children · life · lifestyle · moral values · observations · old is gold · parenting · society · youth

एक था बंदर 🙊

એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ થયો, જેમાં આપણા વર્તન પર પડતી ઘડ અને એના કેટલાક અનુભવોનું સંકલન આપણા માનસ સાથે કેવું છે તેની તપાસ કરવામાં આવી.
પ્રયોગ હતો આઠ વાંદરાઓ પર, એક રૂમની અંદર આઠ વાંદરાને રાખવામાં આવ્યા અને ત્યાં ઉપર એક કેળાની લૂમ બાંધવામાં આવી સાથે એક સીડી (ladder) પણ ગોઠવેલી હતી, વાંદરાઓની નજર કેળા પર ગઈ અને એક પછી એક વાંદરાઓ એ કેળા લેવા માટે પ્રયાસો શરૂ કર્યા, કેળાની લૂમ મેળવવા માટે, જેવા તે સીડી પર ચડીને કેળા સુધી પહોંચે ત્યાં જ તેમના પર ઠંડુ બરફ જેવું પાણી રેડવામાં આવે અને વાંદરાઓ નિરાશ થઈને પાછા આવી જાય. અહીં ટવીસ્ટ એ હતો કે પાણી અમુક સમય સુધી પડે એવી રીતની ગોઠવણ હતી, જો નક્કી કરેલ સમય સુધી પ્રયોગપાત્ર રાહ જુએ તો તેના લક્ષ્ય સુધી પહોંચી શકે એવું આયોજન હતું, પરંતુ વાંદરાઓ ઉપર જાય પાણી માથે પડે અને નીચે ઉતરી જાય, આવું વારંવાર થયું, ઘણીવાર થવા લાગ્યું પણ આઠમાંથી એક પણ વાંદરાએ ત્યાં રહીને એ પાણીને સહન કરવાનો કે ત્યાં ઊભા રહીને રાહ જોવાનો પ્રયાસ ન કર્યો પરંતુ કઈક અલગ જ વર્તન જોવા મળ્યું જેમાં હવે જો કોઈ એક વાંદરો ઉપર જાય તો બીજા બધા વાંદરા મળીને તેને ખેંચી ખેંચીને નીચે લઇ આવે, આઠ વાંદરાઓમાંથી એક વાંદરાને બહાર લઈને એક નવા વાંદરાને પ્રયોગમાં સામેલ કરવામાં આવ્યો, ઠંડા પાણીના અનુભવથી વંચિત એવો નવો વાંદરો જ્યારે કેળા લેવા માટે ઉપર ચડવા જાય છે ત્યાં ફરી અગાઉના વાંદરાઓ તેને ખેંચીને નીચે લઇ આવે હવે આવી રીતે એક પછી એક નવા વાંદરાને પ્રયોગમાં સામેલ કરતા ગયા અને અગાઉના વાંદરાને બહાર લેતા ગયા, એક સમય એવો આવ્યો કે આઠે આઠ વાંદરા નવા હતા, આઠમાંથી એક પણ વાંદરાને ઉપરથી પડતા ઠંડા પાણીનો કે એવો કોઈ અનુભવ ન હતો તેમ છતાં તેમનું વર્તન અગાઉના વાંદરા જેવું જ હતું, જ્યારે જ્યારે કોઈ વાંદરો પ્રયત્નપૂર્વક ઉપર જાય ત્યારે ત્યારે તે બધા વાંદરા મળીને તેને નીચે લઈ આવે.

એક ઘડ, એક પેર્ટન અને એક ચોક્કસ વર્તન. સમાજમાં રહીને આપણે જૂથનું અનુકરણ કરીએ છીએ, ત્યારે પણ કંઇક આવું જ થાય છે ને ! જૂના રિવાજો અને માન્યતાઓને આપણે આજે પણ એવી રીતે અનુસરીએ છીએ, આપણને એની પાછળનું કારણ નથી ખબર, આપણને એનું સાચું તારણ નથી ખબર તેમ છતાં આપણે એને માનીએ છીએ. જે તે સમયે એ વિચારો સાચા અને યોગ્ય હશે પણ આજની સ્થિતિમાં જો એ વાત બંધબેસતી જ ન હોય તેમ છતાં એને અનુસરવાની!

લગ્ન પ્રસંગોમાં ચાલતા અસંખ્ય રિવાજો હોય કે સામાજિકતાના નામે ચાલતા કેટલાય વ્યવહારો હોય, કોઈ ફિલ્મનો અકારણ થતો વિરોધ હોય કે પછી કોઈ દેશ કે ધર્મ માટે થતી અકારણ નફરત હોય, કોઈ એક જાતિ ( Gendar) માટે નક્કી કરેલા નિયમો હોય કે પ્રથાઓના નામે ચાલતી કુપ્રથાઓ હોય. શું કામ આપણે પ્રત્યક્ષ અનુભવ વગર માત્રને માત્ર જૂથની સરખામણી કરવામાં આપણી સ્થિતિ અને મનોસ્થિતિ ભૂલી જઈએ છીએ ? શું કામ આપણે દેખાદેખી કરવા આપણી ચાદરને આપણી ચામડી ઉતેડીને સાંધા માર્યા કરીએ છીએ ? શું કામ આપણે એક ઉગ્ર અને ભયાનક ઘટનાનો ભાગ અને ભોગ બની જઈએ છીએ ?

આ બધા પ્રશ્નો તમને થયા છે ? આપણી ક્રિયા પ્રક્રિયા માટે કેટલાક મુદ્દાઓ

1. Rethink before you react
સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પહેલા કે કોઈ વાતને સમર્થન આપતા પહેલા એક વાર ફરી વિચાર કરી લેવો અને એને કોઈ પણ જાતના બાયસ વગર ચકાસી લેવું હિતાવહ રહેશે.

2. Realize before you act
આજના ટ્રેન્ડને ફોલો કરવા અને કોઈ ચોક્કસ પદ્ધતિનું આંધળું અનુકરણ કરતા પહેલા મનની અને પરિવારની સ્થિતિ પર નજર કરી લેવી વધુ યોગ્ય છે.

3. Feel before you fight
સમાજમાં ચાલતા દગાઓ અને કેટલીક વાતોમાં જ્યારે આપણે ધડામ લઈને કૂદી પડીએ છીએ ત્યારે પોતાને એ સ્થિતિમાં કલ્પી જોવી ખૂબ આવશ્યક છે.

4. Ask before you claim
દોષના ટોપલાને બીજા પર ચઢાવી દેવો બહુ સરળ અને સહજ છે પણ આપણે ખાલી આપણા પક્ષ અને આપણા મનને જ સાંભળીએ છીએ એક વાર સામેવાળા પક્ષને પણ સાંભળી લેવો જોઇએ.

5. Know your worth
તમારી અંદર કેટલી ક્ષમતા રહેલી છે તે તમે તમારી જાતે ચકાસો, પરખો અને તેમાં પાવરધા થાઓ, પછી ભલે ગમે તેટલા વાંદરાઓ તમારા પગ ખેંચે, પરંતુ તમારું લક્ષ્ય ફક્ત પ્રગતિને પામવાનું જ હશે.

આ અભ્યાસમાંથી મૂળ બે મુદ્દા આપણા જીવનમાં ઉતારવા જેવા ખરા :

1. નવા માહોલ અને વાતાવરણનો અનુભવ જાતે કરો, બીજાને સાંભળો પણ એનું આંધળું અનુકરણ ના કરો.
2. લોકો તમારી માટે ટેકા બનીને હંમેશા નહીં ઊભા રહે મોટાભાગે ટાટિયા જ ખેંચશે ત્યારે ગભરાવું નહીં નહીતર તમારું વ્યક્તિત્વ ટોળામાં વધારો કરવા જેટલું જ રહી જશે.

#છેલ્લો કોળિયો : આપણું જીવન પણ એક પ્રયોગ જ છે થોડી ક્ષણો સહન કરવાની છે, થોડી તકો જાતને ઉજળી કરવાની છે, થોડો સમય આવડતને તાકાત બનાવામાં આપીએ અને થોડી ધીરજ રાખીએ એટલે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરીએ.

~ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

Be the best version of yourself 🤗
children · Health solutions · life · lifestyle · parenting · society · youth

• बचपन का प्यार •

એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલી અને ત્યારે એક ઘટના બની, વાત જાણે એમ હતી કે, રૈના નામની એક છોકરીએ તેના મિત્ર એટલે ઋષભ નામના છોકરાને ચુંબન (Lip kiss) કર્યું, આ વાત બહુ સહજ અને સ્વાભાવિક લાગે પણ વાતનો વિવાદ એટલા માટે થયો કેમ કે રૈનાની ઉંમર 5 વર્ષ અને ઋષભની ઉંમર 6 વર્ષની હતી. બંને મિત્રો હતા અને સાથે રમતા હતા, જ્યારે ચુંબન કરી રહ્યા હતા ત્યારે કોઈ વડીલ વ્યક્તિ તે બંનેને જોઈ ગયા અને પછી આખો પ્રસંગ સંસ્કાર અને સભ્યતાની વાટાઘાટોમાં પલટાઈ ગયો. બંને બાળકોના માતા પિતાએ ઝઘડો કર્યો, બાળકો પર હાથ ઉપાડ્યો અને રૈના અને ઋષભની દોસ્તી તોડાવીને પોતપોતાને ઘરે ગયા.

૧૪ વર્ષથી નાની વયની વ્યક્તિને આપણે બાળક તરીકે ઓળખીએ છીએ, એ આપણે સૌ જાણીએ છીએ, અહીં જ્યારે ઘટના બની ત્યારે બે પ્રશ્નો સામે આવે છે.

1) શું આપણે જાતીય જીવન જેટલું બાળકોથી છુપાવીને રાખીએ છીએ એટલું આક્રમક જીવન છુપાવીએ છીએ ?
2) શું આપણે બાળકના હાથમાં 4×6 ઇંચની સ્ક્રીન પકડાવીને તેને જે જોવું હોય તે જોવાની મોકળાશ બહુ જલ્દી આપી દીધી છે ?

પહેલા પ્રશ્નનો જવાબ મોટાભાગના કિસ્સાઓમાં ‘ ના ‘ મળશે, ખરેખર આપણે કેટલી કાળજી રાખીએ છીએ ! આપણી અંગત અને રોમાંટિક ક્ષણોને છુપાવીને રાખવાની જેટલી તસ્દી લઈએ છીએ એટલી કાળજી આપણે આક્રમક થવામાં કે આક્રમકતા છતી કરવામાં રાખતા નથી. કોઈ દિવસ આપણે સહકુટુંબ ફિલ્મ જોવા બેઠા હોઈએ, અને ભૂલથી પણ કોઈ કિસ કરતો સીન આવે કે અશ્લીલ દ્રશ્ય આવે તો આપણે ચેનલ બદલી નાખીએ છીએ કાં પછી બાળકોને આખા પાછા કરી દઈએ છીએ પણ શું એ જ વસ્તુ આપણે મારધાડ કે હત્યાના દ્ર્શ્યો આવે ત્યારે કરીએ છીએ ? આપણું બાળક ઉછેરીએ છીએ ત્યારે તેના દરેક આવગોની જવાબદારી આપણી છે, જેટલું સહજતાથી આપણે લઈએ છીએ એટલું જ સહજ અને સરળ એને પણ એ વસ્તુ કે ઘટના લાગે છે, મારવું અને મારી નાખવું એ બહુ સામાન્ય છે એવું બતાવનાર અસંખ્ય ફિલ્મો, અગણિત સિરીઝો ઉપલબ્ધ છે ત્યારે શું આપણા બાળકમાં એ સમજ રોપી છે કે કોઈને મરજી વગર હાથ લગાડવો ગુન્હો છે એ જ રીતે કોઈની પર હાથ ઉપાડવો કે તેને તકલીફ થાય તેવું કોઈ પણ વર્તન કરવું એ પણ એક પ્રકારનો ગુન્હો છે! કિસ કરવી અને યૌન સંબંધ બાંધવા માટે એક ચોક્કસ ઉંમર છે એવું આપણે બાળકને સમજાવીએ છીએ ! કે માત્ર TV ના એક સીનની જેમ સહેલાઈથી બદલાવી નાખીએ છીએ! બાળકોની અંદર વધી રહેલી આક્રમકતા અને નાની ઉંમરમાં થઈ રહેલા શારીરિક બદલાવો ક્યાંક ઇન્ડીકેશન તો નથી ને ! આપણી બદલાઈ ગયેલી જીવનશૈલી અને મોર્ડન ઉછેર પ્રક્રિયાનો. દીકરીઓનો માસિકસ્ત્રાવનો સમય બદલાઈને આશરે 5-7 વર્ષ વહેલો થઈ ગયો છે, અભ્યાસો મુજબ 70% છોકરાઓ 10 વર્ષની ઉંમરથી પોર્ન કે બ્લુ ફિલ્મ જોવાનું શરૂ કરે છે. આપણી પાસે એવો કોઈ આધાર નથી કે આપણા બાળકો ક્યારે અને ક્યાંથી આક્રમકતા જોવાનું શરૂ કરે છે અને આપણે એ વાતથી પણ અજાણ જ છીએ કે આક્રમક ગેમ્સ અને મારધાડથી ખચાખચ ભરેલા પ્લોટના કન્ટેન્ટ જોતાજોતા આપણું બાળક ક્યારે આક્રમક વ્યક્તિ થઈ જાય છે અને ગુન્હાહિત વર્તન કરી બેસે છે. જુવેલાઈન ક્રાઇમ કેસોની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. 2021માં કુલ 31170 કેસોની નોંધણી થઈ હતી અને જે 2020ની સરખામણી એ 4.7% વધારે છે.જેમાં હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુન્હાઓ પણ સામેલ છે.

સવાલ નંબર 2 નો જવાબ લગભગ લગભગ ‘ હા ‘ હશે, આપણે જલ્દી નહીં પણ બહુ જ જલ્દી આપણા બાળકને એક વળગણે લગાવી દઈએ છીએ, અને એ છે આ નાનકડાં મોબાઈલ ફોનનું વળગણ. તમારા કામની ગોઠવણી કરવા માટે અને બાળકો સાથે બેસીને થોડા પ્રયત્નો અને થોડા વિચારપૂર્વક રમવામાં આવતી રમતો, બાળવાર્તાઓ, બાળગીતો અને તેની સાથે રમાતી દરેક આઉટડોર અને ઇનડોર રમતો રમવાનું છોડીને આપણે એક વર્ષના બાળકને શું આપ્યું આ એક ગેજેટ અને હવે એની આદત એવી લાગી છે કે બાળક ધાવણ (બ્રેસ્ટ ફીડિંગ) છોડી દે છે પણ મોબાઈલ છોડતું નથી. બાળક શાંતિથી બેઠું રહે એવા હેતુથી શરુ થતી આ મોબાઈલની પરંપરા ઘણીવાર બહુ મોટી પરાકાષ્ઠા પહોંચે છે અને જેનું પરિણામ બહુ ખરાબ આવતું હોય છે. બાળકો જેટલું સાંભળીને અનુકરણ નથી કરતું એટલું વધારે જોઈને કરે છે, તો માતા, પિતા, સખીઓ અને સખાઓ આપ સૌને વિનંતી છે કે નવરા પડીને તમે ફોન લઈને બેસી જતા હશો તો તમારું બાળક પણ તમારી બાજુમાં બેસીને એ જ કરશે, તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે ‘ બાળકને ગોળ ખાતા અટકાવું હોય તો તમારે પણ અટકવું પડશે.’

ઘરની અંદર કેટલીક વસ્તુઓ ફર્નિચરની જેમ ફીટ કરાવવાની તાતી જરૂરિયાત છે :
🌸 બે – ત્રણ દિવસે એકવાર ઘરસભા ગોઠવો. (સભ્યોને સમજો અને એના ભાવોને સમજવાનો પ્રયત્ન કરો)
🌸 બાળકને ફોનથી જેટલું આકર્ષણ થાય છે એટલું આકર્ષણ તમારાથી થાય એવો માહોલ અને કુતુહલતા ઊભી કરો.
🌸 બાળકને સેકસ અને વાયોલેન્સ શું છે તેની યોગ્ય ઉંમરે સાચી સમજ આપો.
🌸 બાળકની કલ્પના શકિત વધે તેના માટે નવી નવી વાર્તા કહો
🌸 પુસ્તકો તમે પણ વાંચો અને બાળકોને પણ આ ટેવ વારસામાં આપો.
🌸 બાળકના મનની જિજ્ઞાસાને તમારી રાડ અને આળસમાં દબાવ્યા વગર, એના કુતુહલતાના કોયડાનો ઉકેલ આપો અથવા સાથે મળીને શોધો.

છેલ્લો કોળિયો : સંતાનો માટે પૈસા પાછળ જે દોડ માંડી છે એમાં ક્યાંક આપણા સંતાનો (માનસિક સ્વાસ્થ્ય) જ આપણા પગ નીચે દબાઈ નથી ગયાને! જરાક જોઈ લેજો.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

Uncategorised

तू खुद की ख़ोज में निकल 💫

એક માનવની આ વાત, બહુ સમાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં જીવતો, અને પોતાના સપનાં પૂરા થશે એ જીજીવિશા હેઠળ ધબકતો આ માનવ. બે બહેનો પછી જન્મેલા આ ભાઈના માથે જન્મથી આશાઓનો ટોપલો હતો, મમ્મી ઘરે ઘરે ટિફિન પહોંચાડે અને પપ્પા રિક્ષામાં વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડે. સરકારી શાળામાં ભણીને અને ખર્ચ જોડ-તોડ કરીને સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યો. માનવને કોઈએ સલાહ આપી કે સરકારી નોકરીની તૈયારી કર જીવનની મુશ્કેલીઓમાં રાહત થશે, કાયમી આવક અને સિકયુરિટી મળશે એ અલગ. માનવ સમજુ અને ડાહ્યો હતો, પરિવારને આર્થિક રીતે સદ્ધર કરવાનું હમેંશા ઈચ્છતો, એટલે સરકારી પરીક્ષાઓની તૈયારી શરૂ કરી, આખી પ્રક્રિયાને સમજી અને મહેનત કરવા લાગી ગયો. દિવસ રાત વાંચતો, જે વિષયમાં નબળો હતો એ વિષય પણ વધુ ને વધુ ઊંડા રસપૂર્વક સમજ્યો અને ભણ્યો, નોકરી મળશે અને પગાર આવશે એવું વિચારીને કેટલાક પુસ્તકો ખરીદ્યા, કોંચિગમાં ક્રેશ કોર્સ કર્યા, જેટલી પણ પરીક્ષાઓમાં યોગ્યતા ધરાવતો હતો એ તમામ પરીક્ષાઓના ફોર્મ ભર્યા, સાઇબર કાફેનો ખર્ચ, પરીક્ષા ફી, આવા જવાનું ભાડું, અને અઢળક વાંચન કરીને માનવ તૈયાર હતો સરકારી પરીક્ષા દેવા પણ, જિંદગી એની કઈક જુદી જ પરીક્ષા લેતી હતી, કોવીડ19 કારણે ઘણી બધી પરીક્ષાઓ પાછી ધકેલાઈ અને પછી ઘણી બધી પરીક્ષાઓ રદ થઈ, બે પરીક્ષાઓ તો એવી હતી કે જેમાં માનવનું મેરીટ ઘણું ઊંચું હતું પણ પાછળથી ગેરકાયદેસર ગુન્હા અંતર્ગત આખી પરીક્ષા જ રદ થઈ ગઈ. માનવએ ધીરે ધીરે કરતા 20 થી 30 વર્ષ સુધી સરકારી નોકરી મેળવવા હાથ પગ માર્યા, યુવાનીના દસ વર્ષ ગુમાવીને આજે માનવ સરકારી કર્મચારી બનવાના અભરખાને નેવે મૂકીને એક ફૂડ સ્ટોલ ચલાવે, એને એ કામ ગમતું નથી પણ એ કામમાં એને ખાતરી છે કે હું મહેનત કરીશ તો જરૂર મને પરિણામ મળશે જેમાં કોઈ જ શંકા નથી.

માનવ જેવા લાખો યુવાનો સરકારી નોકરી માટેની તકની રાહ જોઈને બેઠા છે એમને સરકારની વ્યવસ્થાની સાથે સંકલન કરીને એક ક્ષેત્રમાં કામ કરવું છે પણ શું આપણે સફળ નીવડ્યા છીએ ખરી ! એના માટે રસ્તો ખુલ્લો કરવા ? કેટલાક પ્રશ્નો અહીં વ્યવસ્થા સામેના જોઈએ.
1. સરકારની એક ભરતી સામે આટલી બધી અરજીઓ શું કામ ?
2. શા માટે સરકાર એક પરીક્ષા લેવા માટે નિષ્ફળ જાય છે ?
3. મૂલ્યો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એ વિદ્યાર્થીઓ માટે જ જરૂરી છે ?
4. શું ચોક્કસ અભ્યાસક્રમને આધારે અને મેરીટના આધારે જ નક્કી થઈ શકે કે આ માણસ સારી રીતે કામ કરી શકશે ?
5. એક – બે વ્યક્તિએ કરેલી ભૂલનું પરિણામ આટલું મોટું જૂથ અને એનો પરિવાર ક્યાં સુધી ભોગવશે ?
6. રાત દિવસ એક કરીને વાંચનાર વ્યક્તિના સપનાંઓ જ્યારે આંખ સામેથી ઓજળ થઈ જાય ત્યારે શું આપણે ટિકિટનો ખર્ચ આપીને એના સપનાંની ભરપાઈ કરી લઇએ છીએ ? 7. કોલેજમાં અભ્યાસ પૂર્ણ થયા પછી સીધી ભરતી યોજના અંતર્ગત આ પરિવર્તન શક્ય નથી ? 8. બેરોજગારી દૂર કરવા માટે અને ઉતમ કક્ષાના સરકારી કર્મચારી મેળવવા માટે શું આધુનિક તકનીકનો ઉપયોગ કરવો હિતાવહ નથી ?

હવે કેટલાક પ્રશ્નો ઉમેદવારો માટે :

1. સરકારી નોકરીનો આટલો મોહ શું કામ ? 2.તમારું લક્ષ્ય એ તમારી આવડત વધારવાનું અને તમારી અંદર રહેલા કૌશલ્યની ધાર કાઢવાની જગ્યા પર માત્રને માત્ર અમુક તમુક ચોક્ક્સ જગ્યા પર સ્થાયી થઈ જવું શા માટે છે ?3. શા માટે સરકાર નોકરીને એક માત્ર ઈજારો સમજીને જીવન જીવવા માંગો છો ? 4.જેટલું ધ્યાનપૂર્વક સરકારી અભ્યાસક્રમો ને સમજ્યા છો એટલું ધ્યાનપૂર્વક તમારી અંદર રહેલા મનને સમજ્યા છો ? પૂછ્યું છે એને કે એને કયું કામ, કયો વ્યવસાય અને કંઈ કારકિર્દીમાં રસ છે ?

More than 28 Competitive exam

નોકરી કરો, વ્યવસાય કરો, સરકારી કર્મચારી બનો કે નાના એવા ધંધામાં રોકાણ કરો સાંજ પડે તમને એ કામ કર્યાનો આનંદ થવો જોઈએ, કાર્ય સંતોષ વધશે તો કામચોરી ઘટશે અને ઉત્પાદકતા પણ વધશે તમારી આવકની અને જે તે ક્ષેત્રની પણ.

જિંદગીના અગત્યના વર્ષો ક્યાં રોપો છો તે જરા જોજો, સાચવજો. સરકારી નોકરીના ફોર્મ ભરતા પહેલા એક વાર તમારી અભિરુચિ (Interest) અને અભિયોગ્યતા (Aptitude) નું ફોર્મ ભરજો. જો અભિરુચિ અને અભિયોગ્યતા સાથે નોકરીમાં આવતી જવાબદારીઓ અને ફરજો મેચ થતી હોય તો જ ફોર્મ ભરજો બાકી ખાલી ખોટી ભીડ જમા કરશો નહીં. કેમ કે નોકરી મેળવીને તે જગ્યા પર બેસીને જીવનનો ૧/૩ હિસ્સો ત્યાં પસાર કરવાનો છે, જો 2 Days 3 Night સ્ટે કરવા માટે હોટેલમાં આપણો કંફર્ટ અને આપણી પસંદગી જોતાં હોઈએ તો આ તો બહુ લાંબી યાત્રા છે , રુચિ નહીં પડે તો બધું બગડશે તમારું જીવન પણ અને એ હોદાનું કાર્ય પણ.

#છેલ્લો કોળિયો: જીવનમાં કામયાબ થવા માટે કાબિલ થવું જરૂરી છે, કોઈ ચોક્કસ કર્મચારી તરીકેની પદવી એની મહોતાઝ નથી.

~ ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય 🌸

Uncategorised

वक्त आने दे बता देंगे तुझे ऐ आसमां,हम अभी से क्या बतायें क्या हमारे दिल में है ।🌸

“ભલે આપણે સૌ મુસીબતના માર્યા,
પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,
સપનાઓ, ઇચ્છાઓ, તિતિક્ષા, છે બાકી,
તુ લેતો જા છોને પરીક્ષા છે બાકી”

એક ગુજરાતી નાટકમાં આ સાંભળેલું, મુશ્કેલીઓ, મૂંઝવણ, તકલીફો, આ બધું દૂર કરવા આજીવન આપણે કામ કરતા હોઈએ છીએ, અને ઘણીવાર થાકી જતા હોઈએ છીએ કે, હજુ કેટલું કરવાનું ? અને ક્યાં સુધી આ ચાલ્યાં કરશે ? અત્યારે કેટલાક યુવાનોમાં 25-30 વર્ષે મીડ લાઇફ ક્રાઇસિસ આવી જાય છે. એમની હિંમત ઓછી થઈ જાય છે અને કામ પ્રત્યેની ધગશ બાષ્પીભવન પામે છે અને રહી જાય છે માત્ર વસવસો કે, મારું વિશ લીસ્ટ પૂરું ન થયું.

લોકોની થાકી જવાની, હારી જવાની, સપનાંઓ ન જોવાની ચોક્કસ ઉંમર હોતી હશે ? કે પછી Age is just number અહીં પણ લાગુ પડે છે! શું વૃધ્ધ થતાં જેમ ચામડીઓમાં કરચલીઓ પડે છે એમ લોકોની કલ્પનાઓમાં પણ કરચલીઓ પડે છે ખરી !

આ બધા પ્રશ્નોના જવાબ સામે જવાબ છે, 77 વર્ષના ઊર્મિલાબહેન આશર, જે ગુજ્જુબેન ના નાસ્તા થી બહુ ફેમસ છે, ઊર્મિલા બહેનના જીવનમાં એક પછી એક કેટલીય મુશ્કેલીઓ આવી પણ એમની હિંમત અને જીવન પ્રત્યેના એક હકારત્મક વલણને કારણે તેઓ આજે સરસ રીતે પોતાનો બિઝનેસ ચલાવે છે. પોતાના ત્રણ સંતાનો છે ગુમાવનાર આ માતા જીવનના ઉત્તરાર્ધમાં પણ કાર્યશીલ છે, હસતાં હસતાં દરરોજ 12-14 કલાક કામ કરે છે. અને મહિને 3 લાખ કરતા પણ વધુ કમાઈ છે. તેમનો આ બિઝનેસ કોવિડ19ના સમયે અથાણાંના ઓર્ડરથી શરુ થયો હતો અને જે આજે આટલો વિકસિત છે, ગુજ્જુબેનનો પૌત્ર હર્ષ તેમની સાથે આ બિઝનેસ ચલાવે છે. ગુજ્જુબહેન પોતાની યુટ્યુબ ચેનલના માધ્યમથી લોકો સુધી વાનગી બનાવવાની રેસિપી અને જીવન જીવવાની જડીબુટ્ટી પહોંચાડે છે, તેમના ચહેરા પર કાયમ મુસ્કાન અને શરીરમાં કામ કરવાની ઊર્જા હોય છે. 77 વર્ષના દાદી પોતાના મનની વાત અને હાથનો સ્વાદ લઈને દેશ-વિદેશ જઈ આવ્યા છે, ઉપરાંત Tedxના સ્પીકર પણ રહી ચૂક્યા છે. અને હાલમાં માસ્ટર સેફ ઓફ ઇન્ડિયાના મંચ પર પણ તેઓએ સ્થાન મેળવ્યું છે.

આ દાદીની વાત એટલા માટે કેમકે ઘણા બધા યુવાનો એવું વિચારીને હાર માની બેસે છે કે, ” આપણે હવે શું કરી લેવાના”, “કરવાનો સમય જતો રહ્યો”, “મારે તો કરવું હતું પણ પરિસ્થિતિએ મને સાથ ન આપ્યો”, “મારા ઘરના લોકો એ મને સપોર્ટ કર્યો હોત તો આજે હું પણ કોઈ સારી જગ્યા પર હોત”, તો એ તમામ લોકોને કહેવું છે કે, તમારી સ્થિતિ કદાચ દાદીથી પણ ખરાબ હશે, પણ તમારી ઉંમર ઘણી નાની છે તમારી પાસે ઘણો સમય છે, અને તમારી પાસે ઘણી આવડત છે ખાલી જરૂર છે મન લગાવીને તેના પર કામ કરવાની, આઠ કલાકની નોકરીમાં પણ આપણે કામચોરી કરવાની તરકીબો શોધી લઈએ છીએ, અને પછી અસફળ થવાનો દોષ સ્થિતિ, પરિસ્થિતિ અને ઘરના લોકોના માથે મારીએ છીએ, તો આવી છેતરપિંડી જાત સાથે ક્યાં સુધી કરીશું ? ક્યા સુધી અરીસા સામે ‘ દ્રાક્ષ ખાટી છે ‘ નો રાગ આલાપ કરીશું ? એક વાર દ્રાક્ષ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી લઈએ.

2023ના બનાવેલા નિયમો ભલે ઠેકાણે પડી ગયા હોય પણ નક્કી કરીએ કે કામ કરવા ખાતર નહિ, કામ કરવું છે એટલે કરીશું. જીવનમાં સફળતા મેળવવવા ઘણા પાપડ વણવા પડે, ઘણી બધી વસ્તુ ત્યજવી પડે, ત્યારે જ સંઘર્ષને પેલે પાર ઊભેલી સફળતા રૂડી રૂપાળી અને મીઠડી લાગે. આપ સૌ આ મહેનતમાં તપો અને પછી સફળતાને પામો તેવી શુભકામનાઓ.

#છેલ્લો કોળિયો: સફળતા એ 15 સેકેન્ડની રિલ્ જેવી નથી, પણ સફળતા એક પુસ્તક જેવી છે, એક ફિલ્મ જેવી છે જેની પાછળ ઘણી બધી કલાકો, ઘણી બધી સમજણ એટલી જ ધીરજ અને ઘણા બધા પ્રયાસો સમાયેલા છે.

~ ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

દાદી જ્યારે ” Hello, How are you? ” બોલીને વીડિયો શરુ કરે ત્યારે બહુ મજાના લાગે 🌸❣️
Uncategorised

जिंदगी मौत ना बन जाए संभालो यारो 🥴


ઊર્જા નામની એક ગૃહિણી, બારમું ધોરણ પાસ કર્યું અને તરત જ લગ્ન નક્કી થઈ ગયા, લગ્ન કરીને સાસરે એવી પરોવાઈ ગઈ કે એને કોઈ ભાન જ ના રહ્યું , સંસારમાં ગોઠવાયેલી ઊર્જા જાતને ભૂલીને લગ્ન જીવનમાં જોતરાઈ ગઈ, બે વર્ષ પછી ઊર્જા અને ઉમંગને ત્યાં ટવીન્સ બાળકો જનમ્યાં જેનું નામ વિભા અને વિલાસ રાખવામાં આવ્યું.
ઊર્જાનું જીવનચક્ર એનું એ જ ચાલતું, સવારે 6 વાગ્યાથી શરૂ કરીને રાત્રે કામ પતે ત્યાં સુધી ઊર્જા ઘરના દરેક સભ્યોની ઈચ્છાઓનું લીસ્ટ પૂરું કરતી, સવાર દૂધ અને છાપું ઘરની અંદર લેવાનું અને રાત્રે કચરો ઘરની બહાર મૂકવાનું, સાસુ – સસરાની દવાઓ અને પતિનો નાસ્તો અને ટિફિન, બાળકોને સમયસર જમાડવાનું અને પ્લે હાઉસમાં લેવા – મૂકવા જવાનું, ચોવીસ કલાકમાંથી જેટલો સમય ઊર્જા સુવે અને દૈનિક કાર્ય કરે એટલો સમય પોતાના માટે કાઢે બાકીનો સમય ઘર પર ન્યોછાવર. ઊર્જાને એવું લાગતું હતું કે આ લોકો મારી જવાબદારી છે અને મારે એને સારી રીતે નિભાવવાની છે.
ઉમંગ ઘણીવાર કહેતો કે તું તારી માટે સમય કાઢ, તું બધાને બધું પીરસીને ન આપ, અમે લોકો થોડું મેનેજ કરી લઈશું પણ ઊર્જા બહુ કંઈ ધ્યાન ન આપતી.

એક દિવસ ઊર્જા વિભા અને વિલાસને પ્લે હાઉસમાંથી તેડવા જતી હતી ત્યાં એનો અકસ્માત થયો, હાથ અને બંને પગમાં ઘા વાગ્યો હતો છ મહિના સુધી તે પથારીમાં રહી અને આ છ મહિનામાં તેણે જિંદગીને એક નવા ચશ્માથી જોઈ, શરૂઆતમાં ઘરમાં બહુ મિસમેન્જમેન્ટ ચાલ્યું પણ સમય જતાં બધું વ્યવસ્થિત ગોઠવાય ગયું. સવારની ચા ઊર્જાના સસરા બનાવી લેતા અને નાસ્તો ઉમંગ બનાવી લેતો, રસોઈનું કામ સાસુજી એ સંભાળી લીધું, બાળકોની જવાબદારી પણ ત્રણેય વારાફરતી વહેંચી લીધી.
ઊર્જાનો અકસ્માત એના માટે સમય લઈને આવ્યો, વિચારવા માટેનો સમય, બધું જોતાં અને ઓબઝરવેશન કરતા ઊર્જાને સમજાયું કે, “મને લાગતું હતું કે આ લોકો મારા પર dependent છે પણ ખરેખર તો હું આવેગિક રીતે એમના પર dependent છું, ઘરમાં કોઈ એક વ્યક્તિને પણ જમવામાં મજા ન આવે તો દુ:ખી હું થઈ જાઉં, ઉમંગ લેટ જાગ્યો હોય તેમ છતાં એને ઓફિસ જવામાં મોડું થઈ જાય તો ગિલ્ટ મને થાય, મારી જાત માટે સમય મળતો જ ન્હોતો કેમ કે શરૂઆતથી મેં જ બધાને મારી ખોટી આદત પાડી દીધી હતી, નાની મોટી દરેક વસ્તુ હું જ કરી આપું એવા મારા દુરાગ્રહના કારણે બધાને બધું સમયસર તો મળી રહેતું પણ મને મારી જાત માટે સમય જ ન્હોતો મળતો અને એના કારણે હું ગુસ્સે થઈ જતી, મારો સ્વભાવ ચીડચીડ્યો બની ગયો , અને હમેંશા એ વાતનું ગુમાન કરતી કે મારી વગર મારા પરિવારને એક દિવસ પણ ન ચાલે પણ ક્યારેય આ રીતે તો વિચાર્યું જ નહિ, કે સતત Yes women બનવામાં ,મારી અંદરની women મારી રહી છું.”
ઊર્જાના હાથ અને પગના પાટા સાથે કેટલાક સંવેદનોના પાટા પણ ખુલ્યા, ઊર્જા હવે રોજ સવારે ઘરના કામ પાછળ ફૂટબોલના દડાની જેમ ઉછળકૂદ નથી કરતી પણ પરિવારની સાથે બેસીને સસરાના હાથની બનાવેલી ચા પીવે છે. સાંજે મ્યૂઝિક ક્લાસ જાય છે અને પોતાનો આર્ટ અને ક્રાફ્ટનો એક નાનો બિઝનેસ પણ સંભાળે છે. ટુંકમાં એ બધા માટે સમય કાઢે છે જે કરવામાં તેને નિજાનંદ આવે છે.

“આ તો હું છું એટલે ઘર સચવાયેલું છે.”
“હું ના હોત તમારું શું થાત!”
“મારા વગર એમને કંઈ ન જડે.”
“બે – પાંચ દીનું બધું ગોઠવીને નીકળવું પડે, તમારા ભાઈને બાકી કંઈ સુઝકો જ ન પડે.”
આવા કેટલાય ડાયલોગ આપણે ગૃહિણીના મોઢેથી અવારનવાર સાંભળીએ છીએ, ઘરની અંદર એક સ્ત્રીની ગેરહાજરી આખા ઘરને ઉથલપાથલ કરી શકે અને એના વિશે બહુ ચર્ચા પણ થઈ, સ્ત્રીઓના ઘણા વખાણ પણ થયા અને એક સ્ત્રીની મહાનતા પણ આપણે બધા એ મળીને સાબિત કરી. પણ આ ઘરની ઉથલપાથલમાં સ્ત્રીના મનની ઉથલપાથલનું શું ?

ઊર્જાના ઉદાહરણ મુજબ આપણે સ્ત્રીને આવેગિક અને આર્થિક બંને રીતે dependent બનાવી દઈએ છીએ, મેડિકલ પોલિસી હોય કે શેરમાં રોક્યેલા પૈસા, આપણે ક્યારેય ચર્ચા કરીએ છીએ ઘરની સ્ત્રી સાથે ? કમાતી સ્ત્રી પણ રોકાણ તો પતિ કહે એમાં જ કરે અથવા તો પતિશ્રીઓ જ એના નામે બધું સંભળાતા હોય,(ગામડાઓની અંદર જે રીતે મહિલા સરપંચની સ્થિતિ હોય એ રીતે) અને જ્યારે આકસ્મિક સંજોગો ઊભા થાય ત્યારે આવા ડાયલોગ મારતી સ્ત્રીઓ કેટલી લાચાર થઇ જતી હશે ?
આપણા ઘરની કોઈ પણ વ્યક્તિ જો આ codependencyનો શિકાર હોય તો એને કહેવાની જરૂર છે કે live your life & feel your own feelings.
Codependency ધરાવનાર વ્યક્તિને એવું જ લાગે છે કે આ બધી મારી જ જવાબદારી છે અને એ પૂરી કરવામાં એ જાતથી બહુ ઘસાતી હોય છે અને આવા ઘર્ષણ લાંબે ગાળે ડિપ્રેશન, હૃદયરોગ, ચિંતા, હાઈ બ્લપ્રેશર જેવા કેટલાય નાના મોટા રોગોને જાણેઅજાણે આમંત્રણ આપતા હોય છે.
થોડા સમય પહેલા Tripling season 3 જોઈ હતી જેમાં આપેલ સંદેશ ઘણા અંશે આના જેવો જ છે, આ જીવન માતા પિતા પોતાના સંતાનો માટે સગવડ ઊભી કરવામાં વ્યતીત કરી દે અને અંતે બાકીની ઉંમર બીમારીના લક્ષણો સાથે વિતાવી દે, તો એમના અંગત જીવનનું શું ? આવા પ્રકારની Codependency આપણને મુક્ત રીતે જીવતા અટકાવે છે.

#છેલ્લોકોળિયો : મેં તારા માટે આ કર્યું અને મેં તારા માટે તે કર્યું અને તું જો કેવી રીતે વર્તે છે આ બધું કહીને જો સંબંધોમાં સફાઈ ન આપવી હોય તો જલ્દી જ સ્વીકારી લો કે તમને સુખ આપનાર કે દુ:ખી કરનાર એકમાત્ર વ્યક્તિ તમે જ છો, તો સૌથી પહેલો સમય એના માટે કાઢજો અને હા, બધાને ખુશ કરવાની જવબદારી તમારી નથી.

– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

Uncategorised

जगने छीना मुझसे मुझे जो भी लगा प्यारा…


ડોકટર, હવે તમે જ સમજાવો આ સુરભીને !” પોતાની સમસ્યાનો શંખનાદ કરતા હોય એમ સૌરભ ગુપ્તાએ બોલવાનું શરુ કર્યું, “અમારા લગ્ન થયા અને બે – ચાર મહિનામાં જ સુરભી પર આ ભૂત સવાર થઈ ગયું, આપણે જલ્દી જ ફેમિલી પ્લાન કરી લઈએ અને માતા-પિતા બની જઈએ, બસ જાણે એક રટણ લાગ્યું છે એને, મેં એને ઘણી સમજાવી કે આપણે થોડા સ્ટેબલ થઈએ પછી બેબી પ્લાન કરીશું એટલી શું ઉતાવળ છે ? પણ એને કોઈ રીતે સમજવું જ નથી અને હમણાં હમણાં તો આ વાતને ઇમોશન સાથે જોડીને મને આંચકા આપે છે, હું મરી જઈશ તો આપણા બેબીની સંભાળ કોણ કરશે અને એના ઉછેરનું શું થશે ! અને કેટલું બધું 🥲 આવું બધું સાંભળીને મને નકારાત્મક વિચારો આવવા લાગ્યા છે, અને સુરભીની આવી માનસિક સ્થિતિમાં શું એનું કન્સીવ કરવું ઠીક કહેવાય ? આની કોઈ સાઈડ ઈફેક્ટ થઈ શકે આવનાર બાળક પર ? અમારે આ સ્થિતિમાં શું કરવું જોઈએ ?

સૌરભભાઈને પાણી આપી શાંત કર્યા અને સુરભીબેનનું કાઉન્સેલિંગ શેસન ગોઠવાયું, આજના મોર્ડન જમાનાની યુવતી જ્યાં મોટી ઉંમર સુધી માતા બનવાનું ટાળતી હોય છે ત્યાં આમનું અકારણ આટલું ઉતાવળભર્યું વર્તન શંકાષબ્દ તો હતું જ. સુરભીની કેસ હિસ્ટ્રીમાં એ જાણવા મળ્યું કે તેમણે નાનપણમાં પોતાના માતા-પિતાને એક કાર અકસ્માતમાં ગુમાવી દીધા હતા, હેમખેમ કરીને દાદા – દાદીએ મોટી કરી અને એમના મૃત્યુ બાદ મોટેભાગે હોસ્ટેલમાં રહી, સૌરભ સાથે પ્રેમ થયો અને લગ્ન થયા, પણ બાળપણમાં માતા-પિતાના પ્રેમના અભાવથી એના મનમાં પડેલી તિરાડ આજે પોતે માતા બનીને સફળ નીવડશે કે નહિ એ ડર અને અસલામતીના ઘા થી લીકેજ થવા લાગી, સુરભીના મનમાં સતત એ ડર હતો કે, એના બાળક સાથે પણ જો એના ભૂતકાળનો રિપિટ ટેલિકાસ્ટ થશે તો શું ? સાથે સાથે એ યોગ્ય માતા બની શકશે કે નહીં એવા કેટલાય અસલામતી ભર્યા પ્રશ્નોના કારણે તેનું આ જલ્દી માતા બનવાનું વળગણ શરુ થયું, એટલે કે એની મનની મૂંઝવણ અને આશંકા દૂર કરવા તેણે જલ્દી જ માતા બનીને યોગ્ય રીતે ઉછેર શરુ કરવાનું નક્કી કર્યું.

જાન્યુઆરી 1, 2020, થી 1 મે, 2022 સુધીમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 8 મિલિયન બાળકોએ રોગચાળાને લગતા કારણસર માતા- પિતા બેમાંથી એક/ બંનેને ગુમાવ્યા અથવા તો તેમની પ્રાથમિક સંભાળ રાખતા (care giviers) લોકોની છત્રછાયાથી તેઓ વંચિત થયા અને જ્યારે સંશોધકોએ દાદા – દાદી અથવા અન્ય વૃદ્ધ સંબંધીઓ જેવા ગૌણ સંભાળ રાખનારાઓના મૃત્યુનો સમાવેશ કર્યો, ત્યારે અસરગ્રસ્ત બાળકોની સંખ્યા વધીને 10.5 મિલિયન થઈ ગઈ.

આંકડાઓ હચમચાવી નાખે એવા છે પણ તેના ઉત્તરમાં આપણી પ્રતિક્રિયા શું ? એક વાત તો નક્કી જ છે કે, આપણે આપણા મૃત્યુને ખીટીએ બાંધી શકવાના નથી, જો આપણું મૃત્યુ નિશ્ચિત છે તો આપણે યમરાજને આપણું બાળક ઉછેરી લઈએ એમ કહીને રાહ જોવરાવી શકવાના નથી. પણ આપણે આપણા બાળકને માનસિક રીતે જરૂર તૈયાર કરી શકીએ છીએ, કેમકે બાળકને તમારી પ્રોપર્ટી નહિ પ્રાયોરીટીમાં રસ છે એનો મતલબ શું તમારા બાળકને રોજ એવું કહીને કહીને “કે કાલ સવારે હું નહીં હોઉં તો શું કરશો ?” ના. પણ તમારા બાળકને માનસિક રીતે મજબૂત કરીને, તેને આવેગોના ઉઝરડાં છડે ચોક બતાવતા અને એની માવજત કરતા શીખવાડીને, એની જાતની ઉજવણી કરતા અને જ્યાં જરૂર લાગે અને જ્યારે જરૂર લાગે ત્યારે રડી લેતા શીખવાડીને, તેના ભણતર સાથે તેનામાં આવેગોનું ચણતર કરીને.

આપણા સમાજની દયનીય સ્થિતિ તો જુઓ, આપણી કોઈ શાળા કે મહાશાળામાં, આપણા એકપણ લોંગટર્મ કે શોર્ટટર્મ કોર્સના મોડ્યુલમાં આપણને એ નથી શીખવવામાં આવતું કે સ્વજન કે સ્નેહીના મૃત્યુ પછી આવેગોના પોટલાને અને આઘાત લાગેલા આ જાતના સમા પડીકાને કંઈ રીતે સુઘડ રાખવું? એની ગોઠવણ કેમ કરવી ? કરચલી પડેલા આ મનની ઈસ્ત્રી કેમ કરવી ? કે નથી આપણી પાસે એવી કોઈ સરળ મનોવૈજ્ઞાનિક વ્યવસ્થા કે જ્યાં મા-બાપ વિહોણા આવા બાળકોના મનની અંદર ડોકિયું કરી શકાય.

સુરભીના કેસમાં સાઇકોથેરાપી અને અન્ય મનોવૈજ્ઞાનિક ટેકનિકનો સહારો લેવામાં આવ્યો, ધીરે ધીરે તે સ્ટેબલ થઈ રહી છે.

#છેલ્લોકોળિયો : આપણે દોડીએ – ભાગીએ અને પૈસા કમાવવા પોતપોતાના ફિલ્ડમાં નાચીએ છીએ પણ થોડો સમય તમારા બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે કાઢજો જેનાથી તમે પણ તંદુરસ્ત અને મંદુરસ્ત રહેશો.

ડૉ . હિરલ બ્રહ્મક્ષત્રિય

Uncategorised

IQ<EQ

એક સ્પર્ધા ચાલતી હતી, જેમાં આઠ બાળકોએ ભાગ લીધો હતો, આ સ્પર્ધા હતી દોડની, જેમાં સ્ટાર્ટિંગ પોઇન્ટથી શરુ કરીને જે પહેલા એન્ડિંગ લાઈન ક્રોસ કરશે તે વિજેતા બનશે અને ઇનામોનો હક્કદાર બનશે, આ નક્કી હતું.

સ્પર્ધા શરૂ થઈ, પણ હજુ થોડું જ અંતર કપાયું હતું ત્યાં આઠમાંથી એક બાળક પડી ગયું અને ઊભા થવા માટે પ્રયત્ન કરતો જ હતો, ત્યાં આગળ વધેલા સાતે સાત બાળકો એની આસપાસ ગોઠવાય ગયા, એને સહારો આપી એને ઊભો કર્યો અને પછી તે આઠેય બાળકો એ એક સાથે એન્ડિંગ લાઈન ક્રોસ કરી, અને આ બાળકોએ ફક્ત ઈનામો નહીં પણ સૌ કોઈના દિલ પણ જીતી લીધા.

આ વાત શું કામ ? એવું તો શું ખાસ છે ? આ વાત એટલા માટે કેમકે આ બાળકો ખાસ છે. જી, હા આ સ્પર્ધા થઈ હતી બેંગલોર ખાતે આવેલા ‘The National Institute of Mental Health and Neuro Sciences (NIMHANS)’ માં. અને આ સ્પર્ધાના સ્પર્ધકો માનસિક દિવ્યાંગતા ધરાવતા હતા.

જે લોકોને આપણે માનસિક રીતે અબોધ કહીએ છીએ, જેની તરફ હંમેશા આપણે દયા અને લાચારી દેખાડીએ એવા બાળકોએ આપણને આપણી આવેગિક કંગાલિયતથી અવગત કર્યા છે. આપણી પાસે અઢળક બુધ્ધિ અને મબલખ પૈસો છે અને આવનાર સમયમાં હજુ વધશે પણ આપણા આવેગોનું શું ? આપણા સંબંધોનું શું ? દિવસે દિવસે આપણે વિકસિત થઈએ છીએ, પણ આપણી લાગણીઓ ઓછી થતી જાય છે, આપણી અંદરથી માણસાઈ મરતી જાય છે.

આ અતિશયોક્તિ લાગશે ! કદાચ પણ તમે જ વિચાર કરો, કે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં ઓટીટી પ્લેટફોર્મના પાસવર્ડ તો શેર થઈ જાય છે પણ અંગત જીવનના વર્ડ પાસ નથી થતાં, જ્યાં મા – બાપને દીકરો દીકરી સારું કમાઈ છે એનાથી જ મતલબ છે તે સારું જીવન જીવે છે કે નહીં તેનું માનસિક સ્વાસ્થ્ય સારું છે કે નહીં તેની એટલું મહત્વ નથી. જ્યાં રોજ ઇન્સાનિયતને ઉજાગર કરે એવા લેખો કરતાં હેવાનિયતની હદ વટાવતા કેસો અને કિસ્સાઓ વધુ બહાર આવે છે.જ્યાં લોકોને માત્ર ઉપર જવું છે, આગળ વધવું છે પણ સાથે રહેવું નથી, એકબીજાનું ઝરા પણ સહેવું નથી.

ત્યારે આ અબોધ કે આવેગીક બુધ્ધિમાન લોકો આપણને શીખવે છે કે એકલતામાં ઉજવેલી જીત કરતા સમૂહમાં ઊજવેલી હાર વધુ સારી હોય છે.

#છેલ્લો કોળિયો : સારો IQ (બુધ્ધિઆંક) હોવાથી આપણે કદાચ વધુ માહિતીસભર વ્યક્તિ બની શકીએ પણ સારો EQ(આવેગિક આંક) હોવાથી આપણે વધુ સારા અને સંવેદનશીલ વ્યક્તિ બની શકીએ અને હવે જરૂર સંવેદનશીલ વ્યક્તિની છે.

Uncategorised

એક હતો ચકો અને એક હતી ચકી

બહુ વર્ષો પહેલાની આ વાત છે એક જંગલ હતું, અને આ આખા જંગલમાં એક રાજાનું રાજ ચાલતું એ જેમ કહે એમ જ થાય બધા નર પક્ષીઓ કમાવા જાય અને માદા પક્ષીઓ એમનો માળો સંભાળે અને બચ્ચાઓની દેખભાળ કરે, આખો દિવસ આમને આમ પસાર થઈ જાય..જંગલના રાજાના નિયમો બહુ કડક હતા ખાસ કરીને માદા પક્ષીઓ પ્રત્યે. તેમને અમુક ચોક્કસ પ્રકારના જ કપડાં પહેરવાના, ઉડવા- હરવા- ફરવા બધી જ વાતમાં નિયમો અને સીમાઓ, જ્યારે જ્યારે તેઓ નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે ત્યારે તેમને દંડ મળે કઠિન શિક્ષા મળે વર્ષોથી આ પ્રથા ચાલતી હતી જેના કારણે નર પક્ષીઓ વધુને વધુ ઉધ્ધત બનતા જતા હતા તેમને એમ જ લાગતુ હતુ કે આ જંગલ અને આ બધી માદાઓ એમના તાબામાં છે, પરંતુ રાજા એ નિયમો કે સીમાઓનું આયોજન નાજુક અને કોમળ માદા પક્ષીઓના રક્ષણ માટે કર્યુ હતુ, વર્ષો વિતતા ગયા અને મુળ હેતુ માટે રચેલ નિયમો પણ વિસરાય ગયા, રાજા મૃત્યુ પામ્યા, નવા રાજા આવ્યા એમના વિચારો ઘણા ક્રુર અને માદા વિરોધી હતા એમને માદા પક્ષીઓને હેરાન કરવાની ખુબ મજા આવતી તેમણે અત્યાચાર શરુ કર્યા અને આ જાણે જંગલનો ચીલો બની ગયો દરેક નર પક્ષી પોતાની માદા પક્ષીને મારે તેને અલગ રીતે હેરાન કરે, જંગલમાં ઉડવાનું શીખતી નાની નાની માદાઓને પણ હેરાન કરે ચકો ચકીને મારી પણ લે અને પોપટ મેનાને ખાવાનું પણ ના દે,આ સિલસિલો ચાલે રાખ્યો,નર પક્ષીઓ હવે માદા પક્ષીઓને કામે મોકલવા લાગ્યા ઘરની સંભાળ અને આવકની દેખભાળ હવે માદા પક્ષીઓના સીરે આવી ગઈ, અમુક ઘરોને બાદ કરતાં તમામ નર આવું કરતાં કામકાજ કરે નહીં એક થી બીજા ઝાડ પર જઈને ટાઈમપાસ કરે આ ક્રમ શરુ રહ્યો કેટલાય વર્ષો સુધી માદા પક્ષીઓ સાંજ પડે સુખ દુ:ખની વાતો કર્યા કરતી, તેઓનો બળાપો વ્યાજબી હતો. દિવસ બદલાઈ પણ વાત અને પરિસ્થિતિ એની એ જ રહી.
એક વાર એક નાની ચકલી એ સાહસ કર્યું એ તક જોઈને જંગલની બહાર ઉડી નીકળી ત્યાં જઈને એણે નિરીક્ષણ કર્યુ કે આ દુનિયા કેટલી અલગ છે તેણે આવુ કેમ છે એ જાણવા અને મથવા પ્રયાસ કર્યો એ નાની ચકલીબેન એક મિત્ર મળ્યો જેનું નામ હતુ કાયદો. તેની પાસે ઘણું જ્ઞાન હતું, સત્તા હતી, આ બધુ ચકલીબેન જોતા રહ્યા તેને થયુ કે જો આ કાયદો અને આ સતા મારી મમ્મી અને અને બીજી બધી આન્ટીઓને મળે તો કેવુ સારુ અકારણ થતા તેમના પરના અત્યાચાર ઓછા થશે, ચકલીબેન એ મક્કમ નિર્ણય કર્યો અને કાયદાની મુલાકાત મમ્મીઓ અને આન્ટીઓ સાથે કરાવી પહેલા તો બધા ડઘાય ગયા અસ્વીકાર કરવા લાગ્યા પણ અંતે માની ગયા, અને કાયદો અન્યાય ન થાય તેવી કાળજી સાથે એનું કામ કરવા લાગ્યો. એક લાંબા સમય પછી મળેલી મોકળાશના કારણે કેટલીક માદા પક્ષીઓ સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ સમજી ન શકી એ નર પક્ષીઓ પર સાચા ખોટા બધા જ આરોપો મુકવા લાગી અને કાયદો ક્યારક અજાણ હતો અને ક્યારેક જાણવા છતા અન્યાયને રોકી શકવા અસક્ષમ હતો, માદા પક્ષીઓ આવી જ રીતે જીવવા લાગી અને પોતાની બચ્ચીઓનો ઉછેર આમ જ કરવા લાગી સાસરે વળાવતી વખતે પણ હળવેથી કહી દેતી,” જો તારો ધણી કંઈ પણ કહે તો સહન જરાય કરતી નહીં, સમાયોજન આપણા પુરખો એ બહુ કર્યુ હવે એ કરે આપણે નહીં કરવાનું.” આ વાત પણ આમને આમ ચાલ્યા કરી અને મુળ હેતુ ભુંસાઈ ગયો.આજે ફરી કોઈ એક નર પક્ષી રાહ જોઈ રહ્યો છે એક નવી તકનો..અને સિલસિલો આમ જ ચાલ્યા કરશે.

છેલ્લો કોળીયો : વાત સ્ત્રીઓને આઝાદ કરવાની હતી પણ આપણો ભાર પુરુષોના બંધન પર વધારે રહ્યો, વાત સમતોલન જાળવાની હતી પણ આપણો ભાર પોતાનું પલડુ ઊચું કરવા પર વધારે હતું.

-ડૉ.હિરલ જગડ ‘હીર’

Uncategorised

Acceptance 🍀

લોકડાઉન પછી ઘણા સમયે બધા મિત્રો ભેગા થયા, પાણીપુરી અને અમારી વાતો બહુ રસપ્રદ રીતે ચાલતી હતી,અમારુ ધ્યાન એક વિચિત્ર વ્યક્તિ તરફ દોરવાયુ, એ વ્યક્તિ પહેલા પાણી પીતી પછી પુરીને ફોડીને ખાલી પુરી ખાતી વારંવાર તેના બાકડાની બાજુમાં ખાલી પડેલ જગ્યાને જોયા રાખતી, મને તેમને જોઈને તેમના વિશે વધુ જાણવાની કુતુહલતા થઈ. તેની વધુ નજીક જઈને જોયુ કે લગભગ પચાસેક વર્ષની ઉંમરે પહોંચેલ ઘણો ઠરેલ અને વ્યવસ્થિત વ્યક્તિ લાગ્યો, તેની આંખોમાં થાક અને કોઈને જોવાની તીવ્ર ઘેલછા સાફ દેખાઈ રહી હતી, હું એમની નજીક ગઈ પણ એ એમની ધુનમાં મસ્ત હતા પાણીપુરીવાળા એ પૈસા માંગ્યા જે એમની પાસે હતા નહીં, કોરોનાકાળનો માર્યો સામાન્ય કમાણી પર નભતો એ પાણીપુરીવાળો પેલા કાકા પર ભડકી ગયો, હું મારા પર્સમાંથી પૈસા આપવા જ જતી હતી ત્યાં પાછળથી કોઈ અવાજ સંભળાયો, “ પપ્પા તમે અહીં છો.”  આટલુ બોલીને ત્રેવ્વીસક વર્ષની એ યુવતીએ તેના પપ્પાને ગળે વડાગાડી લીધા, “ચલો, ઘરે.. ભાઈ કેટલા થયા પાણીપુરીના ? “ પૈસા આપીને પેલી યુવતી અને તેના પપ્પા નીકળ્યા, મેં મારી કુતુહલતા દુર કરવા પુછી જ નાખ્યુ,“ અમ્મ, આમને શું થયુ છે?“ પેલી યુવતી પાછળ ફરીને મને જવાબ આપ્યો, “ જી, કોરોના મહામારીમાં મારી મમ્મી અને મારી નાની  બહેન બન્ને મૃત્યુ પામ્યા ત્યારથી પપ્પાને આઘાત લાગ્યો છે એ વાતને સ્વીકારી કે પચાવી શક્તા જ નથી કે ખરેખર મમ્મી અને બહેન હયાત નથી શરુઆતમાં ઓછું હતુ પણ હવે વધારે પડતુ વિચિત્ર વર્તન તેઓ કરે છે ડોકટરને બતાવાનું કહું કે દવાખાનાના નામ માત્રથી ઉશ્કેરાય જાય છે હવે હું અને પપ્પા બે જ છીએ બહુ ધ્યાન રાખવાનો પ્રયાસ કરુ છું પણ ક્યારેક પપ્પા આમ કહ્યા વગર નીકળી જાય ત્યારે બહુ તકલીફ પડે છે “ આટલુ બોલતા જ એની આંખોમાંથી આંસુ બહાર કુદી પડયા. 
               યુવતીનું નામ મિનાક્ષી અને તેના પિતાનું નામ અજયભાઈ હતું, તેની લગભગ બધી વિગત જાણી અને માનસિક સ્વાસ્થ્ય માટેના લગભગ બધા સોર્સીસ શોધી લીધા સૌથી મહત્વનું અને અગત્યનું હતું અજયભાઈ અસ્વીકારના તબક્કામાંથી બહાર લાવવાનું જુદી જુદી સાયકો થેરાપી અને મિનાક્ષીના સહકારથી આ શક્ય બન્યુ. આજે અજયભાઈ એ વાતને સમજી શકયા છે મૃત્યુ કોઈ પણ સમયે કોઈને પણ આવી શકે છે જીવવુ આપણા હાથમાં પણ સતત આપણી આસપાસના લોકો આપણી સાથે જ રહે એ ઝંખવુ ઠીક નથી, આંખો બંધ કરી દેવાથી અંધારુ અને આંખ ખોલવાથી અજવાળુ નથી થઈ જતુ જે સ્થિતિ આપણી સામે છે તેને કોઈ પણ જાતની બનાવટ વગર સ્વીકારવી જ રહી.
 અંતનો કોળિયો : કોઈ પણ સમસ્યા, મુશ્કેલી કે મોટામાં મોટી બીમારી સામે આપણે ત્યારે જ લડી શકીએ કે જ્યારે તેની વાસ્તવિકતા જેવી છે તેવી તટસ્થભાવે સ્વીકારી લઈએ. જો એમ થાય તો સમજો કે સમસ્યા ૨૦% દૂર.

~ડૉ. હિરલ જગડ

Uncategorised

ખોયા ખોયા ચાંદ

               મમ્મી આવી હતી જ નહિ..એમણે એમનું જીવન બહુ ખુશ રહીને વિતાવ્યુ છે એને જીવનથી ફરિયાદો હતી જ નહી કે ક્યારેય કોઈ ફરિયાદ અમારા માટે પણ ન હતી. એને કલાસિક્લ ડાન્સ ખુબ ગમતો ઈન્ફેકટ એમણે કથ્થકમાં વિશારદ કર્યુ છે કદાચ તેમને આગળ અલંકાર પણ કરવું હતું પણ લગ્ન થયા અને પછી પપ્પના જોબ નેચરના કારણે એક પછી એક અલગ અલગ શહેરો ફરવાનું થયુ અને એમની ઈચ્છા, ઈચ્છા જ રહી ગઈ..પહેલા મમ્મી પપ્પાનું લંચ, ડિનર, પસંદ, નાપસંદ બધુ ગોઠવવામાં ગોઠવાય ગઈ અને પછી મારા અને મિતુલના આવ્યા બાદ અમારામાં સમાઈ ગઈ.. કદાચ આ મનોસ્થિતિ માટે અમે જ જવાબદાર છીએ..અને જો એવું જ હોય તો એ છેલ્લા  આઠ દસ મહિનાથી જ કેમ બદલાઈ ગઈ છે, ડોકટર ? આ અગાઉ મેં જોઈ છે એને કિચનમાં રસોઈ બનાવતા થિરક્તા..ઘરના અમારા નાના ગાર્ડનમાં મનીવેલ અને મોગરાના છોડ સાથે વાતો કરતા રસોઈ શોનો લાઈવ ટેલીકાસ્ટ અમારી સામે કરતાં.. પણ અત્યારે એવું નથી..એ બધુ જ કામ કરે છે પણ એ ખુશ નથી લાગતી...સવારે એના રુટિન મુજબ પપ્પા માટે ચા નાસ્તો પોતાના માટે જ્યુશ બનાવશે..પછી પપ્પાનું લંચબોક્સ તૈયાર કરશે પપ્પા ઘરેથી ઓફિસ તરફ જશે અને મમ્મી મને અને મિતુલને વારાફરતી ફોન કરશે..મિતુલ બેંગ્લોર રહે છે અને હું મુંબઈમાં ગયા વર્ષે જ પર્મોશન મળતા મુવ થઈ..મમ્મી બદલાઈ ગઈ છે..એ જીવે છે પણ ખાલી કહેવા પુરતુ જ..પપ્પા સાથે પણ એમનું એવુ વર્તન છે..હું મિતુલ અને પપ્પા આ બાબતે બહુ ચિંતિત છીએ..ડોકટર પ્લીઝ અમને હેલ્પ કરો આમા કંઈ થઈ શકે ખરું ?
               પોતાની માતા પ્રત્યેની તેની ચિંતા વ્યક્ત કરતાં રડતા રડતા આકાંક્ષા આટલુ બોલી.
               નેન્સીબહેન સાથે કાઉંસેલીગ પ્રોસેસ શરુ થઈ તેમની સાઈકોલોજિકલ હિસ્ટરીથી એ સ્પષ્ટ થયુ કે તેઓ ‘ઈમ્પટી નેસ્ટ સિન્ડ્રોમ’ થી પિડાઈ રહ્યા છે આ સિન્ડ્રોમ ઉંમરના ઉતરાર્ધમાં આવે છે જ્યારે ૪૫ થી ૫૦ વર્ષે વ્યક્તિ પોતાની સામાજિક જવાબદારીઓથી લગભગ મુકત થવા પર હોય પોતાના બાળકો એના સંસારમાં મસ્ત હોય ત્યારે મોટાભાગે અમુક ચોક્ક્સ સમયગાળામાં આવો અનુભવ કરે છે જેમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં આ વધુ જોવા મળે છે. આ સિન્ડ્રોમમાં વ્યક્તિને પોતાનો માળો (ઘર) ખાલી થવાનું દુ:ખ ડંખયા કરે છે. આજના યુગમાં કે જ્યાં મોટાભાગે સંતાનો પોતાના કરિયર બનાવવાની હોડમાં મેગાસિટી કાં તો વિદેશ જઈને વસી જાય છે એવા સમયે માતાપિતામાં આ પ્રકારનો ફેઝ શરુ થાય છે આવા સમયે વ્યક્તિને પ્રાથમિક સંભાળ લેવી અત્યંત આવશ્યક બની જાય છે.
               નેન્સીબહેનના કેસમાં સર્પોટ અને સંભાળની જ જરુર હતી ફેમિલી સિટીગ ગોઠવાયું પરિવારના સભ્યોને સમજાવવામાં આવ્યું કે નેન્સીબહેનમાં આ પરિવર્તન શું કામ આવ્યું છે.. જુદી જુદી રીતે પ્રયત્નો કરવામાં આવ્યા અને નેન્સીબહેનને એ વાત સમજાય કે તેમનો માળો ખાલી નથી થયો પણ માળો વધુ ઉન્ન્ત અને સમૃધ્ધ થઈ રહ્યો છે. મિતુલ અને આકાંક્ષા એ દુર રહીને નજીક રહેવાનો પ્રયાસ શરુ કર્યો.. લગભગ રોજ વિડીયો કોલથી ઘરસભા ભરાવા લાગી..નેન્સીબહેનના પતિ અતુલભાઈને પણ સમજાયુ કે મેં સતત આર્થિક ઉપાર્જનમાં નેન્સી સાથેના આવેગોની અવગણના કરી છે.. અતુલભાઈ, મિતુલ અને આકાંક્ષાના સહિયારા પ્રયત્નથી નેન્સીબહેન એ કથ્થક કલાસ ફરી શરુ કર્યા.. તેમના ખાલી માળાની મુંઝવણમાં ખાલી પડેલા પોતાના મનને ભરવા અને નિખારવાનો આરંભ કર્યો.તેમના ગાર્ડમાં મનીવેલ ફરી ખીલવા લાગી મોગરા સાથેની નેન્સીબહેનની ગોષ્ટી ફરી જામવા લાગી..થોડા સમય માટે છવાયેલ ઉદાસીના વાદળો ટળી ગયા અને નેન્સીબહેન પહેલા હતા એવા ફરી થઈ ગયા.
ચેરિસ કેમ્પની એક ખુબ સુંદર કવિતા છે...

The Empty Nest 

I see you sitting with your head in your hands

Whatever happened to those best laid plans?

Take a look back behind closed doors

Find those broken dreams of yours

After the storm, after the rain

After God’s tears have washed away your pain

Follow the rainbows in your mind

Carry no regret along the path you find

A lifetime spent, a lifetime made

Imparting wisdom on to the gifts God gave

Know in your heart you have done your best

That’s where my appreciation of you rests

      માનસિક સ્વાસ્થય ખુબ અગત્યનું છે આ વાત આપણે સૌએ સમજવાની જરુર છે છ મહિનાના બાળક ને જેમ ખુબ કાળજી અને સંભાળની આવશ્યકતા હોય તેવી જ રીતે જીવનના કોઈ હિસ્સા અને કિસ્સામાં દરેક વ્યક્તિને આવી સંભાળની જરુર હોય છે જરુર છે માત્ર તેના તરફ એકનજર કરવાની.
-ડો. હિરલ જગડ ‘હીર’