી નથી લેવાનું પણ હા, ઘણીવખત સ્ત્રીઓ એવા મનોભાવમાં હોય છે કે ઘણી બધી વખત ચાન્સ આપ્યા છતાં અંતે એમના પાર્ટનર તરફથી એમને દગો મળ્યું, આ દગો મોટેભાગે આવેગિક (emotional) હોય છે. જેમાં તેની ધારણા મુજબનું વર્તન ન થયું હોય અથવા તો એના માટે અયોગ્ય કે અછાજતું છે એવું વર્તન થયું હોય છે.
  3. सुन रहा है ना तू ! : ઘણા બધા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે સ્ત્રીઓ ભૂતકાળને વાગોળે છે કેમ કે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ પોતાના ભાવ અને આવેગોને ખુલ્લા કરવા માંગે છે અને તે ઈચ્છે છે કે એમના પતિદેવ એમની મનોસ્થિતિ સમજે અને એને વેરીફાઈ કે અકનોલેજ કરે.
  4. जैसे थे वैसे है ! : આ કારણ મોટાભાગે જોવા મળે છે કેમ કે પુરુષ જેવા છે એવા કુદરતી રહેવાના જ છે, સ્ત્રીઓ ઈચ્છે છે કે અગાઉ જે ચર્ચા થઈ એ પ્રમાણે એમનામાં નાનો મોટો ચેન્જ આવે, અને જ્યારે તે કોઈ પણ પ્રકારનો બદલાઉં નથી જોતી ત્યારે એ ફરી જૂની વાતોને યાદ કરીને અફસોસ કરવાનું શરૂ કરી દે છે.
  5. उलझन नहीं सुलझी होगी! : આ એક મહત્વનું કારણ છે, સ્ત્રીઓ જ્યારે પોતાની જૂની વાતોને જઘડામાં વેપેન તરીકે વાપરે છે એનો મતલબ એ પાછળનો જઘડો હજુ સુધી શરૂ જ છે, એ મુશ્કેલી હજુ ક્યાંક ઉભરીને ઉગેલી જ છે. જરૂર છે એના પર પહેલા કામ કરવાની.

હવે અહીં હું ન્યુટ્રલ રહેતા પુરુષ જાતિની પણ મનોદશા વર્ણવી દઉં. કે શા માટે પુરુષોને એવું લાગે છે કે સ્ત્રીઓ જૂની વાતોને હથિયાર બનાવીને વાપરે છે કેમ કે એમને જીતવું હોય છે!

  1. भूल गया सब कुछ! : મોટાભાગે પુરુષો નાની નાની વસ્તુઓને પોતાની મેમરીમાં સ્ટોર કરવાનું ટાળે છે, જેના કારણે એમને આ લાગણી સતત થાય છે કે સ્ત્રીઓ આવી જીણવટ પૂર્વક વિગતોને નોંધે છે અને પછી એને નવા વિવાદમાં યુઝ કરે છે જે એના માટે કોન્ટેકલેસ છે.
  2. में ऐसा क्यों हु! : આ વસ્તુ પાણી જેવી સાફ છે કે પુરુષો પ્રેકટિકલ વધુ હોય અને સ્ત્રીઓ ઈમોશનલ. અને એટલે જ તેમની વિચારવાની અને સંબંધોને જોવાની ટેકેનિકાલિટી જુદી જુદી હોય જ.
  3. लब्ज़ रहने दो तुम आंखो से कह दो! : હવે આ વાતને ઘણા પુરુષો ઘોળીને પી ગયા છે એટલે તેઓ શબ્દોથી નહિ પણ વર્તનથી દેખાડે છે કે એમની પાર્ટનરશીપ મજબૂત અને ટકાઉ છે. પણ સ્ત્રીઓ જ્યારે ઝગડામાં જૂની વાતો લઈને આવે ત્યારે એ બેબાકળા થઈ જતાં હોય છે અને નેક્સ્ટ મોવ પર ઘણી વખત અણધાર્યો વળાંક લઈ લે છે.
  4. आखिर मेरी गलती क्या है! : આ મુદ્દામાં પુરુષ બેલેન્સ જાળવી રાખવાનું કામ કરે છે, તે પોતાના માતા- પિતા અને તેની પત્ની આ બે પેઢી સાથે સંકલન સાધવાનું કામ ખૂબ જ કાળજીપૂર્ણ કરે છે, તેમ છતાં જ્યારે વારંવાર ફરિયાદનો ટોપલો તેના તરફ ઢોળી દેવામાં આવે ત્યારે તે વધુ મૂંઝાતો હોય છે.
  5. चलो जाने दो अब छोड़ो भी: પુરુષો અલ્પવિરામ ને પૂર્ણવિરામ સમજીને જે થઈ ગયું એ થઈ ગયું, અર્થાત્ રાત ગઈ બાત ગઈમાં માને છે, એટલે જ પાછલો ભૂલીને આગળ ચાલે છે, અને જે ઘણી વખત એના માટે તકલીફ ઊભી કરે છે.

આખી વાત થોડી કોમ્પલેક્ષ લાગશે, જે સ્વાભાવિક છે કેમ કે માનવીના મનોવલણને સમજવું એટલું ક્યાં સરળ છે!

પણ આપણે અનુરાધા અને અવધમાં કિસ્સાની વાત પર પાછા આવીએ તો, બંનેનું યોગ્ય રીતે અને યોગ્ય સમય સુધી રીલેશનશીપ કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ થયું, જ્યાં જરૂર લાગી ત્યાં ફેમિલી સેશન્સ પણ થયા. અને અંતે આ વાર્તાનો અંત ‘ખાધું પીધું ને રાજ કર્યું’ એ રીતે થયો. પણ દરેકની વાર્તા આટલી સરળ નથી હોતી કેટલાંક કિસ્સાઓમાં વર્ષો સુધી એક પાત્ર રિબાઈ છે તો કેટલાકમાં હિસ્સામાં છૂટાછેડાનો દોર આવે છે, પણ થોડી સમજથી આપણો સંબંધ અને સમાજ મહેકી શકે છે જરૂર છે પ્રયત્નની.

લી.

ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય (RCT-C, PhD(Psy))

behavioral patterns · child development and care center · children · codependent · dependency · Health solutions · India · life · lifestyle · mental health · moral values · observations · parenting · society · youth

Animal but not social animal ! ✨

અબ્રાહમ મેસ્લોએ દર્શાવેલ જરૂરિયાતના સિદ્ધાંત મુજબ સૌથી નીચેના સ્તરે અથવા તો દરેક પ્રાણી માત્રની પ્રાથમિક જરૂરિયાત એ શારીરિક જરૂરિયાત છે અને એના પછી આગળ વધીએ કે ચાલીએ તો બીજી કેટલીક આવશ્યકતાઓ પર પહોંચીએ અને અંતે સ્વ-સાર્થકતા ( self actualization)ના સ્તર પર પહોંચીએ.

We are a product of our genetics and our environment. અર્થાત આપણું ઘડતર આપણને મળેલો શારીરિક વારસો અને વાતાવરણ પર આધારિત છે. આ વિષય પર અસંખ્ય સંશોધનો થઈ ચૂક્યા છે અને દરેક રિસર્ચના પરિણામો એક મુખ્ય તારણ પર પહોંચ્યા છે કે વ્યક્તિના વ્યક્તિત્વના સારા કે ખરાબ પાસાંઓ માટે એનું શારીરિક, માનસિક અને ભૌગોલિક પર્યાવરણ બહુ મહત્વનો ભાગ ભજવે છે.

2012ના દિલ્હી શહેરમાં એક કેસથી દરેક સંવેદનશીલ મનુષ્યના મન હચમચી ગયેલા, તે નિર્ભયા કેસ પરની એક ડોક્યુમેન્ટરી “India’s Daughter” માં અહમ ભૂમિકા ભજવનાર કિલનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. મધુમિતા પાંડેએ 150 કરતા પણ વધુ તિહાર જેલના કેદીઓના ઈન્ટરવ્યુ કર્યા, જેમાં તેમણે નોંધ્યું કે જે કેદીઓએ કોઈ વ્યક્તિની હત્યા કરી હતી તેઓની અંદર ‘અપરાધ ભાવ અને અફસોસ ભાવ’ જોવા મળેલો પરંતુ જે કેદીઓ બળાત્કાર પછીની સજા ભોગવી રહ્યા હતા, તેઓની અંદર ‘ અપરાધ કે અફસોસની ભાવના’ બહુ નિમ્ન હતી, પરંતુ તેઓ માનતા હતા કે જે પણ એમણે કર્યું છે એ ખૂબ યોગ્ય હતું અને સ્ત્રીઓ એ જ લાયક હોય છે એ પ્રકારનું વલણ જોવા મળ્યું.

https://www.thelily.com/a-woman-interviewed-100-convicted-rapists-in-india-this-is-what-she-learned/


આ બધી વાતો અને વિષયો અહીં શું કામ ! કેમ કે હવે પછીના વિષય માટે આ અભ્યાસોનો આધાર ખૂબ જરૂરી છે. તો અહીં વાત કરવાની છે હાલમાં બહુ ચર્ચિત એવા ચલચિત્રની જેનું નામ છે એનિમલ (ANINAL)
ડાયરેકટર અને સ્ક્રીન પ્લે લેખકની બે વાતથી હું પ્રભાવિત જો હોઉં તો એક ફિલ્મનું સુયોગ્ય નામ રાખવા બદલ કેમકે ખરેખર આ ફિલ્મ પ્રાણીઓ વડે બનાવાયેલી પ્રાણીઓ દ્વારા ભજવાયેલી પ્રાણીઓ દ્વારા જોવાય એવી જ પટકથા છે. (સામાજિક પ્રાણીઓનો સમાવેશ અહીં તદન નથી કરવામાં આવતો.) અને અને બીજું સારું સંગીત આપવા બદલ.

તો ફિલ્મ નિર્દેશકશ્રીને, તેમાં ભૂમિકા ભજવનાર કલાકારોને અને જે જૂથને આ ફિલ્મ ખૂબ ગમી છે તેમને કેટલાક પ્રશ્નો પૂછવા જેવા ખરા.

1. તમે લોકોને પિતા – પુત્રની પ્રેમ અને નફરતની કથા ટ્રેલરમાં બતાવી પણ ખરેખર એ આખી સ્ટોરીમાં પીરસવામાં તમે કેટલા ટકા સફળ રહ્યા છો !


2. કહેવાય છે કે કોઈ સારું નાટક નવરસનું યોગ્ય મિશ્રણ હોય છે, અથવા તો કોઈ એક શૈલીને ઉત્તમ રીતે પ્રદર્શિત કરતું હોય તેવું હોઈ શકે, પણ હૈ સંદીપભાઈ અહીં રોદ્રરસના ચક્કરમાં બિભસ્ત રસ (disgust ) કેમ લોકોને પીવરાવ્યો તમે !


3. હે ભાઈ, એક વાત કહેશો ! તમારા મતે આક્રોશ પડદા પર મૂકવો એની વ્યાખ્યા શું ! આક્રોશ અને ગુસ્સો દેખાડવવો એટલે કોઈ પણ જાતના કાનૂની કે ઉપરી દબાણ કે પ્રભાવ વગર, દુનિયાની વાસ્તવિકતાથી માઈલો દૂર જઈને કંઈ પણ હબક ચીતરી દેવું ! કે પછી આવી કુહાડી અને બંદૂકની ટ્રેનીંગ તમે બહુ પહેલા મેળવી ચૂક્યા છો એટલે જ આટલા જોમથી તમારા નાયક અને ખલનાયક પાસે આ કારીગરી કરાવો છો !


4. હવે પ્રશ્ન નાયક અને ખલનાયક ભાઈઓને ! મદિરા અને ધૂમ્રપાનનું સેવન, હિંસા અને વાસના દેખાડીને જ મર્દાનગી સાબિત થઈ શકે ! અને આના માપદંડો નક્કી કોણ કરશે ! પોતાની બહેનની છેડતી કરનારને મારવા કોઈ હાઇસ્કુલ સ્ટુડન્ટ રાયફલ ગન લઈને શાળા કે કોલેજમાં પ્રવેશી શકે !, એક આધેડ ઉંમરનો આઠ બાળકોનો પિતા અને બે પત્નીઓનો પતિ એના ત્રીજા લગ્નની સેરીમનીમાં કોઈ વ્યક્તિની આંખમાં ચાકુ ખોપીને એની હત્યા કરીને એ સ્થળે એની એક નહિ બે પત્નીઓનો બળાત્કાર કરી શકે ! પોતાના પતિના લગ્ન બહારના સંબંધની જાણ પત્નીને થાય તો પતિને હક મળી જાય છે પિસ્તોલ કાઢવાનો ! કે પછી એના શરીરને ફરી એકવાર ચૂથીને એને એની જગ્યા બતાવવાનો ? કોઈ ખૂપિયા વ્યક્તિ કે દુશ્મને મોકલેલ વ્યક્તિ સાથે સેકસ કરવાથી અને એને તમારા બુટ ચાટવાનું કહેવાથી તમે શક્તિશાળી પુરુષ બની જાઉં !


5. હવે વાત કરીએ નાયિકાઓની, હે બહેનો, એક જવાબ તો આપો ! તમે કોઈ ભ્રમમાં તો નથીને કે તમે બહુ ઉચ્ચ કક્ષા પર છો અને બહુ જ ઉમદા કામ કરો છો ! કેમ કે તે વાતમાં ઘણી શંકાઓ છે, જો પડદા પર તમારો ઉપયોગ માત્રને માત્ર શરીર સુખ માણવા માટે કે એવા અશ્લીલ દ્રશ્યો બતાવવા માટે કે પછી તમારા સુડોળ શરીરની અર્ધ નગ્નતા બતાવવા માટે અને તે કથામાં તમારી ભૂમિકા માત્ર લોકોને લલચાવવા કે આકર્ષવા માટેની જ હોય તો, તો તમારા કરતાં વધુ ગૌરવશાળી કામ તો લોકોના ઘરે વાસણ – કપડાં અને સફાઈ કરતી બહેનો કરે છે, કેમ કે એના દરેક નિર્ણયો એ જાતે નક્કી કરે છે અને હા, એને કામ અને આવડતના કારણે રોજી મળે છે એના માટે એને કોઈ અયોગ્ય કે અણછાજતું કામ કરવું નથી પડતું! હશે પણ ફિલ્મોની અંદર તો તમારી મરજી, તમારી સ્કીલ અને તમને મળતું વળતર પુરુષ જાતિની એકસમાન જ હશે, નહિ !


6. હવે વ્હાલી જનતા, તમને શું ગમ્યું આ ફિલ્મમાં ! સ્ટોરી, વર્ણન, વર્તન, હિંસા, ઇન્ટીમેટ દ્રશ્યો, એક્ટિંગ કે પછી સાવ અકાલ્પનિક એવી કાલ્પનિક કથા !

હવે તમે પણ મને પૂછશો કે આટલું બધું સંવેદનશીલ થવું જરૂરી છે એક બિગ બજેટ ફિલ્મ માટે ! શું એક ત્રણ કલાક આપણા સમાજ પર હાવિ થઈ જશે ! લોકો એમની સૂઝ અને સંસ્કારો છોડીને આવા વ્યક્તિઓ થઈ જશે ! શું પહેલા આવી કોઈ ફિલ્મો નથી આવી !

આ બધા જ પ્રશ્નો યોગ્ય છે, મારા જવાબમાં હું એવું કહીશ કે હું કે મારું જેવું વિચારી રહેલા લોકો સંવેદનશીલ એક ફિલ્મ પૂરતા નથી પરંતુ ધીરે ધીરે ઊભી થતી આવા પ્રકારની માનસિકતા પ્રત્યે છીએ. જેવી રીતે શરીરને એક પ્રોપર લેવલ પર લાવવા કે ફીટ રાખવા માટે દરરોજ કરવામાં આવતી કસરત, નિયમિતતા, યોગ્ય ડાયટ તથા વ્યક્તિની તેના પ્રત્યેનું હકારત્મક જુનુન મળીને નક્કી કરે છે કે 6-12 મહિના પછી ફીટ અને આદર્શ શરીર તૈયાર થશે કે પછી પેટ ફેમિલીપેક બનીને બહાર લટકશે. આ જ સિદ્ધાંત આપણાં જગતને પણ લાગુ પડે છે. ધીરે ધીરે આ આલ્ફામેન, આક્રમક વૃત્તિ, અશ્લીલતા, સિગારેટ અને દારૂનો નશો, સ્ત્રીપાત્રોનો સેકસ અને નગ્નતા ચીતરવા માટે થતો ભરપૂર માત્રામાં ઉપયોગ, સાયકોપેથ અને ક્રિમીનલને નાયક બનાવીને સમાજ સામે મુકીને લોકોની વાહવાહ ભેગી કરનાર આ નિર્દેશકો એક વાતથી અજાણ છે કે તેઓ સમાજને ઉદ્યય બનીને ખાઈ રહ્યા છે.

આ દરેક વસ્તુને તેઓ ભલે કાલ્પનિક છે, ફિલ્મ છે, એમના જગત અને ચેતન મનની ઉપજ કહે પણ તેઓ એ કેમ ભૂલી જાય છે કે વ્યક્તિના વર્તન પાછળ અને વર્તન માટે માસ – મીડિયાનો બહુ મોટો રોલ છે. એટલે જ વાસ્તવિક જગત પર સિનેમા-જગતની અસર પડ્યા વગર નથી રહેતી!
અને જે લોકો એવી દલીલ કરે છે ફિલ્મ જોવા જઈએ ત્યારે મગજ થિયેટરની બહાર મુકીને જવાનું તો ઝરા મને સમજાવશો કે આપણે આપણાં પેહરવેશ, વાતો અને વિચારોનો દોર આ ટ્રેન્ડ મુજબ કેમ ચલાવીએ છીએ ? આ વાત સ્વીકારો કે નહિ પણ વ્યક્તિની સામે ભજવાતી દરેક ઘટનાની છાપ એના માનસપટ પર હંમેશ માટે અંકિત થઈ જાય છે, એની માત્રા અને એનું પ્રમાણ નક્કી કરે છે તેના વ્યવહાર અને વર્તનમાં બહાર આવશે કે નહીં. અને જે રીતે અત્યારે ફિલ્મો આવી રહી છે એ જોતાં એવું જ લાગે છે કે આપણી અંદર સંવેદનો ઓછા થઈ રહ્યા છે, જો આપણે બીજાની પીડા જોઈ ખુશ થઈએ છીએ, હિંસા જોઈને આનંદ માહલીએ છીએ તો આપણે ડરવાની જરૂર છે કેમકે આ એક માનસિક બીમારીની નિશાની છે, આની અતિશયોક્તિ કદાચ વ્યક્તિને sadist ( ક્રૂરતામાં જાતીય આનંદ માણનાર) અથવા voyeurism (પરપીડાન વૃત્તિ) સુધી લઈ શકે છે.
હવે નક્કી તમારે કરવાનું છે કે ક્યાં પ્રકારનું વલણ સ્વીકારવું, જોવું અને વખાણવું છે અને ક્યાં પ્રકારનું નહિ !

છેલ્લો કોળિયો : જે રીતે રસ્તા ઉપર મળી રહેલા ફાસ્ટફૂડને ટેસ્ટી બનાવવા અને બતાવવા, લોકોને લલચાવવા અને એક ખોટો હાયપ ઊભો કરવા બટર અને ચીઝનો થપ્પો કરી દેવામાં આવે છે, કંઇક એવી જ રીતે હલકી કક્ષા અને વાહિયાત માનસિકતા ધરાવતી સ્ટોરીલાઈનને ઉત્તમ બતાવવા ભરપૂર હિંસા, સેક્સ સીન્સનો ઢગલો અને અનુશાસન વગરની દુનિયા ઊભી કરવામાં આવે છે, અને લોકો તર્ક અને જ્ઞાનને નેવે મુકીને શરીર અને મનને ખરાબ કરવાના પૈસા અને સમય બંને હસતા મોઠે આપે છે, ત્યારે ફરી એકવાર સાબિત થાય છે કે આ કળયુગ છે.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · codependent · dependency · Health solutions · life · lifestyle · mental health · moral values · observations · society

Discipline is success ✨

2020-2021માં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં કામ કરેલું, ત્યારે અલગ અલગ રીતે લોકોમાં વ્યસન મુક્તિ માટેના કાર્યક્રમો કરેલા. જેના માટે નવી નવી રીતો શોધી હતી, આ બધા અનુભવ દરમ્યાન એક વાર્તા સાંભળેલી, જે કંઇક આવી હતી.

એક આશ્રમ હતું જેમાં એક ગુરુ અને એમના શિષ્યો રહે, આ ગુરુ સહજ અને સરળ હતા, શિષ્યોને એમના જીવનમાં જે નાની મોટી સમસ્યાઓ આવે ત્યાં એમને યોગ્ય રાહ ચિંધતા બાકીના સમયે એ ધ્યાન કરતા અને ધર્મનું વાંચન કરતા રહેતા. આશ્રમમાં દરેક શિષ્યને પોતાની અનુકૂળતા મુજબ રહેવાની છૂટ હતી પણ આશ્રમનો એક જ નિયમ હતો કે આશ્રમના પટાગણમાં મદ્યપાન કે ધૂમ્રપાન વર્જિત હતું. અને દરેક શિષ્ય આ વાતનું પાલન કરતા અને મુલાકાતી પણ આ વાતને ધ્યાનમાં રાખીને નિયમનું પાલન અચૂક કરતા. એક દિવસ આશ્રમમાં ધૃપદ નામનો નવો શિષ્ય આવ્યો. તે તેના જીવનથી ઘણો કંટાળેલો હતો અને આશ્રમમાં શાંતિ અને સલામતી મેળવવાની ઈચ્છાએ આવ્યો હતો. ધૃપદને બીજો તો કોઈ પ્રશ્ન ન્હોતો પણ એને દારૂ પીવાની આદત હતી, હવે આશ્રમમાં તો મનાઈ હતી એટલે ધૃપદ મૂંઝાયો કે કરવું શું ? મનમાં ને મનમાં વાત વાગોળતો રહ્યો, અને પછી નક્કી કર્યું કે કોઈને ખબર ન પડે એ રીતે ક્યારેક ક્યારેક પી લઈશ. સમય પસાર થતો ગયો, અને ધૃપદ તો છુપાઈને દારૂ પીવા લાગ્યો, ગુરુને જાણ હતી પણ એમને થયું કે નવો છે ધીરે ધીરે સમજી જશે, પણ એમ થયું નહિ. ગુરુ એ એક દિવસ સભા પૂરી થયા પછી ધૃપદને બોલાવીને સમજાવ્યો, એને વિંનતી કરી કે આ લત છોડી દે. ધૃપદે ગુરુની લાજ રાખવા વચન પણ આપ્યું પણ તે પાલન ન કરી શક્યો. ગુરુને થયું કે હવે કોઈ બીજી રીતે સમજાવું પડશે. એક સાંજે ગુરુ બધા શિષ્યો સાથે વિહાર કરવા નીકળ્યા, જંગલમાં ચાલતા ચાલતા ગુરુ એ અચાનક એક વૃક્ષના થડને કચકચાવીને પકડી લીધું. અને પછી રાડો પાડવા લાગ્યા.

“મને છોડી, એ વૃક્ષ મને છોડી. મારે જાવું છે તું મને છોડી દે.”

બધા શિષ્યો અચંબામાં હતા. કે આ ગુરુજી શું કરે છે ! એટલામાં ધૃપદ આગળ આવ્યો અને પહેલા તો ખડખડાટ હસવા લાગ્યો અને પછી કહ્યું કે,

“ગુરુજી, આ વૃક્ષએ ક્યાં તમને પકડ્યું છે ! તમે એને પકડી રાખ્યું છે, તમે છોડી દેશો તો એ છૂટી જશે.”

ધૃપદની વાત સાંભળતા જ ગુરુજી એ વૃક્ષનું થડ છોડી દીધું, અને ધૃપદની નજીક જતાં બોલ્યા કે,

“તારી વાત તો સાચી, હું પણ તને એ જ સમજાવવા માંગુ છું કે આપણી ખરાબ કે ખોટી આદતો એ આપણને નહીં પણ આપણે એ આદતોને પકડી રાખી છે, જો આપણે છોડી દઈશું તો છૂટી જશે. સમય લાગશે અને તકલીફ પણ પડશે પણ પ્રયત્ન કરીશ તો આદતોની માયાજાળમાં ફસાતાં બચી જઈશ.”

ગુરુની વાત ધૃપદને ગળે ઉતરી ગઈ અને એની આદતો ધીરે ધીરે બદલાઈ ગઈ.

આ વાર્તા અહીં પૂરી થઈ, 100 લોકો સુધી આ વાત પહોંચે તો એમાંથી કદાચ એક વ્યક્તિ બદલાઈ એવી મહદઅંશે શક્યતાઓ છે. કેમ કે આપણે જાણતા હોવા છતાં ખરાબ આદતોને પાળીએ છીએ. એટલે જ દુનિયાભરમાં ચાર માંથી એક પુરુષ અને દસમાંથી એક મહિલા તમાકુનું સેવન કરે છે. તમાકુ અને આલ્કોહોલની લતના કારણે હજારો પરિવાર વિખરાય છે અને કરોડો લોકો ભયંકર બીમારીઓથી પીડાય છે આના સિવાય વધુ એક સમસ્યા આજના સમયમાં જોવા મળે છે એ છે ઈન્ટરનેટ એડિકશન.

લોકો દિવસ રાત સોશિયલ મીડિયા પર ખોવાયેલા અને છવાયેલા રહે છે અને દિવસ, મહિના અને વર્ષના અંતે ભાન થાય છે કે આ કામ કરવાનુ તો રહી જ ગયું. લોકોની કામ કરવાની ક્ષમતા(productivity) ની સાથોસાથ એકાગ્રતા( focus/concentration) પણ ઘટી છે. ન્યુ યરમાં લીધેલા રિસોલ્યુશન એક મહિના સુધી પણ ચાલતા નથી. કેમ કે આ બધા પાછળ અભાવ છે નિયમિતતાનો – discipline નો. આયોજન બનાવવું અને એનું પાલન કરવું જો આપણે શીખી જઈશું તો ચોક્કસપણે આપણે આપણા લક્ષ્ય (goal) સુધી પહોંચી જઈશું.

“With self-discipline, almost anything is possible.” – Theodore Roosevelt



#છેલ્લો કોળિયો: કરીએ એટલું કામ થાય, અને થાય એટલું કામ કરીએ આ બંને વચ્ચેનો તફાવત શીખી જઈશું અને સમજી લઈશું તો આપણું જીવન પાર થઈ જશે.

Continue reading “Discipline is success ✨”