behavioral patterns · Canada · child development and care center · children · codependent · dependency · husbandwife · Uncategorised

Marriage is not a gender competition.

મેરી કોમ એક પ્રસિધ્ધ બોકસર અને ભૂતપૂર્વ રાજ્યસભાના સભ્ય થોડા સમય પહેલા ખૂબ ચર્ચામાં આવેલા અને ખાસ કરીને તેમના “આપ કી અદાલત” ના ઇંટરવ્યૂ પછી જુદા જુદા લોકો પોતાની સૂઝ સમજ મુજબ આખી ઘટનાને નિહાળી અને સોશિયલ મીડિયા પર ચગાવી. આ વાત પર આપણે વધુ કઈં ચર્ચા કરીએ તે પહેલા થોડો સંદર્ભ આપ સૌ વાચક મિત્રોને આપી દઉં.

મેરી કોમ અને કે. ઑનલર કોમના લગ્ન 2005માં થયેલ, તેમને ચાર સંતાનો છે. અને 2023માં તેઓ ડિવોર્સ લઈને છૂટા થયા, આ આખી ઘટના પછી વર્ષ 2026 જાન્યુઆરી મહિનામાં મેરી કોમએ તેમના ઇંટરવ્યૂ દરમ્યાન જણાવ્યું કે, “Who is this man sits and lives on woman’s earnings?” અને વધુમાં જણાવાયું કે તેમના ભૂતપૂર્વ પતિએ તેમની સાથે નાણાંકીય ફોર્ડ અને ચીટિંગ કર્યું છે, તેનું ક્યારેય કોઈ કરિયર હતું જ નહીં, આખી વાત ખૂબ ચર્ચામાં આવી અને ત્યારબાદ તેના પ્રતિઉતર રૂપે, કે. ઑનલરએ જાણવાયું કે, મેરી કોમના આ બધા જ આરોપો ખોટા છે, વાસ્તવિકતામાં મેરી કોમના લગ્ન બહારના અનૈતિક સબંધોના (Extra Marital Affair) કારણે અમે છૂટા પડયા હતા.

આ ઉપરાંત ક્રિકેટરો, એક્ટર્સ અને નામચીન લોકોના છૂટાછેડાના સમાચારો અવારનવાર આપણે કાને પડે છે, ખાલી સિલિબ્રિટસ નહીં પણ આપણી આસપાસના ઘરોમાં પણ છૂટાછેડા એટલા જ સહજ થઈ રહ્યા છે આંકડાઓ મુજબ ગુજરાત રાજ્યમાં વર્ષ 2024માં 62,146 જેટલા મરાઈટલ ડિસપયુટને લઈને કોર્ટ કેસો નોંધ્યા જે 2023 કોર્ટ કેસોમાં 27,194 હતા. આ આંકડાઓનો પ્રવાહ અને યુવાનોનો ટકાઉં લગ્નજીવન પરનો વિશ્વાસ બે અલગ દિશામાં વધી રહયો છે . બે વ્યક્તિઓના છૂટા પડવાની ઘટનામાં ઘણી વખત માત્ર એક-બે કારણો બહાર આવતા હોય છે પણ મોટાભાગના કેસોમાં ડિવોર્સ એ ઘણા સમયથી ચાલતા મૂંગા આવેગાત્મક યુદ્ધનો અંત હોય છે.

તો આજે આ મુદ્દા પર વાત કરીએ, લગ્નજીવનમાં જીવતા બે વ્યક્તિઓનું વર્તન, પ્રેમ અને તેમનો એકમેક પ્રત્યેનો સંબંધ સમય અનુસાર બદલાય છે અને જો એક જૂની માનસિકતા લઈને લગ્નજીવન કે પ્રેમજીવનનો આરંભ કરીશું તો બહુ લાંબુ નહીં જ ટકે, કાં જેવુ તમે ધાર્યું હશે તેવું નહીં ચાલે.

1. લગ્ન એટલે એકમેકની ભાગીદારી, આ કોઈની સત્તાનું પિરામિડ નથી.

લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો કાયમી કરાર છે, આમાં કોઈ મોટું કે નાનું નથી. બંને પક્ષ પોતપોતાની જગ્યા પર સમાનતા અને વિભિન્નતા સાથે જોડાય છે. લગ્નની વિધિઓ પણ એ જ કહે છે અને આપણા રિવાજો પણ. ભારતીય લગ્નોમાં મોટાભાગે પુરુષોનું સ્થાન ઊંચું રહ્યું છે, પુરુષએ લીધેલ નિર્ણય જ ફાઇનલ માનવામાં આવે, અને કેટલાક બધા ઘરો તો એવા છે જ્યાં આવા વ્યવહારીક કે ધંધાકીય નિર્ણયોમાં સ્ત્રીઓની હાજરી નિર્જીવ ફર્નિચર જેવી હોય છે. અને ઘણી જગ્યાઓ પર જ્યારે જાગૃત સ્ત્રીઓ ચર્ચમાં ઉતરે છે ત્યારે તેઓનું મોં બંધ કરી દેવામાં આવે છે કાં તો વડીલો દ્વારા મેણાં ટોણાં મારીને, કાં તો પછી સ્ત્રીના opinionને અવગણીને.

2. આર્થિક પારદર્શકતા એ અતિ આવશ્યક છે.

આધુનિક ભારતમાં જ્યાં બંને પતિ-પત્ની અર્થોઉપાર્જન કરે છે ત્યારે એ બહુ જરૃરી છે કે, આર્થિક પારદર્શીપણું રહે, આવક કેટલી આવે છે અને ક્યાં અને કઈં રીતે વપરાશે અને સેવિંગ્સ થશે. ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જ્યાં સ્ત્રીઓ પોતાની કમાણી ભેગી કરીને રાખે અને ઘરની આર્થિક જવાબદારી માત્ર પુરુષના ખંભે લાદી દેવામાં આવે, અને ઘણી વખત આનાથી એકદમ વિરુદ્ધ પણ થતું હોય છે, ત્યારે રોમાન્સની રૂહ મરી પરવારે છે અને કાંતો કોઈ વ્યક્તિ જતું કરે છે કાંતો આખો સંબંધ પડી ભાંગે છે. ત્યારે ઘરમાં આવતી આવકની એક ચોક્કસ રૂપરેખા જો અગાઉથી દંપતિ મળીને નક્કી કરી રાખે તો સંબંધ વધુ મજબૂત બનાવી શકાય અને એક વ્યક્તિને આ ભારથી દબાતો અટકાવી શકાય.

3. સપોર્ટ એ જાતિગત નહીં પણ પરસ્પરની સમજણનું પાસું છે.

માત્ર સ્ત્રી હોવાથી તે ઘર સંભાળશે અને પુરુષ હોવાથી તે “Bread Earner” (કમાતી વ્યક્તિ) બની જશે આ વ્યાખ્યા સદીઓ જૂની થઈ ગઈ, આજે પતિ-પત્ની પોતાની પસંદગી અને અંગત સમજૂતીને આધારે નક્કી કરશે કે કોણ પદડાની આગળ આવીને ભૂમિકા ભજવશે અને કોણ પડદાની પાછળનો કારભાર ઉપાડશે, જેટલા યુગલોએ પરસ્પરની સમજણ સાથે આ નિર્ણયો લીધા હોય છે તેમનો પ્રેમ, ખુશી અને બેંકની આવક ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધે છે, બાકી આપણે બધા સાક્ષી જ છીએ કે છ-બાર મહિનાની વચ્ચે યુગલો લગ્ન મંડપથી ફેમિલી કોર્ટ સુધી પહોંચી જતાં હોય છે.

4. અંગત ઓળખ એ લગ્ન જીવનને ટકાવે છે.

2012માં આવેલી English Vinglish ફિલ્મઆનું ઉતમ ઉદાહરણ છે, જ્યારે વ્યક્તિ પતિ પત્નીના લેબલથી પર થઈને પોતાની ઓળખ ઊભી કરે છે ત્યારે માત્ર આત્મવિશ્વાસ નથી વધતો પરંતુ તેના સંબંધને એ નવી રાહ મળે છે. એ પુરુષ હોય કે સ્ત્રી, બંને માટે જરૂરી છે, પ્રેમમાં ઉગવું, અને જેટલું તે પોતાની જાતને ઉજવવાની ક્ષમતા ધરાવે છે તેટલું જ વધુ સારું સમાયોજન તેઓ લગ્નજીવનમાં કરી શકે છે.

5. સમસ્યા સહજ છે પણ તેનો ઉકેલ એકમેકના સમ્માન સાથે મેળવવો એટલું જ અગત્યનું છે.

જીવન છે ત્યાં સુધી કોઈને કોઈ મૂંઝવણ અને સમસ્યા રહેવાની જ છે, પણ તે કપરા સમયમાં તમે એક યુગલ તરીકે પરસ્પર કઈ રીતે વર્તો છો તે સાબિત કરે છે, કે લગ્નનો પાયો કેટલો ઊંડો છે. રોમાન્સથી લબલબતા સમયમાં અને યુવાનીના આવેશો સમી ગયા પછી અને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમના નગારાં વગાડીને અસલ જીવનમાં એકબીજાનું સમ્માન ના કરી શકતા હો તો સમજવું કે તમારો સંબંધ પણ “Dil Dhadkene Do” ફિલ્મના માનવ અને આયેશા જેવો ખોખલો જ છે.

6. સંબંધને કોઈ જાતિ નથી.

કોઈ જોબ એપ્લિકેશન કરતી વખતે તેમાં સ્પષ્ટ શબ્દોમાં તમારો રોલ અને જવાબદારી લખેલી હોય છે, લગ્નની કંકોત્રીઓમાં કે લગ્નની ચોરીની બહાર આવી કોઈ પણ પ્રકારની ડિસ્ક્રીપશન હોતી નથી. પતિ અને પત્ની મળીને પોતાના નિયમો નક્કી કરે છે જે તેમના માટે અને તેમની આવનારી સંતતિ માટે યોગ્ય પરિણમે, એટલે સંબંધ અને તેને લગતી ભૂમિકા જાતિગત નહીં પણ વ્યક્તિગત રીતે નક્કી થાય છે. આનું ઉત્તમ ઉદાહરણ ભાવનગરના ડૉ. આઈ. કે. વીજળીવાળા અને તેમના પત્ની કૃતિકાબહેન છે. જ્યારે તેઓ માતા પિતા બન્યા ત્યારે બંનેએ પરસ્પરની સમજણથી નક્કી કર્યું કે, કૃતિકબહેન તેમના ટાઈમટેબલ અનુસાર 11 થી 6 શાળામાં વિધ્યાર્થીઓને ભણાવા જશે, તે સમયગાળામાં ડૉ. આઈ. કે. વીજળીવાળા પોતાની ક્લિનિક બંધ રાખીને એક પિતાની ભૂમિકા ભજવશે તે જ મુજબ ડોકટરની ગેરહાજરીમાં કૃતિકાબહેન પોતાની માતા હોવાની ભૂમિકા અદા કરશે.

7. પ્રેમ સંબંધને એક ચોક્કસ સમજણરૂપ બાઉન્ડ્રીની જરૂર છે, નહીં કે આંધળા વિશ્વાસની.

“પ્યાર મેં આદમી અંધા હો જાત હૈ!” આ કહેવત ઘણી વખત સાચી પડતાં જોઈ છે, અને પ્રેમમાં માત્ર માણસ આંધળો જ નહીં લાચાર અને પાંગળો પણ થઈ જતો હોય છે, લગ્ન પહેલા જે રીતે આપણે બધી પ્રારંભિક તૈયારીઓ આદરીએ છીએ, પ્રિ – વેડિંગ શુટથી લઈને હનીમૂન સ્વીટ સુધીની અને ઘણી વાર લિવ-ઇનમાં રહીને શારીરિક જરૂરતની કમ્પેનિયનશીપની ખાત્રીઓ પણ કરીએ છીએ ત્યારે આપણે આપણી માનસિક જરૂરત અને આંતરિક જાતનો સુમેળ ચકાસવો અતિ આવશ્યક છે.

છેલ્લો કોળિયો : રિસર્ચ અનુસાર 75% યુવાનનો માને છે, તેમના માટે લગ્ન જરૂરી નથી, યોગ્ય લગ્ન જરૂરી છે. મોટી ઉંમરે લગ્ન બહુ કોમન છે. આજના લગ્નોમાં જેમ નવતર ટ્રેન્ડ આવે છે તેમ લગ્નને ટકાવી રાખવા એક નવો ટ્રેન્ડ શરૂ કરવો જ રહ્યો જો આપણે ખરેખર એક મજબૂત અને ટકાઉં દાંપત્ય જીવન ઇચ્છતા હોઈએ. જેમાં સમ્માન પહેલા અને અહમ પછી રાખવામાં આવે, જ્યાં મનોસ્થિતિ અને પરિસ્થતિનું મહત્વ હોય નહીં કે રિવાજો અને રૂઢિઓને આંધળું અનુકરણ અને ખાસ તો જ્યાં પાર્ટનારશીપ હોય નહીં કે પાવરશીપ.

Happy Valentine’s Day

લી. ડૉ. હિરલ મહેશભાઇ જગડ

(Counseling therapist, PhD, RCT-C) hirb2624@gmail.com

છબી સૌજન્ય : Pinterest

behavioral patterns · child development and care center · children · codependent · dependency · Health solutions · India · life · lifestyle · mental health · moral values · observations · parenting · society · youth

Animal but not social animal ! ✨

અબ્રાહમ મેસ્લોએ દર્શાવેલ જરૂરિયાતના સિદ્ધાંત મુજબ સૌથી નીચેના સ્તરે અથવા તો દરેક પ્રાણી માત્રની પ્રાથમિક જરૂરિયાત એ શારીરિક જરૂરિયાત છે અને એના પછી આગળ વધીએ કે ચાલીએ તો બીજી કેટલીક આવશ્યકતાઓ પર પહોંચીએ અને અંતે સ્વ-સાર્થકતા ( self actualization)ના સ્તર પર પહોંચીએ.

We are a product of our genetics and our environment. અર્થાત આપણું ઘડતર આપણને મળેલો શારીરિક વારસો અને વાતાવરણ પર આધારિત છે. આ વિષય પર અસંખ્ય સંશોધનો થઈ ચૂક્યા છે અને દરેક રિસર્ચના પરિણામો એક મુખ્ય તારણ પર પહોંચ્યા છે કે વ્યક્તિના વ્યક્તિત્વના સારા કે ખરાબ પાસાંઓ માટે એનું શારીરિક, માનસિક અને ભૌગોલિક પર્યાવરણ બહુ મહત્વનો ભાગ ભજવે છે.

2012ના દિલ્હી શહેરમાં એક કેસથી દરેક સંવેદનશીલ મનુષ્યના મન હચમચી ગયેલા, તે નિર્ભયા કેસ પરની એક ડોક્યુમેન્ટરી “India’s Daughter” માં અહમ ભૂમિકા ભજવનાર કિલનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. મધુમિતા પાંડેએ 150 કરતા પણ વધુ તિહાર જેલના કેદીઓના ઈન્ટરવ્યુ કર્યા, જેમાં તેમણે નોંધ્યું કે જે કેદીઓએ કોઈ વ્યક્તિની હત્યા કરી હતી તેઓની અંદર ‘અપરાધ ભાવ અને અફસોસ ભાવ’ જોવા મળેલો પરંતુ જે કેદીઓ બળાત્કાર પછીની સજા ભોગવી રહ્યા હતા, તેઓની અંદર ‘ અપરાધ કે અફસોસની ભાવના’ બહુ નિમ્ન હતી, પરંતુ તેઓ માનતા હતા કે જે પણ એમણે કર્યું છે એ ખૂબ યોગ્ય હતું અને સ્ત્રીઓ એ જ લાયક હોય છે એ પ્રકારનું વલણ જોવા મળ્યું.

https://www.thelily.com/a-woman-interviewed-100-convicted-rapists-in-india-this-is-what-she-learned/


આ બધી વાતો અને વિષયો અહીં શું કામ ! કેમ કે હવે પછીના વિષય માટે આ અભ્યાસોનો આધાર ખૂબ જરૂરી છે. તો અહીં વાત કરવાની છે હાલમાં બહુ ચર્ચિત એવા ચલચિત્રની જેનું નામ છે એનિમલ (ANINAL)
ડાયરેકટર અને સ્ક્રીન પ્લે લેખકની બે વાતથી હું પ્રભાવિત જો હોઉં તો એક ફિલ્મનું સુયોગ્ય નામ રાખવા બદલ કેમકે ખરેખર આ ફિલ્મ પ્રાણીઓ વડે બનાવાયેલી પ્રાણીઓ દ્વારા ભજવાયેલી પ્રાણીઓ દ્વારા જોવાય એવી જ પટકથા છે. (સામાજિક પ્રાણીઓનો સમાવેશ અહીં તદન નથી કરવામાં આવતો.) અને અને બીજું સારું સંગીત આપવા બદલ.

તો ફિલ્મ નિર્દેશકશ્રીને, તેમાં ભૂમિકા ભજવનાર કલાકારોને અને જે જૂથને આ ફિલ્મ ખૂબ ગમી છે તેમને કેટલાક પ્રશ્નો પૂછવા જેવા ખરા.

1. તમે લોકોને પિતા – પુત્રની પ્રેમ અને નફરતની કથા ટ્રેલરમાં બતાવી પણ ખરેખર એ આખી સ્ટોરીમાં પીરસવામાં તમે કેટલા ટકા સફળ રહ્યા છો !


2. કહેવાય છે કે કોઈ સારું નાટક નવરસનું યોગ્ય મિશ્રણ હોય છે, અથવા તો કોઈ એક શૈલીને ઉત્તમ રીતે પ્રદર્શિત કરતું હોય તેવું હોઈ શકે, પણ હૈ સંદીપભાઈ અહીં રોદ્રરસના ચક્કરમાં બિભસ્ત રસ (disgust ) કેમ લોકોને પીવરાવ્યો તમે !


3. હે ભાઈ, એક વાત કહેશો ! તમારા મતે આક્રોશ પડદા પર મૂકવો એની વ્યાખ્યા શું ! આક્રોશ અને ગુસ્સો દેખાડવવો એટલે કોઈ પણ જાતના કાનૂની કે ઉપરી દબાણ કે પ્રભાવ વગર, દુનિયાની વાસ્તવિકતાથી માઈલો દૂર જઈને કંઈ પણ હબક ચીતરી દેવું ! કે પછી આવી કુહાડી અને બંદૂકની ટ્રેનીંગ તમે બહુ પહેલા મેળવી ચૂક્યા છો એટલે જ આટલા જોમથી તમારા નાયક અને ખલનાયક પાસે આ કારીગરી કરાવો છો !


4. હવે પ્રશ્ન નાયક અને ખલનાયક ભાઈઓને ! મદિરા અને ધૂમ્રપાનનું સેવન, હિંસા અને વાસના દેખાડીને જ મર્દાનગી સાબિત થઈ શકે ! અને આના માપદંડો નક્કી કોણ કરશે ! પોતાની બહેનની છેડતી કરનારને મારવા કોઈ હાઇસ્કુલ સ્ટુડન્ટ રાયફલ ગન લઈને શાળા કે કોલેજમાં પ્રવેશી શકે !, એક આધેડ ઉંમરનો આઠ બાળકોનો પિતા અને બે પત્નીઓનો પતિ એના ત્રીજા લગ્નની સેરીમનીમાં કોઈ વ્યક્તિની આંખમાં ચાકુ ખોપીને એની હત્યા કરીને એ સ્થળે એની એક નહિ બે પત્નીઓનો બળાત્કાર કરી શકે ! પોતાના પતિના લગ્ન બહારના સંબંધની જાણ પત્નીને થાય તો પતિને હક મળી જાય છે પિસ્તોલ કાઢવાનો ! કે પછી એના શરીરને ફરી એકવાર ચૂથીને એને એની જગ્યા બતાવવાનો ? કોઈ ખૂપિયા વ્યક્તિ કે દુશ્મને મોકલેલ વ્યક્તિ સાથે સેકસ કરવાથી અને એને તમારા બુટ ચાટવાનું કહેવાથી તમે શક્તિશાળી પુરુષ બની જાઉં !


5. હવે વાત કરીએ નાયિકાઓની, હે બહેનો, એક જવાબ તો આપો ! તમે કોઈ ભ્રમમાં તો નથીને કે તમે બહુ ઉચ્ચ કક્ષા પર છો અને બહુ જ ઉમદા કામ કરો છો ! કેમ કે તે વાતમાં ઘણી શંકાઓ છે, જો પડદા પર તમારો ઉપયોગ માત્રને માત્ર શરીર સુખ માણવા માટે કે એવા અશ્લીલ દ્રશ્યો બતાવવા માટે કે પછી તમારા સુડોળ શરીરની અર્ધ નગ્નતા બતાવવા માટે અને તે કથામાં તમારી ભૂમિકા માત્ર લોકોને લલચાવવા કે આકર્ષવા માટેની જ હોય તો, તો તમારા કરતાં વધુ ગૌરવશાળી કામ તો લોકોના ઘરે વાસણ – કપડાં અને સફાઈ કરતી બહેનો કરે છે, કેમ કે એના દરેક નિર્ણયો એ જાતે નક્કી કરે છે અને હા, એને કામ અને આવડતના કારણે રોજી મળે છે એના માટે એને કોઈ અયોગ્ય કે અણછાજતું કામ કરવું નથી પડતું! હશે પણ ફિલ્મોની અંદર તો તમારી મરજી, તમારી સ્કીલ અને તમને મળતું વળતર પુરુષ જાતિની એકસમાન જ હશે, નહિ !


6. હવે વ્હાલી જનતા, તમને શું ગમ્યું આ ફિલ્મમાં ! સ્ટોરી, વર્ણન, વર્તન, હિંસા, ઇન્ટીમેટ દ્રશ્યો, એક્ટિંગ કે પછી સાવ અકાલ્પનિક એવી કાલ્પનિક કથા !

હવે તમે પણ મને પૂછશો કે આટલું બધું સંવેદનશીલ થવું જરૂરી છે એક બિગ બજેટ ફિલ્મ માટે ! શું એક ત્રણ કલાક આપણા સમાજ પર હાવિ થઈ જશે ! લોકો એમની સૂઝ અને સંસ્કારો છોડીને આવા વ્યક્તિઓ થઈ જશે ! શું પહેલા આવી કોઈ ફિલ્મો નથી આવી !

આ બધા જ પ્રશ્નો યોગ્ય છે, મારા જવાબમાં હું એવું કહીશ કે હું કે મારું જેવું વિચારી રહેલા લોકો સંવેદનશીલ એક ફિલ્મ પૂરતા નથી પરંતુ ધીરે ધીરે ઊભી થતી આવા પ્રકારની માનસિકતા પ્રત્યે છીએ. જેવી રીતે શરીરને એક પ્રોપર લેવલ પર લાવવા કે ફીટ રાખવા માટે દરરોજ કરવામાં આવતી કસરત, નિયમિતતા, યોગ્ય ડાયટ તથા વ્યક્તિની તેના પ્રત્યેનું હકારત્મક જુનુન મળીને નક્કી કરે છે કે 6-12 મહિના પછી ફીટ અને આદર્શ શરીર તૈયાર થશે કે પછી પેટ ફેમિલીપેક બનીને બહાર લટકશે. આ જ સિદ્ધાંત આપણાં જગતને પણ લાગુ પડે છે. ધીરે ધીરે આ આલ્ફામેન, આક્રમક વૃત્તિ, અશ્લીલતા, સિગારેટ અને દારૂનો નશો, સ્ત્રીપાત્રોનો સેકસ અને નગ્નતા ચીતરવા માટે થતો ભરપૂર માત્રામાં ઉપયોગ, સાયકોપેથ અને ક્રિમીનલને નાયક બનાવીને સમાજ સામે મુકીને લોકોની વાહવાહ ભેગી કરનાર આ નિર્દેશકો એક વાતથી અજાણ છે કે તેઓ સમાજને ઉદ્યય બનીને ખાઈ રહ્યા છે.

આ દરેક વસ્તુને તેઓ ભલે કાલ્પનિક છે, ફિલ્મ છે, એમના જગત અને ચેતન મનની ઉપજ કહે પણ તેઓ એ કેમ ભૂલી જાય છે કે વ્યક્તિના વર્તન પાછળ અને વર્તન માટે માસ – મીડિયાનો બહુ મોટો રોલ છે. એટલે જ વાસ્તવિક જગત પર સિનેમા-જગતની અસર પડ્યા વગર નથી રહેતી!
અને જે લોકો એવી દલીલ કરે છે ફિલ્મ જોવા જઈએ ત્યારે મગજ થિયેટરની બહાર મુકીને જવાનું તો ઝરા મને સમજાવશો કે આપણે આપણાં પેહરવેશ, વાતો અને વિચારોનો દોર આ ટ્રેન્ડ મુજબ કેમ ચલાવીએ છીએ ? આ વાત સ્વીકારો કે નહિ પણ વ્યક્તિની સામે ભજવાતી દરેક ઘટનાની છાપ એના માનસપટ પર હંમેશ માટે અંકિત થઈ જાય છે, એની માત્રા અને એનું પ્રમાણ નક્કી કરે છે તેના વ્યવહાર અને વર્તનમાં બહાર આવશે કે નહીં. અને જે રીતે અત્યારે ફિલ્મો આવી રહી છે એ જોતાં એવું જ લાગે છે કે આપણી અંદર સંવેદનો ઓછા થઈ રહ્યા છે, જો આપણે બીજાની પીડા જોઈ ખુશ થઈએ છીએ, હિંસા જોઈને આનંદ માહલીએ છીએ તો આપણે ડરવાની જરૂર છે કેમકે આ એક માનસિક બીમારીની નિશાની છે, આની અતિશયોક્તિ કદાચ વ્યક્તિને sadist ( ક્રૂરતામાં જાતીય આનંદ માણનાર) અથવા voyeurism (પરપીડાન વૃત્તિ) સુધી લઈ શકે છે.
હવે નક્કી તમારે કરવાનું છે કે ક્યાં પ્રકારનું વલણ સ્વીકારવું, જોવું અને વખાણવું છે અને ક્યાં પ્રકારનું નહિ !

છેલ્લો કોળિયો : જે રીતે રસ્તા ઉપર મળી રહેલા ફાસ્ટફૂડને ટેસ્ટી બનાવવા અને બતાવવા, લોકોને લલચાવવા અને એક ખોટો હાયપ ઊભો કરવા બટર અને ચીઝનો થપ્પો કરી દેવામાં આવે છે, કંઇક એવી જ રીતે હલકી કક્ષા અને વાહિયાત માનસિકતા ધરાવતી સ્ટોરીલાઈનને ઉત્તમ બતાવવા ભરપૂર હિંસા, સેક્સ સીન્સનો ઢગલો અને અનુશાસન વગરની દુનિયા ઊભી કરવામાં આવે છે, અને લોકો તર્ક અને જ્ઞાનને નેવે મુકીને શરીર અને મનને ખરાબ કરવાના પૈસા અને સમય બંને હસતા મોઠે આપે છે, ત્યારે ફરી એકવાર સાબિત થાય છે કે આ કળયુગ છે.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · child development and care center · children · husbandwife · India · life · moral values · Norway · parenting

अच्छा हुं, बुरा हुं पता नहीं ! पर मां हुं |

કોઈ એક સવારે તમારા ઘરે બે સ્ત્રીઓ આવી અને તમારા પાંચ મહિનાના બાળકને ઉપાડીને લઈ જાય તો તમે કંઈ રીતે વર્તન કરો ?

હાથથી બાળકને જમાડવું કે તેને કપાળે કાળું ટપકું કરવું, બાળકને માતાપિતાની સાથે સુવડાવવું કે તમારી માતૃભાષામાં વાત કરવી, બાળકનો પ્રોજેક્ટ ભૂલી જવો કે બીજું કોઈ પણ વર્તન તમે કરો તો એવું સાબિત કરવામાં આવે કે તમે યોગ્ય માતા નથી, તો તમે શું કરો ?

જો તમને કોર્ટમાં ચુકાદો સંભળાવવામાં આવે કે, તમારા બંને બાળકો 18 વર્ષની ઉંમર સુધી સરકાર પાસે રહેશે, તો તમે કંઈ રીતે રીએક્ટ કરો ?

જો તમને ખબર પડે કે તમારા બાળકોને યોગ્ય માહોલ અને યોગ્ય ઉછેર નથી મળી રહ્યો તો તમે કંઈ રીતે પ્રતિક્રિયા આપશો ?

ત્રણ – ચાર કોર્ટમાંથી નિરાશા મળ્યા પછી જો તમને ઓફર મળે કે તમારા બાળકની કસ્ટડી તમારા દિયરને મળી શકશે, પણ તમને નહિ? તો શું તમે આ સ્વીકારશો ?

તમારા બાળકો તમારા જ કુટુંબના સભ્યો પાસે હોય અને તેમ છતાં જો તમે એમને ના મળી શકો તો, શું મનોસ્થિતિ હોય તમારી ?

જેને તમે પ્રેમ કર્યો અને જેની સાથે સંસાર માંડ્યો એ વ્યક્તિની પ્રાયોરિટી લિસ્ટમાં તમારું કે તમારા બાળકોનું નામ જ ન હોય અને માત્રને માત્ર એક દેશની સિટીઝનશીપ અને પૈસા જ હોય તો એ સ્થિતિમાં તમે શું કરો ?

આ બધા સવાલોની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ છે, જ્યારે કોઈ એક વ્યક્તિએ આવી જિંદગી જીવી છે, હાલમાં પ્રકાશિત થયેલી રાની મુખર્જીની ફિલ્મ Mrs Chatterjee Vs Norway જે સત્ય ઘટના પર આધારિત છે તે નોર્વેમાં વસતા એક ભારતીય દંપતીના જીવનનું પ્રતિબિંબ છે. 12 વર્ષથી વિદેશમાં વસતા આ બંગાળી કપલના બાળકોની કસ્ટડી માટેની આખી લડત આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. આની સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ ઊભા કર્યા છે.

એક માણસ તરીકે તમારામાં રહેલી માણસાઈ કેટલી હદ સુધી નીચે જઈ શકે ? અહીં નોર્વે સરકાર અંતર્ગત કામ કરતા તથા બાળ કલ્યાણ યોજના હેઠળ કાર્યરત કર્મચારીઓ ગેરકાનુની રીતે પૈસા કમાવવા માટે કેટલાક દંપતીઓને ફસાવીને તેમને કોર્ટમાં માનસિક અસ્વસ્થ કે અયોગ્ય માતાપિતા સાબિત કરી દે છે અને તેમને તેમના બાળકોથી તેમને વર્ષો સુધી અલગ કરી દે છે.

એક જ પરિવારમાં રહેનાર વ્યક્તિઓ પોતાના જ લોહી કે વારસદાર માટે કેટલી જુદી રીતે વિચારી શકે ? અહીં બાળકોના પિતા, કાકા અને દાદા – દાદી માત્રને માત્ર સ્વાર્થ અને પૈસાને જ અગત્યતા આપે છે જેની માટે એ કંઈ પણ હદ સુધી જવા તૈયાર છે.

માતા વિદેશમાં હોય કે પોતાના દેશમાં, મા સામે દરેક સ્થિતિ નજીવી હોય છે જ્યારે વાત તેના બાળકો પર આવે છે. અલગ અલગ કોર્ટમાં હાથ જોડીને હાથ ફેલાવીને આ માતાએ એના બાળકો માટે અરજ કરી. અને અંતે તેને તેનું યથાર્થ ફળ મળ્યું.

સ્ત્રી સ્ત્રીની દુશ્મન હોય છે, એવું ભલે કહેવાતું પણ આ કેસમાં નોર્વેની ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ થી લઈને કોલકાતાની એડવોકેટ મિસ. પ્રતાપ સુધી દરેક સ્ત્રી આ સ્ત્રીપાત્રની લડતમાં સાથે હતી.

સમય બદલાય છે આપણી લાગણીઓ અને માગણીઓ પણ બદલાય છે, સંસ્કૃતિ અને સમાજને વધુ આવેગીક વિકાસની જરૂર છે.

#છેલ્લો કોળિયો : સવલતમય અને સમૃદ્ધ થતાં થતાં ક્યાંક આપણે નિષ્ઠુર અને અસંવેદનશીલ તો નથી થઈ રહ્યાને ! રોજ એક વાર પોતાની જાતને પૂછીને ખાતરી કરી લેવી.

Movie released on 2023
Novel published on 2022