behavioral patterns · children · codependent · dependency · Health solutions · husbandwife · India · life · lifestyle · mental health · moral values · Norway · observations · old is gold · parenting · Uncategorised

પ્રોઢસંસ્કાર 🤔

રીદા કલીનિકની અંદર પગ મૂકતા જ રડવા લાગી હજુ હું કંઈ સમજુ કે પૂછું એ પહેલાં અચ્યુત કલીનિકમાં આવ્યો અને રીદા સામે નજર કરીને શાંત થવાનો ઈશારો કર્યો. ૫ મિનિટ પછી બંને મારી સામેની બે ખુરશીઓ પર ગોઠવાય ગયા. થોડીક કેસ રિલેટેડ ફોર્માલિટી પૂરી કરી મેં બંનેને પુછ્યું,  “શું મદદ કરી શકું છું હું આપની ?” જેનો જવાબ કંઇક અલગ મળ્યું. અચ્યુત બોલ્યો, ” મેડમ, તમે મારા પપ્પા અને મમ્મીને અહીં રાખી શકો ? હું એમને તમારી કલીનિકે મૂકી જાઉં ?
આ સવાલ કેમ ઉભો થયો અને કલાઈન્ટ આટલી અકળામણમાં કેમ છે એ જ્યારે કેસ હિસ્ટ્રી લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું. અચ્યુત અને રિદા બંને ભાઈ – બહેન પોતાના માતા – પિતાની ફરિયાદોનો કાફલો અને કેટલીક પીડાઓ લઈને આજે મારે આંગણે આવ્યા હતા. તો વાત જાણે એમ હતી કે, બંનેના માતા – પિતા એટલે કે હસમુખભાઈ અને મૃણાલીબહેન મુંજપરા જીવનના પાંચ દાયકા પૂરા કરીને છઠ્ઠામાં પ્રવેશી ચૂક્યા હતા. એમનું જીવન ઘણું સરળ અને સુખદ દેખાતું હતુ પણ ખરેખર એવું હતું નહિ.
ફરિયાદોનો આરંભ કરતા રીદાએ બોલી,


“મમ્મી કે પપ્પા અમારી એક પણ વાત માનતા કે સમજતાં નથી, પોતાની જૂની રૂઢિ અને રિવાજોને મારી અને ભાઈ પર થોપી બેસાડે છે, વાત અહીંયા પૂરી થઈ જતી હોય તો પણ ભલે પણ ના, એ તો અલગ અલગ તૂત ઉભા કર્યા જ રાખે છે, ક્યારેક અમારા ફ્રેન્ડસ સામે તો ક્યારેક અમારી પ્રોફેશનલ લાઇફમાં, નાની – મોટી બધી વસ્તુમાં ચંચુપાત કરવાની અને ન કંઈ કહીએ કે પૂછીએ તો રિસાઈ જવાનું. શું આ બધું ઠીક છે ? સમય પર દવા નથી ખાવી કે પોતાનું કંઈ ધ્યાન નથી રાખવું હવે અમે કેટલીક વાર કહીએ ? નાનું બાળક હોય તો ખીજાય ને કે ઠપકો આપીને પણ કહી દેવાય પણ આમની સાથે તો એ પણ ન થઈ શકે.


અચ્યુતે થોડું ઉમેરતા કહ્યું, “મેડમ હું જાણું છું કે આ બધું થવું બહુ સ્વાભાવિક છે બધા સંતાનો સાથે થતું હશે પણ શું આના કારણે માતા – પિતાની માનસિક સ્થિતિ ખરાબ થાય ? કે એમને બીજી કોઈ મુશ્કેલીઓ પડે ખરી ? કેમ કે કયારેક મને એવું લાગે છે કે They are not really okay! કેમ કે પોતે ભલે એકપણ કામ જાતે સંભાળી શકતા નથી તો પણ સ્વાભીમાનનું પૂછડું છોડવું નથી. બીજાની મદદ લેવી નથી અને ક્યારેક તો ગળગળા થઈ જાય અને ક્યારેક જૂની વાતોને યાદ કરીને કરીને ખિલખિલાટ હસ્યા કરે. શું આ બધું નોર્મલ છે ?


અચ્યુત અને રીદાના પેરન્ટ્સનો કેસ ખરેખર ઇન્ટ્રેસિંગ હતો, આખી વાતને શરૂથી શરૂ કરવામાં આવી માતા-પિતા સાથે કાઉન્સિલીંગ સેશન્સ થયા અને ફેમિલી કાઉન્સિલીંગ સેશન્સ પણ થયા. યોગ્ય પ્રકારની સાયકોથેરાપીની મદદથી લગભગ ૮ મહિના પછી ધીરે ધીરે અચ્યુત અને રીદાનું ટ્યુનિંગ તેમના માતા-પિતા સાથે બેઠું અને હવે પરિવાર કુશળમંગળ રીતે જીવન જીવે છે.


દરેક કેસ થેરાપિસ્ટ/કાઉન્સેલરને કંઇક શીખવે છે, સ્વાભાવિકપણે આ કેસમાં મેં પણ ઘણું શીખ્યું અને સમજ્યું ત્યારે મનમાં સતત એક વિચાર ચાલતો હતો અને I am sure કે તમારામાંથી ઘણા બધાને પણ આ વિચાર આવતો હશે કે શા માટે આપણી પાસે એવી કોઈ ચોક્કસ વ્યવસ્થા કે યોજના નથી જેમાં આપણે સમજી, જાણી અને શીખી શકીએ કે જીવનના ઉતાર્ધ પર આગળ વધી રહેલા આપણા માતા – પિતાને કંઈ રીતે સંભાળવા ? શા માટે આપણી સામાજિક વ્યવસ્થામાં એવી કોઈ પ્રણાલી પ્રસ્થાપિત નથી કે જ્યાં પુખ્ત થતાં વડીલોની કુમળી લાગણીઓને આપણે સુરક્ષિત રાખી શકીએ. આપણે ગર્ભસંસ્કારમાં માનીએ છીએ અને એને ઉજવીએ અને જીવીએ પણ છીએ તો પ્રોઢસંસ્કાર કેમ નહિ ? આપણે ‘જનરેશન ગેપ’ના નામ પર ઘણી વખત આ વાત અવગણી નાખીએ છીએ પણ આ વિષય પર વાત કરવાનું હંમેશા ટાળીએ છીએ. એક સંતાન વધતી ઉંમર સાથે પ્રગતિ તરફ આગળ વધે છે જ્યારે તેના માતા – પિતા જીવનના અંત તરફ આગળ વધે છે, એ સમયે સ્વભાવમાં પરિવર્તન વ્યાજબી છે, બાળકને પા – પા પગલી શીખવવા અને તેને દુનિયામાં સેટલ થવામાં આપણે પુરે પૂરી મદદ કરીએ છીએ એ જ રીતે જીવન જીવી ચૂકેલા નિવૃત્ત થયેલા/ થવા જઈ રહેલા આપણા માતા – પિતા અને વડીલોની કાળજી રાખવી પડશે. સંશોધનો દર્શાવે છે કે પ્રોઢ/ વધતી ઉંમરે વડીલોને આ મુજબની કેટલીક કાળજી/કેર/હુંફ ની જરૂર હોય છે.


1. રોજબરોજના જીવનમાં ગોઠવણમાં મદદ આવશ્યક છે, સતત કેટલાય વર્ષોથી નોકરી/વ્યવસાય કરીને કે એક પ્રવૃત્ત ગૃહિણી બનીને સતત કામ કર્યું હોય ત્યારે અચાનક આવી પડેલો ફ્રી (free) ટાઈમ એમના માટે હેન્ડલ કરવો અઘરો હોય છે.


2. સુરક્ષા સંબંધી સવલતો : ઉંમરના આ તબક્કે નાની – મોટી દરેક વસ્તુ પર અન્ય પર આધારિત થવાનું એમના માટે એક અજુગતો અનુભવ છે, જેના કારણે ઘણીવાર તેઓ સંકોચ રાખે છે કાં તો પછી ચિડાય જાય છે. દા. ત. પોતાના ફાયનાસીસનું મેનેજમેન્ટ, ખરીદી, દવા કે ડોકટરની વિઝીટ વગેરે.


3. શારીરિક કે માનસિક સમસ્યાઓ : નાની મોટી શારીરિક કે માનસિક બિમારીઓ પણ તેમના વર્તન અને વ્યવહારને બદલી શકે છે.


4.  ગૂણવતાસભર જીવન : અમુક સમય પછી ગૂણવતાસભર જીવન ટકાવી રાખવું એ બહુ ચેલેંજીંગ હોય છે જેના કારણે પણ કેટલાક વ્યક્તિમાં ફરસ્ટેશન અને અકળામણ ઉત્પન્ન થતી હોય છે. જેમ કે કેટલાક ગંભીર કે સામાન્ય રોગો – ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ કે અલ્ઝાયામર.


5. સબંધોની માવજત અને પરિવારની ગરિમા : હવે મોટાભાગના વડીલો માટે આ બદલાવ ભુંકપના આંચકા જેવો હોય છે, સંબંધોની ગોષ્ઠિ પોતે જેમ ગોઠવી છે, સ્વાભાવિક છે એમના સંતાનો તદ્દન એ જ ફોલો કરશે એવી અપેક્ષા અતિશયોક્તિ ભરી છે, મનનું ધાર્યું નથી થતું ત્યારે તકલીફ થાય એ સહજ છે અને બીજું કે જ્યારે વર્ષોથી ઘરને એકજૂથ કરીને રાખ્યું હોય, જુદા જુદા નિર્ણયો લીધા હોય અને હવે જ્યારે મૌન રહીને ઘરની અંદર બનતી ઘટના પ્રેક્ષક બનીને જોવાની થાય ત્યારે મૂંઝારો તો થાય જ ને ?


6. જાત – સંભાળ (Self- care) : આપણા માતા – પિતા હંમેશા આ બાબતે કાચા જ રહ્યા છે, એમને પોતાની જાતને સૌ પ્રથમ મૂકતા કે પોતાની જાતને લાઇલાઇટમાં મૂકતા આવડ્યું જ નથી, એટલે આપણે એ સ્કીલ સેટ કરવા માટે એમને મદદ કરવી જ પડશે.


અચ્યુતની વાત પરથી આ વિચાર આવેલો અને મને લાગે છે કે આ સમયે ખરેખરે આપણા સમાજને આવા પ્રકારના એક દૃષ્ટિકોણની જરૂર છે. દરેક ઘરોમાં નાના – મોટા કલેશ/જઘડાઓ વર્ષોથી ચાલે છે, પણ આ મુદ્દાને આપણે આ દૃષ્ટિથી એકવાર જોઈએ અને ધીરે ધીરે અપ્લિકેબલ બનાવીએ તો કદાચ સંબંધોમાં એક નવી સુવાસ પ્રસરે. લોકો એકબીજાની વધુ નજીક આવી શકે. જે રીતે બાળકના જન્મ પહેલાં, દરમ્યાન અને પછી આપણે આપણી જાતને તૈયાર કરીએ છીએ અને પૂરતી કાળજી રાખીએ છીએ કે કોઈ જ ક્ષતિ ન રહે, બસ એવું જ વલણ વૃદ્ધ થતા માતા – પિતા પ્રત્યે કેળવવાનું છે.


છેલ્લો કોળિયો: જેટલી ધીરજ અને આસ્થા આપણા માતા – પિતાએ આપણને મોટા કરતી વખતે રાખી હતી કદાચ એનાથી ઓછી ધીરજ અને આસ્થા આપણે એમના ઘડપણને સમજવા માટે આપવાની જરૂર છે. મનના કોઈ ખૂણામાં વૃદ્ધ થતી વ્યક્તિના મનમાં આ વિચાર જરૂર આવતો હશે. જે કવિયત્રી પાયલએ બહુ યોગ્ય રીતે લખેલો છે.

“जीवन खोए हुई लोगो से और चीजों से भरा पड़ा है, पर फिर भी खाली सा है । “


– ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય

behavioral patterns · child development and care center · children · husbandwife · India · life · moral values · Norway · parenting

अच्छा हुं, बुरा हुं पता नहीं ! पर मां हुं |

કોઈ એક સવારે તમારા ઘરે બે સ્ત્રીઓ આવી અને તમારા પાંચ મહિનાના બાળકને ઉપાડીને લઈ જાય તો તમે કંઈ રીતે વર્તન કરો ?

હાથથી બાળકને જમાડવું કે તેને કપાળે કાળું ટપકું કરવું, બાળકને માતાપિતાની સાથે સુવડાવવું કે તમારી માતૃભાષામાં વાત કરવી, બાળકનો પ્રોજેક્ટ ભૂલી જવો કે બીજું કોઈ પણ વર્તન તમે કરો તો એવું સાબિત કરવામાં આવે કે તમે યોગ્ય માતા નથી, તો તમે શું કરો ?

જો તમને કોર્ટમાં ચુકાદો સંભળાવવામાં આવે કે, તમારા બંને બાળકો 18 વર્ષની ઉંમર સુધી સરકાર પાસે રહેશે, તો તમે કંઈ રીતે રીએક્ટ કરો ?

જો તમને ખબર પડે કે તમારા બાળકોને યોગ્ય માહોલ અને યોગ્ય ઉછેર નથી મળી રહ્યો તો તમે કંઈ રીતે પ્રતિક્રિયા આપશો ?

ત્રણ – ચાર કોર્ટમાંથી નિરાશા મળ્યા પછી જો તમને ઓફર મળે કે તમારા બાળકની કસ્ટડી તમારા દિયરને મળી શકશે, પણ તમને નહિ? તો શું તમે આ સ્વીકારશો ?

તમારા બાળકો તમારા જ કુટુંબના સભ્યો પાસે હોય અને તેમ છતાં જો તમે એમને ના મળી શકો તો, શું મનોસ્થિતિ હોય તમારી ?

જેને તમે પ્રેમ કર્યો અને જેની સાથે સંસાર માંડ્યો એ વ્યક્તિની પ્રાયોરિટી લિસ્ટમાં તમારું કે તમારા બાળકોનું નામ જ ન હોય અને માત્રને માત્ર એક દેશની સિટીઝનશીપ અને પૈસા જ હોય તો એ સ્થિતિમાં તમે શું કરો ?

આ બધા સવાલોની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ છે, જ્યારે કોઈ એક વ્યક્તિએ આવી જિંદગી જીવી છે, હાલમાં પ્રકાશિત થયેલી રાની મુખર્જીની ફિલ્મ Mrs Chatterjee Vs Norway જે સત્ય ઘટના પર આધારિત છે તે નોર્વેમાં વસતા એક ભારતીય દંપતીના જીવનનું પ્રતિબિંબ છે. 12 વર્ષથી વિદેશમાં વસતા આ બંગાળી કપલના બાળકોની કસ્ટડી માટેની આખી લડત આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. આની સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ ઊભા કર્યા છે.

એક માણસ તરીકે તમારામાં રહેલી માણસાઈ કેટલી હદ સુધી નીચે જઈ શકે ? અહીં નોર્વે સરકાર અંતર્ગત કામ કરતા તથા બાળ કલ્યાણ યોજના હેઠળ કાર્યરત કર્મચારીઓ ગેરકાનુની રીતે પૈસા કમાવવા માટે કેટલાક દંપતીઓને ફસાવીને તેમને કોર્ટમાં માનસિક અસ્વસ્થ કે અયોગ્ય માતાપિતા સાબિત કરી દે છે અને તેમને તેમના બાળકોથી તેમને વર્ષો સુધી અલગ કરી દે છે.

એક જ પરિવારમાં રહેનાર વ્યક્તિઓ પોતાના જ લોહી કે વારસદાર માટે કેટલી જુદી રીતે વિચારી શકે ? અહીં બાળકોના પિતા, કાકા અને દાદા – દાદી માત્રને માત્ર સ્વાર્થ અને પૈસાને જ અગત્યતા આપે છે જેની માટે એ કંઈ પણ હદ સુધી જવા તૈયાર છે.

માતા વિદેશમાં હોય કે પોતાના દેશમાં, મા સામે દરેક સ્થિતિ નજીવી હોય છે જ્યારે વાત તેના બાળકો પર આવે છે. અલગ અલગ કોર્ટમાં હાથ જોડીને હાથ ફેલાવીને આ માતાએ એના બાળકો માટે અરજ કરી. અને અંતે તેને તેનું યથાર્થ ફળ મળ્યું.

સ્ત્રી સ્ત્રીની દુશ્મન હોય છે, એવું ભલે કહેવાતું પણ આ કેસમાં નોર્વેની ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ થી લઈને કોલકાતાની એડવોકેટ મિસ. પ્રતાપ સુધી દરેક સ્ત્રી આ સ્ત્રીપાત્રની લડતમાં સાથે હતી.

સમય બદલાય છે આપણી લાગણીઓ અને માગણીઓ પણ બદલાય છે, સંસ્કૃતિ અને સમાજને વધુ આવેગીક વિકાસની જરૂર છે.

#છેલ્લો કોળિયો : સવલતમય અને સમૃદ્ધ થતાં થતાં ક્યાંક આપણે નિષ્ઠુર અને અસંવેદનશીલ તો નથી થઈ રહ્યાને ! રોજ એક વાર પોતાની જાતને પૂછીને ખાતરી કરી લેવી.

Movie released on 2023
Novel published on 2022