Uncategorised

IQ<EQ

એક સ્પર્ધા ચાલતી હતી, જેમાં આઠ બાળકોએ ભાગ લીધો હતો, આ સ્પર્ધા હતી દોડની, જેમાં સ્ટાર્ટિંગ પોઇન્ટથી શરુ કરીને જે પહેલા એન્ડિંગ લાઈન ક્રોસ કરશે તે વિજેતા બનશે અને ઇનામોનો હક્કદાર બનશે, આ નક્કી હતું.

સ્પર્ધા શરૂ થઈ, પણ હજુ થોડું જ અંતર કપાયું હતું ત્યાં આઠમાંથી એક બાળક પડી ગયું અને ઊભા થવા માટે પ્રયત્ન કરતો જ હતો, ત્યાં આગળ વધેલા સાતે સાત બાળકો એની આસપાસ ગોઠવાય ગયા, એને સહારો આપી એને ઊભો કર્યો અને પછી તે આઠેય બાળકો એ એક સાથે એન્ડિંગ લાઈન ક્રોસ કરી, અને આ બાળકોએ ફક્ત ઈનામો નહીં પણ સૌ કોઈના દિલ પણ જીતી લીધા.

આ વાત શું કામ ? એવું તો શું ખાસ છે ? આ વાત એટલા માટે કેમકે આ બાળકો ખાસ છે. જી, હા આ સ્પર્ધા થઈ હતી બેંગલોર ખાતે આવેલા ‘The National Institute of Mental Health and Neuro Sciences (NIMHANS)’ માં. અને આ સ્પર્ધાના સ્પર્ધકો માનસિક દિવ્યાંગતા ધરાવતા હતા.

જે લોકોને આપણે માનસિક રીતે અબોધ કહીએ છીએ, જેની તરફ હંમેશા આપણે દયા અને લાચારી દેખાડીએ એવા બાળકોએ આપણને આપણી આવેગિક કંગાલિયતથી અવગત કર્યા છે. આપણી પાસે અઢળક બુધ્ધિ અને મબલખ પૈસો છે અને આવનાર સમયમાં હજુ વધશે પણ આપણા આવેગોનું શું ? આપણા સંબંધોનું શું ? દિવસે દિવસે આપણે વિકસિત થઈએ છીએ, પણ આપણી લાગણીઓ ઓછી થતી જાય છે, આપણી અંદરથી માણસાઈ મરતી જાય છે.

આ અતિશયોક્તિ લાગશે ! કદાચ પણ તમે જ વિચાર કરો, કે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં ઓટીટી પ્લેટફોર્મના પાસવર્ડ તો શેર થઈ જાય છે પણ અંગત જીવનના વર્ડ પાસ નથી થતાં, જ્યાં મા – બાપને દીકરો દીકરી સારું કમાઈ છે એનાથી જ મતલબ છે તે સારું જીવન જીવે છે કે નહીં તેનું માનસિક સ્વાસ્થ્ય સારું છે કે નહીં તેની એટલું મહત્વ નથી. જ્યાં રોજ ઇન્સાનિયતને ઉજાગર કરે એવા લેખો કરતાં હેવાનિયતની હદ વટાવતા કેસો અને કિસ્સાઓ વધુ બહાર આવે છે.જ્યાં લોકોને માત્ર ઉપર જવું છે, આગળ વધવું છે પણ સાથે રહેવું નથી, એકબીજાનું ઝરા પણ સહેવું નથી.

ત્યારે આ અબોધ કે આવેગીક બુધ્ધિમાન લોકો આપણને શીખવે છે કે એકલતામાં ઉજવેલી જીત કરતા સમૂહમાં ઊજવેલી હાર વધુ સારી હોય છે.

#છેલ્લો કોળિયો : સારો IQ (બુધ્ધિઆંક) હોવાથી આપણે કદાચ વધુ માહિતીસભર વ્યક્તિ બની શકીએ પણ સારો EQ(આવેગિક આંક) હોવાથી આપણે વધુ સારા અને સંવેદનશીલ વ્યક્તિ બની શકીએ અને હવે જરૂર સંવેદનશીલ વ્યક્તિની છે.

Leave a comment